એર ઇંડિયાની અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ AI 171માં કોઇ ઘરે પરત ફરી રહ્યું હતું, કોઇ સ્વજન પાસે જઇ રહ્યું હતું, તો કોઇ બ્રિટન શિફ્ટ થઇ રહ્યા હતા.
સિમંત માટે પતિ સાથે આવેલી જિનલ માતા બને તે પહેલાં જ અનંત યાત્રાએ
અમદાવાદઃ જિલ્લાના ધોળકાના કેલિયા વાસણાના પટેલ પરિવારનો દીકરો પૂનમ પટેલ લંડનમાં સ્થાયી થયો હતો. પૂનમ પટેલ અને તેની પત્ની જિનલ પટેલના જીવનમાં નવા સભ્યના આગમન થવાનું હતું. થોડા સમય પહેલા જિનલે પરિવારને પોતે સગર્ભા હોવાની ખુશખબર આપી ત્યારે અમદાવાદના શાયોના સિટીમાં રહેતો પૂનમનો સમગ્ર પરિવાર નવજાતના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને આવનારા બાળકના આગમનને વધાવવા થનગની રહ્યા હતા. જોકે પ્લેન ક્રેશમાં જિનલને અકાળે મોત આંબી જતા પરિવારના તમામ સપના ચકનાચૂર થઈ ગયા છે.
જિનલે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેના સિમંત સંસ્કારની વિધિ તો અમદાવાદમાં શાયોના સિટીમાં સાસરે જ કરવી છે. પૂનમે જીવનસાથીની ઈચ્છાને માન આપવાની સાથોસાથ એવું પણ વિચાર્યું કે, એ બહાને પરિવારના સભ્યોને મળી પણ શકાશે અને તેણે અમદાવાદની ટિકિટ બુક કરાવી હતી. બે મહિના પહેલા પૂનમ અને જિનલ અમદાવાદ આવી ગયા. પરિવારના સભ્યો અને જૂના મિત્રોને મળ્યા અને અમદાવાદમાં હર્યાફર્યા. અઠવાડિયા પહેલા જિનલની સિમંત વિધિ રંગેચંગે સંપન્ન થઈ અને અઠવાડિયા બાદ પતિ-પત્નીએ લંડન જવા નીકળ્યા ત્યાં જ કાળ આંબી ગયો.
•••
પત્નીના અસ્થિ વિસર્જિત કરી લંડન જતાં પતિનું પણ મૃત્યુઃ બંને દીકરી અનાથ
અમરેલીઃ જિલ્લાના વડિયાના વતની અને છેલ્લા લાંબા સમયથી લંડનમાં સ્થાયી થયેલા અમરેલીના અર્જુન પટોળિયાના પરિવાર સાથે તો કુદરતે ક્રૂર મજાક કરી છે એમ કહી શકાય. અર્જુનભાઇના પત્નીનું લંડનમાં અવસાન થયું હોવાથી તેઓ પત્નીના અસ્થિ વિસર્જન કરવા વતન આવ્યા હતા. બહુ ટૂંકી મુદતનો પ્રવાસ હોવાથી અર્જુનભાઇ તેમની 8 અને 4 વર્ષની બે દીકરીઓને લંડનમાં સંબંધીને ત્યાં મૂકીને ભારત આવ્યા હતા. વિધિ પતાવીને બીજા દિવસે જ લંડન જવા નીકળેલા અર્જુનભાઇ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે. ભરયુવાનીમાં અર્જુનભાઈની પત્નીનું અવસાન થતાં લંડનમાં તેમના અગ્નિસંસ્કાર કરીને પત્નિના અસ્થિ લઈને અમરેલી ગામના તળાવમાં વિસર્જન કરવા આવ્યા હતા. દુર્ઘટનામાં એમનું પણ મૃત્યુ થતાં ગણતરીના દિવસોમાં જ બન્ને દીકરી અનાથ થઈ ગઈ છે.
•••
ઠાસરાના પરવેઝ વોરા નાની પુત્રી સાથે પરત લંડન જતા હતા
ઠાસરાના પરવેઝ વોરા ઇદ ઉજવીને નાની પુત્રી સાથે પરત લંડન જતા હતા. મૂળ ઠાસરાના અને હાલમાં લંડનમાં સ્થાયી થયેલા પરવેઝ વોરા તેની પાંચ વર્ષની પુત્રી સાથે ઇદનો તહેવાર ઉજવવા તેમજ દાંતમાં દુખાવો થતો હોય ટ્રીટમેન્ટ કરાવવા માટે ભારત આવ્યા હતા, પણ લંડન પરત ફરતી કાળનો કોળિયો બની ગયા હતા. પરવેઝ વોરા છેલ્લા દસ વર્ષથી લંડનમાં સ્થાયી થયા છે. પરિવારમાં તેમની બે પુત્રી છે જ્યારે તેમની પત્ની હાલમાં પ્રેગનન્ટ છે.
•••
વડોદરાના ભાવિકે બુધવારે કોર્ટ મેરેજ કર્યાં, ગુરુવારે પ્લેન ક્રેશમાં મૃત્યુ
વડોદરાઃ શહેરના માંજલપુરમાં રહેતો ભાવિક મહેશ્વરી 5 વર્ષથી લંડનમાં નર્સિંગનો અભ્યાસ કરતો હતો. કોલેજમાં 14 દિવસનું વેકેશન પડતાં તે વડોદરા આવ્યો હતો. ભાવિકની સગાઈ નક્કી કરી હતી. ભાવિક તથા યુવતીના પરિવારની હાજરીમાં બુધવારે કાનૂની રીતે સાણંદ કોર્ટમાં મેરેજ કર્યાં હતાં અને સગાં-સંબંધીઓ માટે ઘરે ફંક્શન પણ રાખ્યું હતું. એ પછી ગુરુવારે અમદાવાદ-લંડનની ફ્લાઇટમાં તે પરત જતો હતો. પણ પ્લેન ક્રેશમાં કાળનો કોળિયો બનતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
•••
હાલાણી પરિવારના મોભી સહિત ત્રણ ભોગ બન્યા
આણંદઃ શહેરના જાણીતા બિલ્ડર રાજુભાઈ હાલાણીના ભાઈ બદરુદ્દીન હસનઅલી હાલાણી લંડન ખાતે રહેતા દીકરાને મળવા જવા માટે એર ઇંડિયાની કમનસીબ ફ્લાઇટમાં ગુરુવારે નીકળ્યા હતા. હાલાણી પરિવારના મોભી અને વકફ બોર્ડના અગ્રણી એવા બદરુદ્દીનભાઇ સાથે તેમના પત્ની હાલાણી યાસ્મીન બદરુદ્દીન અને ભાભી હાલાણી મલેકબેન રજબઅલી પણ હતા. ગુરુવારે સવારે આ ત્રણેય જણા કારમાં નીકળ્યા હતા, અને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી આ લોકો લંડન જનારા પ્લેનમાં બેઠા અને આ પ્લેન ક્રેશમાં તેઓ પણ મોતને ભેટયા છે.
•••
પૌત્રોને મળવાનું હોવાથી દાદાની ખુશીનો કોઇ પાર જ ન હતો
અમદાવાદઃ જુહાપુરા વિસ્તારના 81 વર્ષના વૃદ્ધ અબ્દુલ રઝાક નાના પુત્ર અને તેમના બાળકોને મળવા લંડન જતા હતા. મોટા પુત્ર રઇશ ચિઠ્ઠીવાલાએ કહ્યું, પૌત્રો જોવા મળશે તેની ખુશીનો પાર ન હતો. અમે તેમને મુકીને એરપોર્ટથી ઘરે આવ્યા અને ન્યૂઝ ચેનલો તેમજ સોશિયલ મીડિયા મારફતે વિમાન દુર્ઘટનાની જાણ થઈ. અમે તરત જ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. પિતા 8થી 10 વખત લંડન જઈ ચૂક્યા હતા.
•••
કોડકીના NRI પરિવારના પિતા-પુત્ર, માતાનાં મૃત્યુ
ભુજ: વતન કચ્છથી લંડન પરત જઈ રહેલા કોડકી ગામના NRI પરિવારના પિતા-પુત્ર અને માતાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. કોડકીના વતની સુરેશભાઈ હિરાણી (પટેલ) એકાદ માસ અગાઉ ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા લંડનથી માતા રાધાબાઈ (85) અને પરિણીત પુત્ર અશ્વિન હિરાણી ઊર્ફે હેરિંગ્ટન (26) સાથે કોડકી આવ્યા હતા.
•••
પ્લેન ક્રેશમાં બે વર્ષ પહેલાં પુત્રને ગુમાવ્યો, હવે માતાપિતાએ જીવ ગુમાવ્યો
જામનગરઃ શહેરના વતની અને હાલ બ્રિટિશ એવા શૈલેષભાઇ પરમાર અને તેમના પત્ની નેહલબહેન બીમાર સંબંધીની ખબર કાઢવા માટે અહીં આવ્યા હતા. પરિવારનો દીકરો જીત (પિન્ટુ) પરમાર બ્રિટનમાં રહી પાઈલટની ટ્રેનિંગ કરી રહ્યો હતો. આ ટ્રેનિંગ દરમિયાન બે વર્ષ પહેલા એટલે કે 2022માં તેનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં જીતનું મૃત્યુ નીપજ્યું હતું. આના બે વર્ષ બાદ શૈલેષભાઈ પત્ની સાથે જામનગર આવ્યા હતા. જ્યાંથી તેઓ અમદાવાદ આવીને બ્રિટન જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેઠા હતા. પરંતુ ફ્લાઈટ ટેકઓફ થયાના ગણતરીના સેકન્ડોમાં જ ક્રેશ થઈ જતા શૈલેષભાઈ અને તેમના પત્ની નેહલબહેન પણ મૃત્યુ પામ્યા છે. આમ બે વર્ષ પહેલા પુત્રનું પ્લેનક્રેશ થતા મૃત્યુ થયું હતું અને આજે પ્લેનક્રેશમાં જ માતા-પિતાનું પણ મૃત્યુ નીપજ્યું છે.
•••
ડો. વ્યાસ જોબ છોડી ત્રણ સંતાનો સાથે પતિ પાસે યુકે શિફ્ટ થઇ રહ્યાા હતાં
રાજસ્થાનના બાંસવાડાના ડો. કોમી વ્યાસના પતિ ડો. પ્રદીપ જોશી લંડનમાં સ્થાયી છે. 6 વર્ષના પ્રયાસ બાદ છેવટે ડો. વ્યાસ પતિ પાસે લંડન શિફ્ટ થઈ રહ્યા હતાં. તેઓ ત્રણ બાળકો પ્રદ્યુત, મિરાયા અને નકુલ સાથે પ્લેનમાં બેઠા હતાં. ઉદયપુરની પેસિફિક હોસ્પિટલના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે ડો. કોમીએ એક મહિના પહેલાં જ અહીંની નોકરી છોડી હતી. સમગ્ર પરિવાર હસીખુશીથી લંડન શિફ્ટ થઈ રહ્યો હતો. આ સાથેની તસવીર તેમણે પ્લેનમાં બેઠા પછી લીધી હતી. જોકે પ્લેન ટેક ઓફ થયાની મિનિટોમાં તેમનો પરિવાર અને સપના વિંખાયા હતા.
•••
પ્લેન ક્રેશ પહેલાં બ્રિટિશ નાગરિકનું ‘ગુડ બાય ઇંડિયા’
અમદાવાદઃ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ એક બ્રિટિશ નાગરિકની પોસ્ટ ખૂબ જ વાઇરલ થઈ છે. અકસ્માતના ઠીક થોડા સમય પહેલા વિમાનના એક બ્રિટિશ યાત્રી જેમી રે મીકએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં જેમી ભારતને અલવિદા કહી રહ્યો હતો. જેમી રે મીક એર ઈન્ડિયા ફ્લાઈટમાં સવાર 53 બ્રિટિશ નાગરિકો પૈકી એક હતો. તેણે વિમાનમાં બેસતા પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં મીક અમદાવાદ એરપોર્ટ પર હસતા ચહેરે એકદમ ખુશ જોવા મળી રહ્યો હતો. મીક વીડિયોમાં જોવા મળતો હતો કે અમે એરપોર્ટ પર છીએ અને બસ બોર્ડિંગ કરી રહ્યા છીએ. ગુડબાય ઈન્ડિયા, લંડન માટે 10 કલાકની ફ્લાઇટમાં પરત ફરી રહ્યા છીએ.’ આ પછી તે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરે છે, જે થોડી વાર માટે તેની બાજુમાં બેસેલી દેખાય છે. તે કહે છે મારો સૌથી મોટો પાઠ એ છે કે પોતાના સાથી સાથે ધીરજ ન ગુમાવો. ત્યારબાદ તે ધીમેથી મલકાય છે અને કહે છે કે ‘ખુશીથી, ખુશીથી, ખુશીથી શાંત થઈને પરત જઇ રહ્યો છું.’
•••
પત્ની અને દીકરાને લંડનમાં મૂકી અભિનવ બિઝનેસ માટે આવ્યો હતો
અમદાવાદઃ મણિનગર વિસ્તારમાં રહેતો અને લાંબા સમયથી પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયેલો અભિનવ પરિહાર થોડા સમય પહેલાં જ અમદાવાદ આવ્યો હતો. તેને મિત્રો સાથે એકસ્પોર્ટ-ઇમ્પોર્ટની કંપની શરૂ કરવી હોઈ તમામ તૈયારી કરી લીધી હતી. મિત્રો સાથે આ યોજનાને તેણે શેર કરી હતી. એક સંતાન અને પત્ની લંડનમાં સ્થાયી હોવાથી તે લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટથી નીકળ્યો હતો. તેના મિત્ર કવિન દવેએ કહ્યું કે, અમે તેને એરપોર્ટ પર મૂકીને આવ્યા ત્યાં જ પ્લેન ક્રેશના સમાચાર મળ્યા હતા.
•••
સગર્ભા પુત્રીને સાચવવા લંડન જઇ રહેલાં માતાએ જીવ ગુમાવ્યો
અમદાવાદઃ લંડનમાં રહેતી પુત્રીને સારા દિવસ જતાં હોવાથી ઉમરેઠના સલમાબેન વોરાને પુત્રીની દેખરેખ માટે જવું હતું, પણ આ મુદ્દે ગડમથલમાં હતાં. આ દરમ્યાન એક સંબંધી પરિવાર નફીસા સૈયદ, ઇનાયત સૈયદ, તકસીન અને વકી પણ લંડન જતાં હોવાનું જાણવા મળતાં વોરા પરિવારે તેમને પૂછ્યું કે, ‘તમારી સાથે સલમાબેનને લઇ જશો? જેથી તેઓ સરળતાથી પુત્રી પાસે લંડન પહોંચી શકે.’ ઈનાયત ખાનના પરિવારે સલમાબેનને સાથે લઈ જવાની તૈયારી બતાવતા, બે દિવસ પહેલાં જ સલમાબેનની ટિકિટ બુક કરાવી હતી. તેઓ પોતાની પુત્રી સુધી પહોંચે તે પહેલાં જ પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. સલમાબેનના પતિ પણ તેમની સાથે લંડન જવાના હતા પણ છેલ્લી ઘડીએ તેમણે નિર્ણય બદલ્યો હતો.
•••