Horizon IT કૌભાંડમાં ન્યાય અને જજ દ્વારા ઈન્ક્વાયરીની માગ

Wednesday 24th June 2020 01:27 EDT
 
 

લંડનઃ પોસ્ટ ઓફિસ દ્વારા સેંકડો પોસ્ટમાસ્ટરો સામે નાણા ગુમ થવા બાબતે આરોપ લગાવાઈ રહ્યા છે. વાસ્તવમાં પૂરાવાઓ હોરાઈઝન કોમ્પ્યુટર અને IT સિસ્ટમની નિષ્ફળતાનો નિર્દેશ આપે છે. હવે પોસ્ટમાસ્ટર્સ, કેમ્પેઈનર્સ, કાનૂની નિષ્ણાતો અને સાંસદોએ આ કૌભાંડમાં જજની આગેવાની હેઠળ ઈન્ક્વાયરી કરવામાં આવે તેવી માગણી કરી છે. પોસ્ટમાસ્ટર્સ તેમના હોરાઈઝન એકાઉન્ટ પર અંકુશ સાથે એકમાત્ર ઓથોરિટી મનાતા હોવાથી તેમના પર ચોરીનો આરોપ લગાવાય છે. નાણા ગુમ થવાના પરિણામે, સેંકડો પોસ્ટમાસ્ટરને નોકરીમાંથી કાઢી મૂકાયા છે અથવા ખોટી રીતે ગુનેગાર ઠરાવાયા છે.

BBC Panorama દ્વારા સર્વગ્રાહી તપાસમાં જણાયું છે કે હોરાઈઝન સિસ્ટમમાં સોફ્ટવેરની ખામીઓ હોવાથી કેટલાક વર્ષોના ગાળામાં સબપોસ્ટમાસ્ટર્સના બ્રાન્ચ એકાઉન્ટ્સમાં નાણાકીય ખાધ જણાઇ હતી. ૨૦૧૭માં આવા ૫૫૦ પોસ્ટમાસ્ટરે હોરાઈઝન વિરુદ્ધ સિવિલ કોર્ટડ કેસ દાખલ કર્યો હતો જેમાં, પોસ્ટ ઓફિસે ગયા વર્ષે કેસની પતાવટમાં ૫૭.૭૫ મિલિયન પાઉન્ડ ચૂકવવા પડ્યા હતા. ટ્રાયલ દરમિયાન, પોસ્ટ ઓફિસે સ્વીકાર્યું હતું કે પોસ્ટમાસ્ટરની જાણ વિના પણ હોરાઈઝન એકાઉન્ટ્સમાં પહોંચવું શક્ય છે. કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે દાવેદારોની સંખ્યામાં હવે વધારો થઈ શકે છે.

લંડનના એલાયન્ટ લો ખાતે મેનેજિંગ પાર્ટનર અને બેરિસ્ટર સંદિપ પટેલ QC આ ‘કૌભાંડ’માં ખોટી રીતે ગુનેગાર ઠરાવાયેલા વિક્ટિમ્સ સુધી પહોંચવા બીબીસી પેનોરમાને મદદ કરી રહ્યા છે. આ કૌભાંડને ‘ન્યાયની મહા કસુવાવડ- નિષ્ફળતા’ ગણાવતા મિ. પટેલે કહ્યું હતું કે, ‘વાસ્તવિકતા એ છે કે ખોટી રીતે ગુનેગાર ઠરાવાયેલા અને કોર્ટ ઓફ અપીલની રાહ જોઈ રહેલા પોસ્ટમાસ્ટર્સની સંખ્યા ઘણી વધુ છે. મને ખાતરી છે કે તેમને ગુનેગાર ઠરાવતા ચુકાદા ઉલટાવી દેવાશે. શરુઆતમાં મને ૬૦થી ૧૦૦ વિક્ટિમ્સ હોવાનું લાગ્યું હતું. આજે સત્તાવાર આંકડો આશરે ૫૫૦નો છે જેઓ કોર્ટ ઓફ અપીલમાં પડકાર આપી રહ્યા છે. જોકે, હું માનું છું કે સાચો આંકડો હજુ વધુ હશે.’

તેમણે કહ્યું હતું કે,‘ તાજેતરમાં જ એક વિક્ટિમે આ ‘સ્કેન્ડલ’ બાબતે મારો સંપર્ક કર્યો હતો. તેને આ કૌભાંડમાં તપાસ, મધ્યસ્થી અને સમાધાન કે પતાવટની પ્રક્રિયા વિશે કોઈ જાણકારી ન હતી. હું માનું છું કે આવા ઘણા સબપોસ્ટમાસ્ટર્સ હશે જેઓ હજુ આ પ્રક્રિયા વિશે માહિતગાર ન હોય. આ જ મારી સાચી ચિંતાનો વિષય છે. તેમને ન્યાય મળવો જોઈએ અને યોગ્ય સમયમાં પૂરતા નાણાકીય વળતરનો અધિકાર પણ મળવો જોઈએ. પતાવટ કે સમાધાન તો જે કેસમાં પક્ષકાર હતા તેમના પૂરતું જ હતું. એ બાબતની નોંધ લેવાવી જોઈએ કે ‘સ્કેન્ડલ’નો શિકાર બનેલા તમામ લોકો સૂચિત સમાધાનના પક્ષકાર ન હતા. તેમાંથી કેટલાકને ગુનેગાર ઠરાવાયા હતા, કેટલાક  જેલમાં પણ ગયા છે જેની જાણ આપણને હવે થઈ છે. એક વ્યક્તિએ તો આત્મહત્યા કરી હતી. આ તો મોટા પાયા પરની માનવીય કરુણાંતિકા હતી.’

સરકારે ૧૦ જૂન બુધવારે આ ઘટનાઓની સ્વતંત્ર સમીક્ષા માટે ટર્મ્સ ઓફ રેફરન્સની જાહેરાત કરી છે. આ સમીક્ષા સંદર્ભે પોલ સ્કલીએ જણાવ્યું હતું કે,‘ પોસ્ટ ઓફિસે આ સમીક્ષાનું સંપૂર્ણ પાલન કરાશે તેમ કહ્યું છે. હું તેના અમલપાલન માટે સંપૂર્ણ દબાણ કરીશ અને મને ખાતરી છે કે સ્વતંત્ર અધ્યક્ષ ગમે તેટલો સમય જાય, સમગ્ર ઘટનાઓમાં ઉંડાણથી ઉતરવા માગશે. ગત થોડા વર્ષોમાં સરકારની કાર્યવાહી જોઈએ તો, આ મુદ્દો ૨૦ કરતાં વધુ વર્ષ જૂનો છે. સમયાંતરે, કાનૂની દાવામાં હકીકતો બહાર આવી છે કે કેટલીક મળેલી સલાહ ખામીપૂર્ણ હતી. જોકે, સમાધાન હાંસલ કરી શકાય તેની ખાતરી માટે અમે ઘણા વર્ષ દબાણ કર્યું અને મને ખુશી છે કે આપણે એવા પોઈન્ટ સુધી પહોંચ્યા છીએ જ્યાં કેટલાક ઉત્તર મળવાના શરુ થશે.’

હવે વિક્ટિમ્સ જજ દ્વારા ઈન્ક્વાયરી થાય તે માટે આતુર છે. પોસ્ટ ઓફિસ હોરાઈઝન સિસ્ટમ પર આધારિત હોય તેવા ૯૦૦ પ્રોસીક્યુશનની સમીક્ષા કરી રહી હોવાનો રિપોર્ટ છે ત્યારે ગુનેગાર ઠરાવતા ચુકાદાઓને વધુ પડકાર મળી શકે છે. દરમિયાન, ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટેજી (BEIS) સિલેક્ટ કમિટીના અધ્યક્ષે આ કૌભાંડના સૂચિત રીવ્યૂને સોગંદ હેઠળ જુબાની આપવા વ્યક્તિઓને બોલાવવાની સત્તા આપવા સરકારને અનુરોધ કર્યો છે. BEIS સિલેક્ટ કમિટીના અધ્યક્ષ ડેરેન જોન્સે પોલ સ્કલીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ‘જાહેરાત આવકાર્ય છે છતાં, હું નિરાશ થયો છું કારણકે આ ઈન્ક્વાયરી જજ દ્વારા કરાશે નહિ અથવા તેને સાક્ષીઓને બોલાવવાના અને સોગંદ હેઠળ જુબાની આપવાની ફરજ પાડતા સમન્સની સત્તા સાથે વૈધાનિક આધાર અપાયો ન હોવાનું જણાય છે. શું ખરેખર આવી સ્થિતિ હોવાનું તમે કન્ફર્મ કરી શકો છો? હું આપને આ સ્વતંત્ર સમીક્ષાને વૈધાનિક આધાર પર મૂકવા અનુરોધ કરું છું જેથી, તે આ કેસ સંબંધિત ચાવીરુપ નિર્ણયો લેનારા પોસ્ટ ઓફિસ અને હોરાઈઝનના વર્તમાન અને પૂર્વ સ્ટાફને બોલાવી-સમન કરી શકે.’

નુકસાનીના વળતર તરીકે જાહેર કરાયેલા ૫૭.૭૫ મિલિયન પાઉન્ડની રકમમાંથી કાનૂની ખર્ચા તેમજ અન્ય ઓવરહેડ્સ કાપી નાખવાના રહેશે. આના પરિણામે, પોસ્ટમાસ્ટર્સના હાથમાં માત્ર ૧૧ મિલિયન પાઉન્ડ જ રહેશે. શું આ સબપોસ્ટમાસ્ટર્સ માટે પૂરતું નાણાકીય વળતર ગણાશે ખરું?  ખાસ કરીને એવા સબપોસ્ટમાસ્ટર્સ માટે, જેઓ ખોટી રીતે ગુનેગાર ઠરાવાયા છે અને કોરોના વાઈરસ મહામારીના કારણે નોકરીઓનું બજાર ગુંગળાયેલી હાલતમાં છે ત્યારે રોજગારની તકો શોધી રહ્યા છે?

મિ. પટેલ QCને ડર એ વાતનો છે કે ‘કમનસીબે આ ‘સ્કેન્ડલ’ની ખરાબ અસરો-જટિલતા આ લોકોની સાથે આજીવન જોડાયેલી રહેશે. એક વ્યક્તિને ક્રિમિનલ ગુનેગાર ઠરાવાય તો તેનો ડાઘ જીવનભર રહે છે. હા, રિહેબિલિટેશન ઓફેન્ડર્સ એક્ટ છે અને સજાની મુદત પર આધાર રાખી રોજગારના હેતુઓ માટે આ સજા કેટલો સમય રેકોર્ડ પર રહેશે તેનો નિર્ણય લેવાય છે.’

તેમણે ઉમેર્યું હતું કે,‘ એવા ચોક્કસ સેક્ટર કે કાર્યક્ષેત્ર છે જ્યાં વ્યક્તિએ આ કાયદાને ધ્યાનમાં રાખ્યા વિના તેમના ગુનેગાર ઠેરવતા ચુકાદાઓ જાહેર કરવા પડે છે. આ ક્ષેત્રોમાં એજ્યુકેશન અને હેલ્થકેરનો સમાવેશ થાય છે જ્યાં લોકોએ પોતાના ક્રિમિનલ રેકોર્ડ વિશે જવાબ આપવાનો રહે છે. એક વખત વ્યક્તિ તેને ગુનેગાર ઠરાવાયા કે સજા વિશે કબૂલાત કરે, ભલે તેને ખોટી રીતે ગુનેગાર ઠરાવાયો હોય અને ચુકાદો ઉલટાવાયો હોય, આ સાથે તેને નોકરી પર રાખવાની તક ધૂંધળી બની જાય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter