SRLC દ્વારા યુક્રેનયુદ્ધના અસરગ્રસ્તો માટે 100,000 ભોજનનું પેકિંગ કરાયું

ન્યૂ યોર્ક સિટીમાં 15 જુલાઈ 2022 ‘શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર ડે’ તરીકે જાહેર

Wednesday 27th July 2022 02:48 EDT
 
 

ન્યૂ જર્સીઃ બિનનફાકારી સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) ના 1000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 જુલાઈએ ન્યૂ જર્સીના પાર્સિપાન્નીની ધ હિલ્ટન હોટેલ ખાતે યુક્રેન કટોકટીના અસરગ્રસ્તો માટે ભોજનનો સામૂહિક કોમ્યુનિટી સર્વિસ ઈવેન્ટ યોજાયો હતો. વોલન્ટીઅર્સે 100,000 ભોજનનું પેકિંગ કર્યું હતું. આ પેકિંગ ઈવેન્ટમાં પાર્સિપાન્નીના મેયર જેમ્સ બાર્બેરિઓ, ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલ, NYC ના મેયર એરિક આડમ્સ વતી ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણ, ઓફિસ ફોર ઈન્ટરનેશનલ એફેર્સના પ્રમુખ રવિ કોહલી, પ્રથમ પેઢીની યુક્રેની અમેરિકન મિસ ન્યૂ જર્સી USA એલેકઝાન્ડ્રા લખમાન સહિતના આમંત્રતો ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના જણાવ્યા અનુસાર SRLCના સ્થાપક ગુરુદેવ શ્રી રાકેશજી પણ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD)ની સ્થાપના કરી હતી. પાર્સિપાન્ની ખાતે આ સામૂહિક મહાપ્રયાસમાં 1000 થી વધુ વોલન્ટીઅર્સ 100,000 મીલ્સનું પેકિંગ કરવા એકત્ર થયા હતા જેમનો હેતુ પૂર્વ યુરોપમાં યુદ્ધના કારણે સર્જાયેલી માનવીય કટોકટીના અસરગ્રસ્તોને મદદ કરવાનો હતો.

મેયર જેમ્સ બાર્બેરિઓએ સંદેશામાં જણાવ્યું હતું કે ‘તમે કોમ્યુનિટીને સપોર્ટ કરવા જે કરી રહ્યા છો તેની સરખામણીએ મારી કામગીરી ઘણી ઓછી છે.’ કોન્સલ જનરલ જયસ્વાલે જણાવ્યું હતું કે,‘ અહી જોવાં મળતી ઊર્જાથી હું રોમાંચિત છું જેનાથી તમે માત્ર અહીંના લોકો સાથે નહિ પરંતુ, સમગ્ર વિશ્વના લોકો સાથે જોડાઈ રહ્યા છો.’ લખમાને જણાવ્યું હતું કે,‘ તમારી સંસ્થા યુક્રેન માટે જે કરી રહી છે તે પ્રશંસાને પાત્ર છે. અમને ખોરાક અને સૌથી વધુ તો આશા આપવા બદલ તમારો આભાર, જેમને અત્યારે ખાસ જરૂર છે તેમની મદદ કરવા બદલ આભાર.’

ન્યૂ યોર્ક સિટીના મેયર એરિક આડમ્સે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીનું સન્માન કર્યું હતું જે ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણ દ્વારા અપાયું હતું. મેયરે 15 જુલાઈ 2022ને ન્યૂ યોર્ક સિટીમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર ડે’ તરીકે જાહેર કર્યો હતો. ચૌહાણે આ ઈવેન્ટને SRLCના સ્વયંસેવકો દ્વારા અભૂતપૂર્વ અને પ્રશંસનીય કાર્ય તરીકે ગણાવ્યો હતો.

સ્વર્ગસ્થ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક અને તત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રની પ્રેરણાથી SRLCની સ્થાપના કરાઈ હતી. SRLC યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ સાથે વિશેષ પરામર્શક દરજ્જો ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter