ગોંડલ: ગોંડલના અક્ષર મંદિરે રવિવારે 92મા પાટોત્સવની ભવ્યતાથી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉમટી પડયા હતા. સવારે અક્ષર બેન્ડની સુમધુર સુરાવલીઓ અને કિર્તનોની રમઝટના રંગે, અક્ષર પુરૂષોત્તમ મહારાજ અને ગુણાતીત ગુરુપરંપરા સંગે ધ્વજાયાત્રાનો પ્રારંભ થયો હતો. ધ્વજાના યાત્રા દ્વારા વધામણા કરાયા હતા. બાદમાં અક્ષર મંદિરમાં ઠાકોરજીને પંચામૃત અભિષેકનો મંગલ પ્રારંભ થયો હતો. સંસ્થાના વિદ્વાન વક્તા સોમપ્રકાશ સ્વામી, રાજકોટ મંદિરના કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી અને ગોંડલના કોઠારી દિવ્યપુરૂષ સ્વામી તેમજ સ્થાનિક સંતોના હસ્તે વેદોક્ત વિધિ બાદ દૂધ, દહીં, ઘી, સાકર અને મધથી ઠાકોરજી પર અભિષેક કરાયો હતો. પંચામૃત અભિષેક બાદ અક્ષરપુરૂષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ અને પ્રથમ ખંડમાં બિરાજિત ધામ, ધામી અને મુક્તની મુર્તિઓને નવા. વાઘા, માથે મુગટ, હાથમાં રૂમાલ, છડી, પગમાં મોજડી સહિત નૂતન શણગારો ધારણ કરાવાયા હતા.


