મારે પણ કંઇક કહેવું છેઃ અનુભવ – અહેસાસ

ઈલાબેન ત્રિવેદી, સ્ટેનમોર Wednesday 02nd October 2019 06:44 EDT
 

હરે કૃષ્ણ મંદિર વોટફર્ડમાં મેં અનુભવેલી સત્ય ઘટના વાચક મિત્રો સાથે શેર કરવા માગું છું. ઘટનાના સંદર્ભમાં દર્શાવેલા વિચારો મારા અંગત વિચારો છે.હું મંદિરમાં ખુરશી પર બેઠી હતી. દર્શનાર્થીઓની અવરજવર ચાલુ હતી. તેવામાં પ્રૌઢ યુગલ સાથે લગભગ અઢી વર્ષની બાળકી પણ હતી. મેં અનુમાન કર્યું કે આ બાળકી તેમની પૌત્રી હશે. દાદાએ હાથ જોડીને ભગવાનને પ્રણામ કર્યા. બાળકીએ તેનું અનુકરણ કર્યું. દાદીએ બાળકીને ખોળામાં બેસાડી ભગવાનની મૂર્તિ સામે હાથ લંબાવીને કહ્યું ‘ બોલ કૃષ્ણ, રાધા, લક્ષ્મણ, રામ, સીતા, હનુમાન’. બાળકી દાદીની પાછળ પાછળ બોલતી હતી. આમ ત્રણ ચાર વખત ચાલ્યું હશે. પછી બાળકી બોલી,‘ કિસન, રાદા, લસમન, રામ, સીતા, હમુમામ’. દાદીએ ‘ગુડ ગલ ગુડ ગલ’ કહ્યું. બાળકી તાળી પાડીને ખિલખિલાટ હસવા લાગી. દાદાએ ખિસ્સામાંથી પરચુરણ કાઢી બાળકીના હાથમાં આપ્યું. બાળકીએ વન, ટુ, થ્રી કહેતા સિક્કા દાનપેટીમાં નાખ્યા. દાદાએ લંબાવેલો હાથ પકડી ત્રણે જણા ચાલવા લાગ્યા. હજુ ચાર પાંચ ડગલાં માંડ ચાલ્યા હશે ત્યાં બાળકી દોડીને પાછી આવી. ભગવાનની પ્રતિમા સામે હાથ લંબાવીને કહે, ‘Everybody sit down, you will get tired.’. બધા બેસી જાઓ થાકી જશો. બાળકીના આ વાક્યે મને સ્તબ્ધ કરી નાખી. મારા હૃદયને ઢંઢોળી નાંખ્યુ. મને અહેસાસ કરાવ્યો કે હું ખુરશી પર બેસીને ભગવાનની મૂર્તિના દર્શન કરું છું પણ આ બાળકીએ તો ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા. ભગવાન તેની જેમ હસે છે, નાચે છે તેથી તેની જેમ થાકી પણ જકા હશે કે પછી તે મને મૂર્તિપૂજામાં પ્રાણપ્રતિષ્ઠાનો સબક સમજાવી ગઈ.

‘Everybody sit down, you will get tired.’ બાળકીના વાક્યનું વારંવાર મનન કરીને હું એ જ નિર્ણય પર આવી છું કે શ્રદ્ધા એટલે જેને આંખેથી જોઈ શકતા નથી તેનામાં માનવું અને ન મનાય તેવું જોવું. શ્રદ્ધાની સાંકળ આત્માને પરમાત્મા સાથે જોડે છે. અનુભૂતિ અને અહેસાસ તેને દ્રઢ બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter