લંડનઃ વંશીય લઘુમતીની પશ્ચાદભૂ ધરાવતા લોકોને અગાઉ કરતાં નોકરી મળવાની શક્યતા સૌથી વધુ હોવાનું સરકારી આંકડામાં જણાવાયું હતું. ગયા વર્ષે ૧૬ વર્ષથી વધુની વયના ૩.૯ મિલિયન વર્કરો વંશીય લઘુમતીના હતા જે અગાઉના વર્ષે ૩.૭ મિલિયન અને ૨૦૧૦માં ૨.૮ મિલિયન હતા. છેલ્લાં દસકામાં વંશીય પશ્ચાદભૂમિના ૧.૨ મિલિયન લોકો સાથે રોજગારી મેળવતા લોકોની સંખ્યામાં ૩.૬ મિલિયનનો વધારો થયો હતો.
એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર આલોક શર્માએ જણાવ્યું હતું કે બ્રિટન સમાન રોજગારી તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ, હજુ ઘણી પ્રગતિ કરવાની બાકી છે. વંશીય લઘુમતીના વર્કરો માટેનો રોજગારી દર વિક્રમજનક ૬૬.૫ ટકા થયો છે. તેમાં મોટાભાગના પાકિસ્તાની અને બાંગ્લાદેશી છે.
અગાઉ, અશ્વેત લોકો અને ભારતીય તથા ચીની મૂળના લોકોની સરખામણીમાં તેમની કામ કરવાની શક્યતા ઓછી હતી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જણાવાયું હતું કે ભૂતકાળમાં અશ્વેત વર્કરોને સરેરાશ કરતાં પણ ઓછી રોજગારી મળી હતી. પરંતુ, આ દસકામાં તેમાં ૩૩ ટકાનો વધારો થયો હતો.