આંતરરાષ્ટ્રીય વિધવા દિન નિમિત્તે લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ કોન્ફરન્સ

Wednesday 30th June 2021 06:15 EDT
 
 

લંડનઃ લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા ૨૩ જૂનના આંતરરાષ્ટ્રીય વિધવા દિન નિમિત્તે ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. લોર્ડ રાજ લૂમ્બા અને તેમના પત્ની વીણાએ ૧૯૯૭માં શ્રીમતી પુષ્પાવતી લૂમ્બા ટ્રસ્ટની સ્થાપના કરી હતી જે આજે લૂમ્બા ફાઉન્ડેશન તરીકે ઓળખાય છે. લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા ૨૦૦૫માં ઈન્ટરનેશનલ વિડો ડેનું લોન્ચિંગ કરાયું હતું જેને વિશ્વના ઘણા દેશોમાં લાખો વિધવાઓ અને તેમના આશ્રિતોની ગરીબી અને અન્યાયનો સામનો કરવા યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાલી અપાઈ હતી.

વિશ્વભરમાં વિધવા સ્ત્રીઓ અને તેમના બાળકો તરફ આચરાતા ભેદભાવો નાબૂદ કરવાના ધ્યેય સાથે ૨૫ માર્ચ, ૧૯૯૮ના દિવસે ચેરિટીની સત્તાવાર સ્થાપના કરાઈ હતી જેમાં તત્કાલીન વડા પ્રધાન ટોની બ્લેર અને તેમના પત્ની શેરી બ્લેર QC ઉપસ્થિત હતાં. શેરી બ્લેર ફાઉન્ડેશનના પ્રથમ પેટ્રન અને ૨૦૦૪થી તેના પ્રેસિડેન્ટ રહ્યાં છે.

લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય વિધવા દિન ૨૦૨૧ની ૧૦મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. લોર્ડ કરન બિલિમોરિઆએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે યુકેની વસ્તીમાં સ્ત્રીઓનો ૫૦ ટકા હિસ્સો છે પરંતુ, માત્ર ૧૭ ટકા મહિલાઓ બિઝનેસની માલિક છે. સૌથી મોટો અવરોધ ઓછાં આત્મવિશ્વાસનો છે. જો મહિલાઓની આ પરિસ્થિતિ હોય તો વિશ્વભરની વિધવાઓની શું હાલત હશે તેની કલ્પના કરો. આ બાબત સ્વીકારી શકાય નહિ.’

લોર્ડ રાજ લૂમ્બાએ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિઓ ગુટેરેસનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો જેમાં જણાવાયું હતું કે ‘સરકારો મહામારી મુદ્દે આર્થિક અને સામાજિક સપોર્ટ કરી રહી છે ત્યારે વિશ્વની ૨૫૦ મિલિયન વિધવાઓનો પણ વિચાર કરાવો જોઈએ જેમાંથી ૧૦ ટકા વિધવા દારુણ ગરીબીમાં જીવે છે.’ લોર્ડ રાજ લૂમ્બાએ જણાવ્યું હતું કે ‘મહામારીની અસર માનસિક આરોગ્ય પર પણ થઈ રહી છે. સૌથી અસહાય જૂથોમાં વિધવાઓનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાની રીતે જ નાણાકીય વ્યવહારો, બાળકોના ઉછેર અને ઘરનો વહીવટ કરવો પડે છે જે કટોકટીના સમયમાં તેમને વધુ અસહાય બનાવે છે.’

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીત કરતા લોર્ડ લૂમ્બાએ વિધવાઓની મદદ કરવા શું ન થવું જોઈએ તેના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,‘ વિધવાઓને કલંકિત ગણવી ન જોઈએ કે વિધિઓ દરમિયાન દૂર રાખવી ન જોઈએ. કેટલાક દેશોમાં વિધવાને મૃત પતિના ભાઈ સાથે લગ્ન કરવાની ફરજ પડાય છે. જૂના જમાનામાં એમ મનાતું હતું કે તે લગ્ન કરી બાળકોની સંભાળ લેશે પરંતુ, ઘણા કિસ્સામાં વિધવા HIV પોઝિટિવ હોવાથી તેઓ પત્નીને સ્વીકારતા નથી.’

લૂમ્બા ફાઉન્ડેશનના પ્રખર સમર્થક, લોર્ડ લૂમ્બા સાથે આંતરરાષ્ટ્રીય વિધવા દિન તરીકે યુએનની માન્યતા મેળવવામાં સાધનરુપ અને સંસ્થાના પ્રમુખ શેરી બ્લેરે જણાવ્યું હતું કે,‘ વિધવાઓની યાતના વિશે જાગૃતિ વધી રહી છે તેમજ સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પરની તેની વ્યાપક અસરો મેં નિહાળી છે. ગત બે દાયકામાં લૂમ્બા ફાઉન્ડેશનના પ્રોગ્રામ્સ મારફત ૧૦૦૦થી વધુ વિધવાઓનું જીવન પરિવર્તન પામ્યું છે.’

ભારત, યુએસ, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, નાઈજિરિયા, નેપાળ સહિતના દેશોમાં લૂમ્બા ફાઉન્ડેશન કામગીરી બજાવી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter