સંસ્કૃત વિદ્વાન અને જાણીતા વક્તા પૂ. આચાર્ય રામાનુજજી યુકેની મુલાકાતે આવી રહ્યા છે. શાંતિધામ દ્વારા લેસ્ટરમાં તા.૨૩થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન તેમની વ્યાસપીઠે ‘શ્રીમદ ભાગવત સપ્તાહ’નું આયોજન કરાયું છે. જેમાં જાહેર જનતાને પધારવા આમંત્રણ છે.
તેઓ બાળપણથી જ ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયા હતા. ગુજરાતના એક નાના ગામમાં તેમનો જન્મ થયો હતો. શિક્ષક માતા-પિતાની છત્રછાયામાં તેમને માત્ર ૧૦ વર્ષની ઉંમરે રામાયણનો સંપૂર્ણ સુંદરકાંડ મુખપાઠ હતો. ભાગવત વિદ્યાપીઠના વિશ્વ વંદનીય પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રીજી (દાદાજી)ના સાનિધ્યમાં તેમણે બ્રહ્મચર્યાશ્રમની ઉપાસનાનો આરંભ કર્યો અને વેદ, પુરાણ, ઉપનિષદ, તેમજ વેદાંત વિષય સાથે આચાર્યની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેમની સેવાપરાયણતાથી પ્રસન્ન થઈને પૂ. દાદાજીએ તેમને શ્રીમદ ભાગવતની દીક્ષા આપી. પૂ.રામાનુજજીએ ૧૯૯૬માં પ્રથમ વખત પૂ. દાદાજીના સાનિધ્યમાં વડોદરા નજીકના સાગર આશ્રમ ખાતે રામાયણની કથાથી વક્તાના રૂપે ધર્મયાત્રાનો આરંભ કર્યો હતો. તેમણે ૨૦૦૪ના મહાકુંભમાં ઉજ્જૈનમાં પણ ‘શ્રી રામ કથા’ કરી હતી.
પૂ.રામાનુજજીએ દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા તેમજ ભારતના અનેક પ્રસિદ્ધ સ્થાનો પર કથા દ્વારા પાવનતાનો સંદેશ લોકોના હૃદય સુધી પહોંચાડ્યો છે.
સંપર્ક. C/o શાંતિધામ 07528 940 636
વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન. ૯