લંડનઃ બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA) દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ અહેવાલમાં જણાવાયું છે કે ઈમિગ્રન્ટ્સને NHS દ્વારા સારસંભાળ લેતાં અટકાવાયા હતા. કેટલીક સગર્ભા મહિલાએ તેમની પાસેથી ચાર્જ લેવાવાના ભયે ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછીની સારવાર લેવાનું ટાળ્યું હતું. આ જ રિપોર્ટમાં જણાવાયું છે કે પેશન્ટ્સને સર્જરી કરાવાના થોડાં સમય અગાઉ જ ચાર આંકડાના ચાર્જની માહિતી અપાઈ હતી.
BMA રિપોર્ટ મોટા ચાર્જની અસરના સભ્યોના અનુભવોના સર્વે પર આધારિત છે. સારસંભાળ માટે ભારે ચાર્જ લેવાની વિપરીત અસર વિશે ૨૮૫ મતદારને પ્રશ્ન કરાયો ત્યારે ૩૫ ટકાએ જણાવ્યું હતું કે પેશન્ટ્સને NHSની સારસંભાળની સુવિધા મેળવતા અટકાવાય છે, જ્યારે ૨૪ ટકાએ આમ થતું નહિ હોવાનું કહ્યું હતું. NHS સારસંભાળ માટે અપફ્રન્ટ એટલે કે વહેલી ચૂકવણીના આગ્રહના કારણે ઈમિગ્રન્ટ પેશન્ટ્સ કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે સારવાર લેતાં વિચારે છે, આમ ડોક્ટર્સ દ્વારા પુરાવાઓ પણ જણાવે છે.
એક કિસ્સામાં પેશન્ટે કથિતપણે કેન્સરની સારવાર લીધી ન હતી કારણકે તે NHSની મફત સારવારને પાત્ર ન હતી. આના પરિણામે, તેનું મૃત્યુ થયું હતું. ઈમિગ્રન્ટ્સ પ્રત્યે સરકારના દુશ્મનાવટ જેવા વલણના ભાગરુપે NHS દ્વારા ૨૦૧૭માં ચોક્કસ સારવાર માટે અપફ્રન્ટ ચાર્જીસ દાખલ કરવામાં આવ્યા હતાં.
BMA દ્વારા નવી માફી-રાહતો અને સેફગાર્ડ્સ સહિત NHS ચાર્જિંગની અસરો વિશે સંપૂર્ણ સ્વતંત્ર સમીક્ષા માટે હિમાયત કરવામાં આવી છે.