ઈશ્વરીય અવતાર ગણાવતા પંથગુરુએ ધર્મ લજવ્યોઃ ૪ મહિલા શ્રદ્ધાળુ પર બળાત્કારનો આક્ષેપ

શેફાલી સક્સેના Wednesday 21st April 2021 07:19 EDT
 
 

 લંડનઃ પોતાને ઈશ્વરનો અવતાર ગણાવતા કોવેન્ટ્રી ટેમ્પલ સંપ્રદાયના ૬૫ વર્ષીય ગુરુ રાજિન્દર કાલીઆ સામે ચાર શ્રદ્ધાળુ મહિલાના બળાત્કાર કરવાના આક્ષેપો કરાયા છે. કાલીઆએ પોતાના અનુયાયીઓને તે ખુદ ‘દિવ્ય’ હોવાનું માનવાનું ઠસાવ્યું હતું. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે રાજિન્દર સામે જાતીય શોષણ અને ક્રિમિનલ અપરાધોના ચાર્જ લગાવ્યા છે. આ કેસ બહાર આવતા જ બ્રિટિશ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓએ આ મંદિરથી છેડો ફાડ્યો છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર આરોપીએ બેલ ગ્રીન, કોવેન્ટ્રીના બાબા બાલક નાથ મંદિરમાં ચાર વર્ષ જેટલા નાના બાળ ભક્તોને લલચાવવા પોતાના પ્રભાવ અને સત્તાનો ઉપયોગ કર્યો હતો. તેણે મંદિરના કોઈ સભ્યો તેનો વિરોધ કરે તો તેમનિ હેરાનગતિ કરવા પોતાના અનુયાયીઓની ઉશ્કેરણી કરી હોવાનો પણ આરોપ લગાવાયો છે. રાજિન્દર પોતાની ગાદી-તખ્ત પર બેસે ત્યારે અનુયાયીઓ તેના પગને સ્પર્શ અને ચુંબન કરતા હતા. તેના ભક્તોનો દાવો હતો કે રાજિન્દર ચમત્કારિક શક્તિઓ ધરાવે છે તેથી જ તેનો ૪૧ વર્ષનો પુત્ર પાવન છેલ્લાં ૩૦ વર્ષથી કેન્સરથી પીડાતો હોવાં છતાં આજે જીવતો છે. તેના અનુયાયીઓ તેને વ્યક્તિદીઠ ૧૨,૦૦૦ પાઉન્ડ જેટલું દાન આપતા રહેતા હતા.

અત્યાર સુધી ચાર મહિલાએ તેની સામે જાતીય ગેરવર્તનનો આક્ષેપ લગાવ્યો છે. પીકોક લો ખાતેના કન્સલ્ટન્ટ સોલિસિટર ક્લેર કિરબી દ્વારા ગયા મહિને હાઈ કોર્ટમાં આક્ષેપો ફાઈલ કરાયા હતા. ટાઈમ્સના અહેવાલ અનુસાર ચાર મહિલા ઉપરાંત, એક પુરુષ અને એક સ્ત્રીએ રાજિન્દરના પ્રભાવ હેઠળ અને તેના અવેતન નોકર તરીકે તેને આપેલા ૧.૧ મિલિયન પાઉન્ડ ગુમાવ્યા હોવાનો દાવો પણ કર્યો છે. અન્ય એક મહિલાએ પણ આવા જ દાવા સાથે ૫૨૦,૦૦૦૦ પાઉન્ડની માગણી રાખી છે.

હિન્દુ કોમ્યુનિટીએ છેડો ફાડ્યો

આ કેસ બહાર આવતા બ્રિટિશ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ આ મંદિરથી અળગી થઈ ગઈ છે. ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ દ્વારા  આ કેસની હિન્દુ કોમ્યુનિટી પર અસર સમજવા કોમ્યુનિટીના અગ્રણી સભ્યોનો સંપર્ક કર્યો હતો.

હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK)ના જનરલ સેક્રેટરી/ડાયરેક્ટર રજનીશ કશ્યપે કાઉન્સિલ વતી ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બ્રિટિશ હિન્દુઓ અને તેમના મંદિરોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય છત્રસંસ્થા હિન્દુ કાઉન્સિલ યુકેએ તાકીદની બેઠક પછી કોવેન્ટ્રીના બાબા બાલક નાથ ટેમ્પલનું HCUK સાથેનું જોડાણ સસ્પેન્ડ કર્યું છે.’

નિવેદનમાં જણાવાયું છે કે,‘હિન્દુઈઝમ વિશ્વનો સાથી પ્રાચીન ધર્મ છે જેના મૂળિયા અને રીતરિવાજ-પરંપરા ૪,૦૦૦ કરતાં વધુ વર્ષ અગાઉના છે. હિન્દુઓ માટે ધર્મ વિશેષ મહત્ત્વનો છે. હિન્દુઈઝમમાં તેનો અર્થ ‘કર્તવ્ય’, ‘ગુણ’, ‘નૈતિકતા’ થાય છે. ધર્મને સુસંગત યોગ્ય કાર્ય માનવતા અને ઈશ્વરની સેવા સમાન છે. હિન્દુઈઝમમાં સાચા ગુરુ અને શિષ્યનો સંબંધ મહત્ત્વનો છે અને તે આદરમાંથી જન્મે છે તેમજ તેમાં ચર્ચાને અવકાશ રહે છે. એ સમજવું જોઈએ કે દિવ્ય સ્રોતથી ગુરુ મારફતે જ્ઞાન અને શક્તિની પ્રાપ્તિ થાય છે. તે કોઈ વ્યક્તિમાંથી ઉદ્ભવતી નથી. દિવ્ય શક્તિ આદર, સમજણ અને સ્વીકારના સ્વરુપે આવે છે, અંકુશ અને દુરુપયોગમાંથી નહિ.

રાજિન્દર કાલીઆ સંબંધે હાઈ કોર્ટમાં કરાયેલા આક્ષેપો અતિ ગંભીર છે અને આ પદ્ધતિઓ બાબા બાલક નાથની વિચારધારાથી વિપરીત છે. રાજિન્દર કાલીઆની કથિત પ્રવૃત્તિઓ ઘૃણાસ્પદ છે અને હિન્દુઈઝમનું પ્રતિબિંબ નથી કે હિન્દુ ધર્મમાં સ્વીકાર્ય નથી.’

બ્રિટિશ ઓર્ગેનાઈઝેશન ફોર પીપલ ઓફ એશિયન ઓરિજિન (BOPA)ના જનરલ સેક્રેટરી દેવિન્દર પ્રસાદે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સમક્ષ આ બાબતે જણાવ્યું હતું કે, ‘બાબા બાલક નાથ ટેમ્પલ સંપ્રદાયનો ભાગ હોય તેવા ઘણા લોકોને હું જાણું છું. આ બધા સમર્પિત લોકો છે. મને સમજાતું નથી કે ઘણા લોકો શા માટે પોતાને આધ્યાત્મિક ગુરુ કહેવડાવતા લોકોથી આકર્ષાય છે. હું માનું છું કે લોકો સમક્ષ પસંદગી હોય છે. પરંતુ, આવી વાતો જ્યારે બહાર આવે છે ત્યારે તેમાં કશું સત્ય હોય જ છે. આ કેસમાં હજું કશું પુરવાર થયું ન હોવાથી આપણે અટકળો બાંધી ન શકીએ. આમ છતાં, જો આમ થયું હોય અને સત્ય હોય તો તે કલંકરુપ છે.’

 ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ દ્વારા લોકોને આધ્યાત્મિક અથવા ચમત્કારોથી સાજા કરનારાઓનો હંમેશાં વિરોધ કરાયો છે અને અમારી નેતિકતાપૂર્ણ નીતિના ભાગરુપે અમે એક પબ્લિકેશન તરીકે અમને ઓફર કરાતી જંગી રકમોની આવકને જતી કરીએ છીએ અમે અમારા વાચકોને તેમની આસ્થા યોગ્ય પ્રથા-પરંપરામાં રાખવા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા પ્રોત્સાહિત કરીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter