લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવાર ૨૮ જુલાઈએ સ્વીકાર્યું કે યુરોપમાં કોવિડ-૧૯ના સંક્રમણનું બીજું મોજું ફેલાઈ રહ્યું છે તેનાથી યુકેમાં પણ બીજા લોકડાઉનની સંભાવનાનો ભય સર્જાયો છે. એશિયનોના પ્રભુત્વવાળી લેસ્ટર કાઉન્ટી તેમજ લૂટન અને બ્લેકબર્ન જેવા ઈન્ડસ્ટ્રીઅલ નગરોમાં નિયંત્રણો અમલમાં છે. આમ છતાં, સરકાર ખાસ કરીને ભાંગી પડેલા હોસ્પિટાલિટી સેક્ટર સહિત અર્થતંત્રને ચેતનવંતું બનાવવા આતુર છે. પ્રશ્ન એ છે કે બિઝનેસીસ ફરી કામે વળગવા તૈયાર છે? સરકારની વિવિધ યોજનાઓ છતાં, કરી ઈન્ડસ્ટ્રી સંઘર્ષરત છે. ઊંચા ભાડાં, લંડન જેવા શહેરોમાં તાજેતરમાં લગાવાયેલા કન્જેશન ચાર્જીસમાં ફેરફારો, સેફ્ટી ગાઈડલાઈન્સના અમલ છતાં કસ્ટમર્સમાં સંક્રમણ લાગી જવાનો ભય, આ બધાનો અર્થ એ છે કે આ કરી હાઉસીસના પ૦ ટકા તો અસ્તિત્વ જાળવી શકશે નહિ. જો દાર્જીલિંગ એક્સપ્રેસ જેવાં લોકપ્રિય રેસ્ટોરાં મહામારીનો સામનો કરી શક્યાં નથી તો સ્વદેશી અને સ્વતંત્ર કરી હાઉસીસ શું કરી શકે?
બાંગલાદેશ કેટરર્સ એસોસિયેશન (BCA)ના વાઈસ પ્રેસિડેન્ટ ઓલી ખાન ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં કહે છે કે, ‘હું મારા રેસ્ટોરાંમાં ૧૪ જણને કામે રાખતો હતો હવે માત્ર છ લોકો કામ કરે છે. અમે મોટા ભાગે ટેઈકઅવેનું જ કામ કરીએ છીએ કારણકે લોકો અહીં બેસીને જમવામાં ગભરાય છે. ફર્લો સ્કીમનો અંત આવશે અને કસ્ટમર્સના આવવાનું ઓછું જ રહેશે તો અમારા સ્ટાફ માટે પગાર ક્યાંથી કાઢીશું તે સમજાતું નથી.’
પ૦ ટકા કરી હાઉસીસ ફરી ખુલશે જ નહિ
BCA ૧૨,૦૦૦ બાંગલાદેશી રેસ્ટોરાં અને ટેઈકઅવે કરી હાઉસીસની પ્રતિનિધિ સંસ્થા છે. બ્રેક્ઝિટ તેમજ કડક ઈમિગ્રેશન સિસ્ટમના કારણે સ્ટાફની અછતના પરિણામે ૧૪ બિલિયન પાઉન્ડનો કરી ઉદ્યોગ મરણપથારીએ પડ્યો છે. કસ્ટમર્સની સંખ્યા ઘટવા ઉપરાંત, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ની સૂચના અનુસાર રેસ્ટોરાંમાં સેનિટાઈઝેશનથી માંડી સ્ટાફને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ (PPE) પૂરાં પાડવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી સહિત નવી હેલ્થ અને સેફ્ટી ગાઈડલાઈન્સના પાલન માટે વધારાના ખર્ચનો બોજો પણ આવ્યો છે. રેસ્ટોરાં ખોલવા ૪ જુલાઈથી પરવાનગી અપાયા પછી મોટા ભાગનાતો ટેઈકઅવે ઓર્ડર્સ પર જ આધાર રાખે છે.
કિંગફિશર બિયર દ્વારા કરાયેલા તાજેતરના સર્વે અનુસાર બ્રિટનના ૯૧ ટકા કરી હાઉસ લોકડાઉન દરમિયાન કેટલાંક અંશે ટેઈક અવે અને ડિલિવરી કરવા માટે ખુલ્લાં રહ્યા હતા. આ સંખ્યા સ્પષ્ટ કરે છે કે બિઝનેસ માલિકો કટોકટીમાંથી પાર ઉતરવા પ્રયાસ કરી રહ્યા છે. ચાન્સેલર સુનાકની ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનામાં યુકેના ૫૩,૦૦૦ રેસ્ટારાંએ વિક્રમી સંખ્યામાં ભાગીદારી નોંધાવી છે.
ઓલી ખાન પોતાના રેસ્ટોરાં વિશે કહે છે કે,‘ અમારું ૧૨૦ સીટનું રેસ્ટોરાં છે. અમે આ સ્કીમમાં ભાગ લઈ રહ્યા નથી કારણકે તેમાં સરકારમાં રજિસ્ટ્રેશનથી માંડી ફંડનો દાવો કરવાનું કાર્ય વધુ રહે છે. અમે અસ્તિત્વ જાળવવા મથી રહ્યા છીએ અને કામનો બોજો વધારવા ઈચ્છતા નથી.’
ફીઝિકલ ઈવેન્ટ્સથી સોશિયલ મીડિયા કાર્યક્રમો
કરી હાઉસીસ અસ્તિત્વના સંઘર્ષ માટે નાણાકીય રણનીતિઓ ઘડી રહ્યા છે ત્યારે યુકેની એન્ટરટેઈન અને કલ્ચર ઈન્ડસ્ટ્રી સ્થૂળ થીએટર્સ અને વર્કસ્પેસીસમાંથી વધુ પ્રમાણમાં ઓનલાઈન કન્ટેન્ટ તૈયાર કરવા તરફ ફેરફાર કરી રહ્યા છે. ટોની શેરગિલ બ્રિટિશ એશિયનો માટે ફેશન, લાઈફસ્ટાઈલ અને મ્યુઝિકના સૌથી મોટા ઓનલાઈન પ્લેટફોર્મ્સમાંના એક BritAsia TVના સીઈઓ છે. તેઓ નવી સામગ્રીઓ પૂરી પાડવાની સાથોસાથ પંજાબી ફિલ્મ એવોર્ડ્સ અને બ્રિટ એશિયા મ્યુઝિક એવોર્ડ્સ જેવી બે મોટી વાર્ષિક એવોર્ડ્સ નાઈટનું આયોજન પણ કરે છે. પરંપરાગત રીતે, મોટા ભાગની એવોર્ડ્સ નાઈટ લંડનમાં વેમ્બલી SSE એરીના સ્ટેડિયમ અને JW મેરિયોટ અથવા ગ્રોવનર હાઉસ સહિતના પ્રતિષ્ઠિત સ્થળે લંડનમાં યોજાતી હતી.
પોતાના બિઝનેસ પર મહામારીની અસર વિશે ટોની કહે છે કે,‘અમારે આ વર્ષે અમારા બંને ઈવેન્ટ્સ મુલતવી રાખવા પડ્યા છે અને આગામી વર્ષે પણ કોવિડ-૧૯ના બીજાં મોજાંની અચોક્કસતા વચ્ચે આયોજન મુશ્કેલ છે. આગામી વર્ષે વેન્યુ માટે તારીખો નિશ્ચિત કરવમાં પણ સમસ્યા છે. વર્ચ્યુઅલ કે ઓનલાઈન કાર્યક્રમો યોજવામાં રંગત જામતી નથી. લોકો આવા એવોર્ડ્સકાર્યક્રમોમાં હાજરી આપે છે કારણકે સારી નેટવર્કિંગ તક મળે છે, વેપારી સંબંધો વિકસાવી શકાય છે અને મઝા પણ મળે છે. અમે ટીવી બિઝનેસમાં છીએ અને મહામારીએ બેવડો માર માર્યો છે. ટેલિવિઝન માટે સૌથી વધુ ઓડિયન્સ છે તેવા સમયે ટીવી માટે સામગ્રી તૈયાર કરવી અને દૂરના સ્થળઓથી પહોંચાડવી તે ઘણી મુશ્કેલ પ્રક્રિયા છે.’ જોકે, ટોની કોવિડ-૧૯ મહામારીની સારી બાજુ પણ દર્શાવે છે. તેણે ટીવીના વિકલ્પ તરીકે BritAsia Radio ઓનલાઈન શરુ કર્યો છે. આ ઉપરાંત, BritAsia TV યુકેની મુલાકાત લેનારા મ્યુઝિકલ આર્ટિસ્ટ્સ સાથે ભાગીદારી પણ કરે છે. આ વર્ષે મુલતવી કરાયેલા એશિયન એવોર્ડ્સમાં BritAsia મ્યુઝિક એવોર્ડ્સ એકમાત્ર નથી. મુલતવી રખાયેલા મુખ્ય એવોર્ડ્સમાં ધ એશિયન એવોર્ડ્સ અને બ્રિટિશ કરી એવોર્ડ્સનો પણ સમાવેશ થાય છે.
મીઠાઈ સાથે ઉત્સવોની ઉજવણી
ચારે તરફ નિરાશા અને હતાશાનું વાતાવરણ છવાયું છે ત્યારે ભારતીય ડાયસ્પોરા રક્ષાબંધન, ભારતીય સ્વાતંત્ર્ય દિન, ગણેશ ચતુર્થી અને છેક દિવાળી સુધીના તહેવારોની ઉજવણી કરવાના નવતર વિચારોમાં લાગી ગયેલ છે. રક્ષાબંધન ત્રીજી ઓગસ્ટે છે તેને અનુલક્ષીને પેન્ડોરા સ્વીટ્સના નૈના સોનીએ ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘પેન્ડોરા સ્વીટ્સની બોલબાલા છે. વર્તમાન સંજોગોના કારણે ઘણા ભાઈ-બહેન એકબીજાને મળી શકે તેમ નથી ત્યારે હું તેમના વતી ભાઈઓને વિશેષ મેસેજ સાથે પેન્ડોરા પેંડા અને રાખી મોકલી આપીને મદદ કરું છું. લોકોને વિશિષ્ટ સોડમ સાથે પરંપરાગત મીઠાઈઓ મેળવવાનો આનંદ મળે છે. હું અત્યારે સામાન્ય પેંડા બનાવતી નથી. મારી કંપની ઘણી નાની છે અને હું મારી પુત્રી અને પુત્રવધુની મદદથી ઘરમાંથી જ ચલાવું છું.’ તેઓ કહે છે કે, ‘દિવાળી સુધીમાં મારે કામ મોટા પાયા પર કરવું છે. અમે લક્ઝુરિયસ મીઠાઈની લાઈન પર કામ કરી રહ્યાં છીએ. અમને ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પરથી ભાઈઓના નામ સાથે જે ઓર્ડર્સ મળ્યા છે તેના પર રક્ષાબંધન પર્વના અંગત સંદેશા મૂકીએ છીએ. પેંડાની વિવિધ વેરાઈટીઝમાં ગુલાબ અને પિસ્તા, મેન્ગો અને કોકોનટ, ન્યુટેલા, ઓરેઓ, સ્ટ્રોબેરી અને ક્રીમ, પાઈનેપલ (પિના કોલાડામાં આલ્કોહોલ જરા પણ નથી) અને કોફીની ફ્લેવર્સ રાકે છીએ. ૧૦૦ જેટલા ઓર્ડર્સ વધી જવાથી મારે આ સપ્તાહે લોકોને ના પણ પાડવી પડી હતી.’