કિંગ્સબરીમાં ભારે આગથી પ્રોપર્ટીને નુકસાનઃ છ વ્યક્તિનો બચાવ

Wednesday 24th June 2020 01:01 EDT
 
 

લંડનઃ કિંગ્સબરીની એક દુકાનમાં સોમવાર ૨૨ જૂનની મોડી રાત્રે ભારે આગ લાગવાથી નજીકની પ્રોપર્ટી આગની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ હતી. આ કિંગ્સબરી પ્રિન્ટર્સ પ્રોપર્ટી દિલીપભાઈ હિરાણીની હતી. આગમાંથી ત્રણ બાળકો અને ત્રણ પુખ્ત વ્યક્તિને બચાવી લઈ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આગને વહેલી સવારે કાબુમાં લઈ શકાઈ હતી. કિંગ્સબરી પ્રિન્ટર્સને અડીને આવેલા ફ્લેટમાં રહેતા ચેતન હિરાણીની ૧૨ વર્ષની ભત્રીજીએ બારીની બહાર આગની જ્વાળા નિહાળી હતી.

લંડન ફાયર બ્રિગેડને આગના કોલ્સ મળતા વેમ્બલી, ફિન્ચલી, હેન્ડોન, સ્ટેનમોર અને મિલ હિલથી ફાયરફાઈટર્સ દોડી આવ્યા હતા. બ્રીધિંગ એપરેટસ સાથે તેમણે બે પુરુષ એક મહિલા અને ત્રણ બાળકોને બચાવવા અંદરની નીસરણીનો ઉપયોગ કર્યો હતો. આ લોકોને તત્કાળ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. દિલીપભાઈએ જણાવ્યું હતું કે,‘ હોસ્પિટલમાં મારો પુત્ર ચેતન અને તેના પરિવારની છ વ્યક્તિ છે. તેઓ સાજા છે, બાજુની પ્રોપર્ટીમાંથી માત્ર ધુમાડો આવ્યો હતો.’ આગથી બિલ્ડિંગના અડધા ગ્રાઉન્ડ ફ્લોરને નુકસાન પહોંચ્યું હતું અને પાસેના બેઠકખંડનો પણ નાશ થયો હતો.

દિલીપભાઈ હિરાણીએ લંડન બરો ઓફ બ્રેન્ટને ફરિયાદ સાથે લખ્યું છે કે મારા ૪૦ વર્ષની તમામ મહેનત ગુમાવી છે, મારા તમામ પ્રિન્ટિંગ મશીનને નુકસાન થયું છે. ૧૯૭૭માં હું  આ બિલ્ડિંગમાં પ્રિન્ટર તરીકે કામ કરતો હતો અને ૧૯૮૪માં મારા એમ્પ્લોયર પાસેથી તે કંપની ખરીદી હતી.  હવે બધું ખલાસ થઈ ગયું છે.આ વર્ષે ઈન્સ્યુરન્સ કંપનીએ મારા ઘરની મુલાકાત લીધી હતી. એક તરફ, ટાયરની દુકાન અને બીજી તરફ, શીશા બાર લોન્જ હોવાથી આગના ભયના કારણે કંપનીએ તેમના બિલ્ડિંગનો ઈન્સ્યુરન્સ રીન્યુ કરવા ઈનકાર કર્યો હતો.

દિલીપ હિરાણીએ લખ્યું છે કે,‘મેં મારા પરિવારને જણાવ્યું છે કે મને કશું થાય અને હું કાલે મૃત્યુ પામું તો મારા પર વેર વાળવા અને મારી હેરાનગતિ કરવા બદલ બ્રેન્ટ કાઉન્સિલને હું જવાબદાર ઠરાવું છું. હું હવે વધુ સહન કરી શકું તેમ નથી અને મને તમારી ઓફિસની બહાર આમરણાંત ઉપવાસ કરવાની પરવાનગી આપો અથવા તમારા ડિપાર્ટમેન્ટની બેદરકારીથી થયેલા મારા નુકસાનવું વળતર આપો. મારો પરિવાર, બે પુખ્ત લોકો, બે બાળકો - ૧૧ વર્ષનો પુત્ર અને પ વર્ષની પુત્રી મારા ઘરની દીવાનખંડના ફ્લોર પર સૂઈ રહીએ છીએ.’

દિલીપ હિરાણી બ્રેન્ટ કાઉન્સિલ તરફથી ભારે હેરાનગતિનો શિકાર બન્યા હોય એમ જણાય છે. તેમણે વ્યથા વ્યક્ત કરી છે કે,‘ હવે તમે ખુશ હશો, હવે કોઈ કનડગત નહિ રહે, મારા ઈનવોઈસીસ ખોટાં હોવાનાં જુઠાણાં પણ નહિ રહે, હિરાણી ફેમિલીને એન્ફોર્સમેન્ટ નોટિસો પણ બજાવવાની નહિ રહે, તમારું કામ મારા બિલ્ડિંગ પાસેની પબ કાર પાર્કમાંથી શીશા બાર લોન્જમાં ફેરવાયેલી મિલકતને લાગેલી આગથી પૂર્ણ થયું છે. હવે મારે કશું ગુમાવવાનું નથી.’ તેમણે એમ પણ લખ્યું છે કે તમારા ડિપાર્ટમેન્ટે ૨૦૧૮માં મારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ ખર્ચ કર્યો હતો અને મેં લીગલ ફીસ પાછળ હજારો પાઉન્ડ ખર્ચ્યા છે અને કેસ હજુ ચાલે જ રાખે છે.

ચેતન હિરાણીએ જણાવ્યું હતું કે અમારી કાર બળી ગઈ છે, મારી કંપનીની વાન તો ગળી જ ગઈ છે. જો તેને અન્ય સ્થળે પાર્ક કરી હોત તો પેટ્રોલ ટાંકી જ સળગી ઉઠી હોત અને વધુ નુકસાન થયું હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter