લંડનઃ યુકેના નેશનલ કોરોના વાયરસ સર્વેમાં જે લોકો ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેમાંથી ૮૬.૧ ટકા લોકોને કોરોના જે દિવસે ટેસ્ટ કરાયો ત્યારે રોગચાળાના એક પણ મહત્ત્વના લક્ષણો જોવા મળ્યા ન હતા. પરીક્ષણોમાં ૧૧૫ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા અને માત્ર ૨૭ લોકોમાં સામાન્ય લક્ષણો જણાયા હતા. યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ લોકડાઉન ગાળાનો ડેટા તપાસ્યા પછી તેમનો અહેવાલ ક્લિનિકલ એપિડેમીઓલોજીમાં પ્રસિદ્ધ થયો હતો.
સંશોધકોએ દાવો કર્યો છે કે યુનિવર્સિટીઓ કે મીટ પ્રોસેસિંગ ફેસેલિટીઝ સહિત ભારે જોખમના કામના સ્થળો અને કોમ્યુનિટીમાં આટલી હદે ‘સાઈલન્ટ ટ્રાન્સમિશન’ના પરિણામે વ્યાપક પરીક્ષણો વિના કોવિડ-૧૯ ના ભાવિ રોગચાળાને કાબુમાં લેવો ભારે મુશ્કેલ બની રહેશે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા એપ્રિલ અને જૂન મહિના દરમિયાન ૩૬,૦૦૦થી વધુ લોકોના કરાયેલા સર્વેમાં ૮૬.૧ ટકા કોરોના અસરગ્રસ્તોમાં કફ, તાવ, શરદી, નબળાઈ, શ્વાસ ચડવો કે સ્વાદ અને સુગંધના અભાવ જેવા સામાન્ય લક્ષણો ન હોવાનું બહાર આવ્યું હતું. લક્ષણો ન જણાવા છતાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સંશોધકોના તારણો અનુસાર કોરોના વાયરસ શરીરમાં જગ્યા બનાવી લે છે. જ્યાં સુધી ઈમ્યુનિટી સારી હોય ત્યાં સુધી લક્ષણો દેખાતા નથી, પણ વાયરસ શરીરમાં સક્રિય હોઈ શકે છે.
સંશોધનના મુખ્ય આલેખક અને એપિડેમીઓલોજી અને હેલ્થ ઈન્ફોર્મેટિક્સના પ્રોફેસર આઈરીન પીટરસને જણાવ્યું હતું કે અત્યારે તો લક્ષણો ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત છે. ONS સર્વેમાં પોઝિટિવ આવેલા લોકોમાં પાછળથી લક્ષણો દેખાયા હોવાની પણ શક્યતા છે પરંતુ, હાલ કે પહેલા લક્ષણો ન હોય તેમના પર નજર નહિ રખાય તો રોગચાળાઓને કાબુમાં લાવવા મુશ્કેલ બની જશે. પ્રોફેસર પીટરસને ભારપૂર્વક કહ્યું હતું કે શાળા-કોલેજો, ફેક્ટરીઓમાં નિયમિત ચેકઅપ થાય અને સેમ્પલ લેવાય તેવું વાતાવરણ સર્જવું પડશે તો જ ચોક્કસ રીતે કોરોનાના દર્દીઓની જાણ થઈ શકશે.