લંડનઃ અર્થતંત્રને ગતિ આપવા બ્રિટિશ કામદારોએ વહેલી તકે ઓફિસીસમાં કામે લાગી જવું જોઈએ તેવી અનેક હાકલો છતાં કોરોના વાઈરસના બીજા આક્રમણના ભયે બ્રિટિશ કામદારો ઓફિસે કામે લાગવામાં યુરોપભરમાં સૌથી વધુ ખચકાટ અનુભવે છે. આઠ દેશોમાં ૮,૦૦૦ પુખ્ત કામદારોની મોજણીમાં જણાયું હતું કે બ્રિટિશ વર્કર્સ કામે જવામાં સૌથી વધુ ખચકાટ ધરાવે છે અને તેનું કારણ કોરોના વાઈરસના બીજાં મોજાનું છે. આવા સમયે બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ વધુ લોકો વર્કપ્લેસ પર પાછા ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે, બ્રિટનના સૌથી મોટા બિઝનેસીસના ૨૦થી વધુ બિઝનેસીસે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આગામી વર્ષ પહેલા તેમનો સ્ટાફ ઓફિસે આવે તેવી અપેક્ષા રાખતા નથી.
ManpowerGroup દ્વારા યુકે અને યુએસ સહિત આઠ દેશોના વયસ્કોના તાજેતરના અભ્યાસમાં જણાયું છે કે યુકે અને યુએસના કામદારોમાં ઓફિસમાં કામે નહિ જવાનું સૌથી ઊંચુ વલણ છે. યુકેમાં વર્કફોર્સના ૭૩ ટકા કામે પાછાં ફરવામાં નકારાત્મક વલણ ધરાવે છે તેની સરખામણીએ જર્મનીમાં માત્ર ૫૪ ટકાનું આવું વલણ છે. મોર્ગન સ્ટેન્લી દ્વારા ઓગસ્ટમાં કરાયેલા સંશોધનો કહે છે કે ફ્રાન્સ, જર્મની, ઈટાલી અથવા સ્પેનના સ્ટાફ કે વર્કર્સની સરખામણીએ બ્રિટિશરો ઓફિસે પાછા ફરવામાં બહુ ધીમા છે. યુરોપ ખંડમાં લગભગ ૭૫ ટકા લોકોએ ફરી ઓફિસે જવાનું શરુ કર્યું છે જ્યારે બ્રિટનમાં માત્ર ૩૪ ટકા ઓફિસે જવા લાગ્યા છે. નિષ્ણાતો માને છે કે અન્ય દેશોની સરખામણીએ યુકે અને યુએસમાં પાછળના તબક્કામાં મૃત્યુનો દર ઘણો ઊંચો જવાથી આ ગભરાટ ફેલાયો છે. યુકેના ૩૪ ટકા વર્કર્સની સરખામણીએ ફ્રાન્સ (૮૩ ટકા) અને જર્મનીમાં (૭૦ ટકા) સ્ટાફ ઓફિસીસમાં કામે લાગ્યા છે. જોકે, તેમાંથી ૪૬ ટકા બ્રિટિશર સપ્તાહમાં પાંચ દિવસ ઓફિસથી કામ કરે છે જે ફ્રાન્સ, જર્મની, ઈટાલી અથવા સ્પેનથી વધુ છે.
ડાઉનિંગ સ્ટ્રીટે કામના સ્થળે જવા માગતા કામદારોને તેમના એમ્પ્લોયર્સને આ માટે દબાણ કરવા અપીલ કરી છે. તેણે જણાવ્યું છે કે વર્કર્સ ઘેરથી કામ કરી શકતા ન હોય તેમના માટે ‘કોવિડ સુરક્ષિત વર્કપ્લેસ’ આપવાની બિઝનેસીસની જવાબદારી છે. જોકે, ઘણી કંપનીઓ ૨૦૨૧ સુધી હોમ વર્કિંગને જાળવી રાખવાની તરફેણ કરે છે કારણકે વર્કર્સને પણ આ વ્યવસ્થા અનુકૂળ છે અને પ્રોડક્ટિવિટી અને આરોગ્યની જાળવણી થાય છે. બીજી તરફ, દરેક વર્કર વચ્ચે બે મીટરનું અંતર જાળવવાના નિયમોના કારણે ઘણી કંપનીઓ ઈચ્છે તો પણ પોતાના બધા વર્કર્સને પાછા બોલાવી શકે તેમ નથી કારણકે આધુનિક ઓફિસીસમાં જગ્યાની અછત સામાન્ય છે. એક સમયે જ બધા કર્મચારીને જગ્યા ફાળવી શકાય તેમ નથી. એક મીટરના સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પણ આ શક્ય જણાતું નથી. વ્હાઈટહોલમાં પણ અધિકારીઓ ઝડપથી કામે ચડી રહ્યા નથી.
નવા અભ્યાસમાં જણાયું છે કે કામ કરવાની જૂની રીતરસમો અપનાવવા સામેની મુખ્ય ચિંતા હેલ્થ સંબંધિત છે. ૨૧ ટકા સ્ટાફ-વર્કર આવવા-જવામાં સમય ન બગડે તેમજ ઘેરથી કામકાજમાં વધુ ફ્લેક્સિબિલિટી મળે તે કારણથી ઓફિસે જવા ઈચ્છતા નથી. વર્કપ્લેસ રિસર્ચ ગ્રૂપ લીસમાન દ્વારા વિશ્વના ૧૨૦,૦૦૦ કર્મચારીઓના સંશોધનનું તારણ એવું છે કે યુકેના વર્કર્સને લોકડાઉન પહેલા ઘરથી કામ કરવાનો સૌથી ઓછો અનુભવ હતો. બેલ્જિયમના ૭૬ ટકા વર્કર્સનો રીમોટ વર્કિંગનો અનુભવ હતો તેની સામે માત્ર ૪૪ ટકા બ્રિટિશ વર્કર્સને આ રીતે કામ કરવાનો અનુભવ હતો.