કોરોના વાઈરસથી ૧૫થી ઓછી વયનાં બાળકોનાં મોતની તદ્દન ઓછી સંભાવના

Wednesday 17th June 2020 02:45 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારીના કારણે ના બાળકોને શાળાએ મોકલવા કે નહિ મોકલવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે નેશનલ ઓફિસ ફોર સ્ટેટેસ્ટિક્સ (ONS)ના નવા અભ્યાસમાં જણાવાયું છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૫-૧૪ વયજૂથના બાળકોમાં કોરોનાથી મૃત્યુનો દર પ્રતિ ૩.૫ મિલિયને માત્ર એક બાળકનો છે. પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં આ દર પ્રતિ ૧.૧૭ મિલિયને એક બાળકનો છે. વય વધવાની સાથે મૃત્યુનું જોખમ વધતું જાય છે. ૭૫-૯૦ વયજૂથના લોકોમાં ૧૮૬ વ્યક્તિમાં એક અને ૯૦થી વધુ વયજૂથમાં ૫૫ વ્યક્તિએ એકનો મૃત્યુદર રહે છે.

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના વિન્ટોન સેન્ટર ફોર રિસ્કના ચેરમેન અને વરિષ્ઠ નિષ્ણાત પ્રોફેસર સર ડેવિડ સ્પિગેલહોલ્ટરે ONS ડેટાના વિશ્લેષણ પછી જણાવ્યું છે કે બાળકોમાં કોરોના વાઈરસથી અતિ અલ્પ જોખમ છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોરોના વાઈરસના કારણે ૫-૧૪ વયજૂથનાં બાળકોનાં મોતની સંભાવના કે જોખમ પ્રતિ ૩.૫ મિલિયને માત્ર એક બાળક તેમજ પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોનાં આ જોખમ પ્રતિ ૧.૧૭ મિલિયને એક બાળક જેટલું તદ્દન ઓછું હોવાનું જણાવાયું છે.

યુકેમાં રોગચાળાની શરુઆત થઈ તે પછી ૧૯ વર્ષથી ઓછી વયના માત્ર ૧૪ લોકો જ કોવિડના શંકાસ્પદ અથવા કન્ફર્મ કારણથી મોતને ભેટ્યા છે. આની સરખામણીએ ૩૦થી ૬૦ લોકો  દર વર્ષે વીજળી પડવાના કારણે મોતને ભેટતા હોવાનું રોયલ સોસાયટી ફોર ધ પ્રીવેન્શન ઓફ એક્સિડન્ટ્સના આંકડા કહે છે. આ જોખમ દર વર્ષે પ્રતિ ૨.૨૧ મિલિયને એક વ્યક્તિથી પ્રતિ ૧.૧ મિલિયને એક વ્યક્તિનું રહે છે. જોકે, કેટલા બાળકો વીજળી પડવાથી મોતને ભેટે છે તેના આંકડા સ્પષ્ટ નથી.

એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસને શૈક્ષણિક વર્ષના અંતના એક મહિના અગાઉ જૂનમાં શાળાઓ ખોલી દેવાના સરકારના નિર્ણયમાં પીછેહઠ જાહેર કરી નવી શક્યતા સપ્ટેમ્બર મહિનાની જણાવી છે. આ માટે શાળાઓમાં હાલ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અશક્ય હોવાનું કારણ દર્શાવ્યું છે. બીજી તરફ, યુરોપ તેમજ વિશ્વના અન્ય દેશોમાં સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઘટાડા સાથે શાળાઓ ખોલી દેવાઈ છે. સ્વીડનમાં સ્ટોકહોમ નજીક કારોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ એપિડીમીઓલોજી એન્ડ બાયોસ્ટેટેસ્ટિક્સના વિજ્ઞાનીઓની ટીમે ૪૭થી વધુ અલગ અભ્યાસોની વ્યવસ્થિત સમીક્ષા કર્યા પછી સ્પષ્ટ કર્યું હતું કે બાળકો રોગ લાગવા, તેનો પ્રસાર અને તેના તીવ્ર લક્ષણો ધરાવવાનું ઓછું જોખમ ધરાવે છે તેમજ તેમના પરિવારો કે શિક્ષકોને સંક્રમિત કરે તેવી શક્યતા નથી. ટીમે કહ્યું હતું કે શાળાઓ ખોલવાથી કોવિડ-૧૯નો પ્રસાર થવાની શક્યતા નહિવત્ છે. મુખ્ય સમીક્ષક પ્રોફેસર જોનાસ લુડવિગ્સને જણાવ્યું હતું કે બાળકોની વિશાળ બહુમતી કોવિડ -૧૯થી ઘણી બીમાર પડતી નથી અને મૃત્યુ તો અતિશય દુર્લભ રહે છે. આથી, બાળકોને સુરક્ષિત રાખવા શાળાઓ અને કિંડરગાર્ટન્સ બંધ રાખવાને કોઈ જ કારણ નથી.

વયજૂથ (વર્ષ)                   મૃત્યુનું જોખમ    

૦-૪                             ૧,૧૭૧૮૧૦માં ૧

૫-૧૪                           ૩૫૭૯૫૫૧માં ૧

૧૫-૨૪                         ૨૧૮,૩૯૯માં ૧

૨૫-૪૪                         ૩૪૩૫૪માં ૧

૪૫-૬૪                         ૩૪૭૮માં ૧

૬૫-૭૪                         ૮૮૭માં ૧

૭૫-૯૦                         ૧૮૬માં ૧

૯૦થી વધુ                      ૫૫માં ૧


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter