કોરોના વોરિયર્સના વેતનમાં વધારો

Wednesday 22nd July 2020 00:58 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે કોરોના મહામારીના સમયમાં ફરજ બજાવવામાં મોખરે રહેલા જાહેર ક્ષેત્રના ૯૦૦,૦૦૦ કર્મચારીઓના પગારવધારાની ૨૦ જુલાઈએ જાહેરાત કરી હતી. યુકેમાં કોવિડ-૧૯નું સંક્રમણ શરૂ થયું ત્યારથી આ કસોટીના સમયમાં ફરજ બજાવનારા ડોક્ટરો, ટીચરો અને પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓનું વેતન વધશે. ફુગાવાના દર કરતાં વધુ વેતનવધારામાં સૌથી વધુ ૩.૧ ટકા અને ૨.૮ ટકાનો વધારો અનુક્રમે ટીચર્સ અને ડોક્ટરોના પગારમાં થશે.

ચાન્સેલર રિશિ સુનાકે જણાવ્યું હતું કે છેલ્લાં થોડાં મહિનામાં એ વાત સ્પષ્ટ થઈ છે કે દેશમાં જાહેર ક્ષેત્રના કર્મચારીઓનું હંમેશાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે. આપણને જ્યારે જરૂર પડે ત્યારે આપણે તેમના પર આધાર રાખી શકીએ છીએ. તેથી જ પગારવધારાની ઈન્ડિપેન્ડન્ટ પે બોડીની ભલામણોને લાગુ કરીએ તે યોગ્ય છે.

આ વર્ષે સરકારે દરેક ક્ષેત્રના કર્મચારીઓના પગારવધારા માટે કરાયેલી ભલામણોને સંપૂર્ણ સ્વીકારી છે. તેના પરિણામે પોલીસ, જેલ અધિકારીઓ અને નેશનલ ક્રાઈમ એજન્સીના સ્ટાફને ૨.૫ ટકાનો અને સશસ્ત્ર દળોના સભ્યોને ૨ ટકા જ્યારે જ્યુડિશિયરીના સભ્યો અને સિનિયર સિવિલ સર્વન્ટ્સને ૨ ટકાનો વેતન વધારો મળશે.

સશસ્ત્ર દળો, જેલ અધિકારીઓ, સિનિયર સિવિલ સર્વન્ટ્સ અને NHS કર્મચારીઓ માટે આ પગારવધારો એપ્રિલ – ૨૦૨૦થી લાગુ ગણાશે. જ્યારે પોલીસ અને ટીચરોને આ વધારાનો લાભ આગામી સપ્ટેમ્બરથી મળશે, કારણકે આ વ્યવસાયો સપ્ટેમ્બરથી ઓગસ્ટ સુધીના અલગ પે શિડ્યુલમાં આવે છે.

આ જીવલેણ વાઈરસનું સંક્રમણ લાગ્યા પછી એકલાં ઈંગ્લેન્ડમાં જ ૩૦૦થી વધુ NHS કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. પોલીસ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવી રહી છે અને કેટલાંક શિક્ષકોએ મુખ્ય કર્મચારીઓના બાળકોની સતત સંભાળ રાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter