કોરોનાથી કેર હોમ્સમાં ઓછામાં ઓછાં ૨૦,૦૦૦ લોકોનાં મોત

Saturday 23rd May 2020 10:07 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોરોના વાઈરસ મહામારીના કારણે કેર હોમ્સમાં ઓછામાં ઓછાં ૨૦,૦૦૦ લોકોના મોત થયા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. આ સંખ્યા સત્તાવાર આંકડાથી લગભગ બમણી છે. રોઈટર ન્યૂઝ એજન્સીએ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના ડેટાનો આધાર લઈ આ સંખ્યાની ગણતરી મૂકી છે.

ONS ડેટા અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧ મે સુધીના આઠ સપ્તાહમાં કેર હોમ્સમાં તમામ કારણોસર કુલ ૩૭,૬૨૭ લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સીએ ગત પાંચ વર્ષમાં આટલા જ સપ્તાહમાં સરેરાશ મૃત્યુ સાથે તેની સરખામણી કરી હતી, જેમાં તેને ૧૯,૯૦૦ લોકોના વધુ મોત થયાનું જણાયું હતું. આ ગણતરીમાં સ્કોટલેન્ડ અથવા નોર્ધર્ન આયર્લેન્ડમાં થયેલા મોત કે કેર હોમ્સમાંથી અન્યત્ર મોકલાયા પછી હોસ્પિટલમાં થયેલાં મોતનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ઈંગ્લેન્ડ અને વેલ્સના કેર હોમ્સમાં થયેલાં મોતની સંખ્યા કેર ક્વોલિટી કમિશનને નોટિફાય કરાય છે જે ONS ડેટા અનુસાર હાલ ૮,૬૬૪ મૂકાઈ છે. વ્યક્તિનું મોત શેનાથી થયું છે અને જેમનું મોત કોરોના વાઈરસથી થયું હોય તે તમામના પરીક્ષણો કરાયા હોય તે પણ શક્ય નથી આથી, ગત વર્ષો સાથે સરખામણી જ સૌથી ચોકસાઈપૂર્ણ રસ્તો રહે છે. સમગ્ર યુકેમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ૨૩૩૦૦૦થી વધુ છે જ્યારે, મૃત્યુઆંક ૩૩,૬૦૦થી વધુ છે.

કોરોના મહામારીના કારણે પ્રથમ કેર હોમ બંધ થવાના આરે આવ્યાનું ITV ન્યૂઝ દ્વારા જણાવાયું છે. નોર્થ લંડનમાં ફ્રીઆરી લોજ દ્વારા તેના નિવાસીઓને મે મહિનાના અંત પહેલા તેમના રુમ્સ ખાલી કરી દેવા જણાવાયું છે. અત્યારે તો આ કેર હોમ કામચલાઉ બંધ કરાતું હોવાનું મનાય છે. કેર હોમ દ્વારા જણાવાયું છે કે સ્ટાફની સમસ્યા તેમજ કોવિડ-૧૯ના કારણે વહીવટની મુશ્કેલીના લીધે  નિવાસીઓને જરુરી સંભાળ અને સપોર્ટ આપી શકાય તેમ નથી. કેર હોમના સોલિસિટરે જણાવ્યું હતું કે કેર હોમ્સ અને તેના નિવાસીઓને સરકારે નીચાજોણું કરાવ્યું છે, તેમની અવહેલના કરી છે. સુરક્ષા ઉપકરણો ખરીદવાનો ખર્ચ તેમજ રુમ્સ ખાલી થવાની વધતી સંખ્યાએ કેર હોમ્સની આર્થિક હાલત ખરાબ કરી નાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter