લંડનઃ કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં આતંક પ્રસરાવ્યો છે ત્યારે દર આઠમાંથી એક બ્રિટિશર એમ માને છે કે કોવિડ તો લોકોને વેક્સિન લેવાની ફરજ પાડવાનું વૈશ્વિક કાવતરું છે. ડો. સેન્ડર વાન ડેર લિન્ડેન અને તેમની ટીમે ૨,૦૦૦થી વધુ બ્રિટિશરોનો ઈન્ટરવ્યૂ લઈને આ તારણો રજૂ કર્યા છે. સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા લોકો કેવિડના ષડયંત્રની થીઅરીમાં વધુ માનતા હોવાની શક્યતા છે. લગભગ ૨૫ ટકા બ્રિટિશરો કોવિડ ચીનના વુહાનની લેબોરેટરીમાંથી ઉદ્ભવ્યો હોવાનું માને છે.
ગણનાપાત્ર સંખ્યામાં લોકો કોરોના વાઈરસની ષડયંત્ર થીઅરીઓમાં માનતા થયા છે. આશરે આઠમાંથી એક (૧૩ ટકા) વ્યક્તિ માને છે કે કોવિડ તો લોકોને વેક્સિન લેવાની ફરજ પાડવાનું વૈશ્વિક કાવતરું છે. બીજી તરફ, ૧૨માંથી એક (આઠ ટકા) વ્યક્તિ માને છે કે 5G મોબાઈલ ફોન નેટવર્ક લોકોને કોવિડના સંક્રમણના જોખમમાં મૂકી શકે છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સંશોધકોએ એપ્રિલ અને મે મહિના દરમિયાન બ્રિટનના ૨,૨૦૦ અને અન્ય ચાર દેશમાંથી ૭૦૦-૭૦૦ લોકોનો ગેરમાહિતીના મુદ્દે સર્વે કર્યો હતો. ૨૦૦૦થી વધુ બ્રિટિશરોમાં આશરે પાંચમાંથી એક વ્યક્તિએ તે કોવિડની રસી નહિ લે તેમજ લગભગ ૧૬ ટકાએ તેમના મિત્રોને રસી લેવાની ભલામણ પણ નહિ કરે તેવો મત દર્શાવ્યો હતો. આ અભ્યાસ રોયલ સોસાયટી ઓપન સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.
અભ્યાસના સહલેખક અને કેમ્બ્રિજ સોશિયલ ડીસિઝન-મેકિંગ લેબના ડાયરેક્ટર ડો. સેન્ડર વાન ડેર લિન્ડેને જણાવ્યું હતું કે, પબ્લિકની ગણનાપાત્ર સંખ્યા ચોક્કસ ગેરમાહિતીસભર દાવાઓને વિશ્વસનીય માને છે. કોરોના વાઈરસની ષડયંત્ર થીઅરીઓમાં માનવા અને ભાવિ વેક્સિન બાબતે ખચકાટ વચ્ચે સ્પષ્ટ કડીઓ જોવાં મળી છે. વયોવૃદ્ધ કે પીઢ લોકો કોરોના વાઈરસની દંતકથાઓ માને તેવી શક્યતા ઓછી રહે છે જ્યારે સોશિયલ મીડિયા પરથી માહિતી મેળવનારાઓ તેને માની લેવાની શક્યતા વધુ રહે છે. લોકો હકીકતોને તપાસ્યા વિના જ સોશિયલ મીડિયા પર આવી માહિતીનું પુનરાવર્તન કરતા રહે છે અને લોકો તેને સત્ય માની લે તેવી શક્યતા વધે છે.
અભ્યાસમાં સંકળાયેલા લોકોને કોરોના વાઈરસ અંગે છ ખોટા સ્ટેટમેન્ટ અપાયા હતા અને તે કેટલા વિશ્વસનીય છે તે કહેવા ૧થી ૭નું રેટિંગ પસંદ કરવા જણાવાયું હતું. લગભગ ૧૧ ટકા એમ માનતા હતા કે મીઠાના પાણી અથવા લીંબૂપાણીથી કોગળા કરવાથી સંક્રમણનું જોખમ ઘટે છે. સાત ટકાનું માનવું હતું કે મોઢાં અને નાકમાંથી ગરમ હવા જેમકે, હેર ડ્રાયરમાંથી ફેંકાતી હવા શ્વાસમાં લેવાથી વાઈરસ ખતમ થાય છે.