બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટીમાં મોખરાનું સ્થાન અને આગવી પ્રતિભા ધરાવનારા ખોડીદાસભાઈ ધામેચાનું વેલેન્ટાઈન ડે, ૧૪ ફેબ્રુઆરીના દિવસે જ તેમના જામનગર ખાતેના નિવાસસ્થાને નિધન થયું તેના થોડાક સમય પછી જ તેઓ પોતાના જન્મદિવસે ૯૦ વર્ષના થવાના હતા.
તેમણે ૧૯૭૬માં વેમ્બલી ખાતે નાના ભાઈ શાંતિભાઈ અને સ્વ. જયંતિભાઈ સાથે મળીને ધામેચા કેશ એન્ડ કેરી વેપારનો પ્રારંભ કર્યો હતો અને હાલ તેમનો વેપાર સમગ્ર દેશમાં નવ સ્થળે પોતાની હાજરી ધરાવે છે. ખોડીદાસભાઈ કોઇ સામાન્ય બિઝનેસમેન નહોતા. તેઓ ખરેખર અર્થમાં પોતાના સમયના સમાજના અગ્રણી, વેપારમાં ઉત્સાહ ધરાવનારા અને સમાજ માટે ઉદારતા રાખનાર વ્યક્તિત્વ ધરાવતા હતા.
તેમને ઓળખનારા સારી રીતે જાણે છે કે ખોડીદાસભાઈ હંમેશાં અપ ટુ ડેટ વસ્ત્રો ધારણ કરતા અને માવજત રાખનારા હતા. અત્યંત કુશાગ્ર બુદ્ધિવાળી વ્યક્તિને અનુરૂપ જ તેમનું વ્યક્તિત્વ હતું.
એક ઉદ્યોગસાહસિક તરીકે તેઓ આકર્ષક અને ચુંબકીય રીતે પરિવારના હોલસેલની પ્રવૃત્તિ સિવાયના વિવિધ વ્યવસાયમાં તથા મૂડીરોકાણમાં મજબૂત પકડ ધરાવતા હતા. અલબત્ત, મને યાદ છે કે જ્યારે એક યુવા વિદ્યાર્થી તરીકે મેં યુકેમાં સ્ટેનમોર ખાતેના તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી ત્યારે હું તેમના અર્થશાસ્ત્ર, નાણાકીય અને સાંપ્રત પ્રવાહો અંગેના જ્ઞાનથી અભિભૂત થયો હતો. તેમણે ફાયનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલને ટાંક્યો હતો જે તેમણે ઉત્સાહપૂર્વક વાંચ્યો હતો અને મને તે અગે મારું મંતવ્ય પૂછ્યું હતું.
ખોડીદાસભાઈ માટે પરિવારમાં સંપ અને નિકટતા એ મહત્ત્વના ઉદ્દેશ્ય હતા કારણકે પરિવાર માટે સારામાં સારી બાબત એ બલિદાન અને સમાધાન છે. ગાંધીજીના સિદ્ધાંતોને અનુસરીને તેઓ સાદગીપૂર્ણ જીવન અને ઉચ્ચ વિચાર ધરાવનારા વ્યક્તિ હતા, તેઓ ઉદાહરણરૂપ છે. એ પણ ખૂબ સ્પષ્ટ બાબત છે કે તેઓ મજબૂત સંબંધો અને નિષ્ઠામાં માનનારા હતા. તેઓ નિયમિત રીતે મારા દાદા નાગરદાસભાઈ ગઢીયાને મળવા આવતા રહેતા અને મારા નાના ગિરધરભાઈ સાંગાણીના પણ સતત સંપર્કમાં રહેતા હતા. હું ધામેચા પરિવારનો એ રીતે પણ ઋણી છું કે તેમના કારણે મારી પત્ની અંજલિ સાથે મુલાકાત થઇ શકી.
ખોડીદાસભાઈ ફક્ત લોહાણા સમાજ જ નહીં પરંતુ સમગ્ર ઇન્ડિયન ડાયસ્પોરામાં અન્ય સમાજ સાથે પણ મજબૂત નાતો રાખનારા હતા. તેમની ફિલસૂફી અને માનવતા તેમના કાર્યોમાં પ્રતિબંબિત થતી હતી. તેમણે ઇસ્ટ આફ્રિકા, યુકે અને ભારત ખાતે અનેક કોમ્યુનિટી સેન્ટરો, સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ તથા આરોગ્ય સુવિધા માટે સહાય કરી અને દાનનો ધોધ પણ વહાવ્યો હતો.
મોટાભાગે આવી નમ્રતા અને માનવતા આવી સફળ વ્યક્તિઓમાં ભાગ્યે જ જોવા મળે છે. જોકે, આ લક્ષણો ખોડીદાસભાઈના પુત્ર પ્રદિપમાં પણ જોવા મળે છે. પ્રદિપ પોતાના પિતાને માર્ગદર્શક અને ગુરુ માને છે, જોકે, તેમને અને તેમના માતા લલિતાબેન, પત્ની વીણા અને સંતાનો રાધિકા, રિદ્ધિ તથા આનંદને ન પૂરાય તેવી ખોટ પડી છે.
ખોડીદાસભાઈને શ્રદ્ધાંજલિ અર્પવા અને તેમના પરિવારને સાંત્વના આપવા માટે હજારોની સંખ્યામાં લોકો પહેલી માર્ચ, રવિવારના રોજ સાઉથ હેરો ખાતેના ધામેચા લોહાણા સેન્ટર ખાતે એકત્ર થયા હતા. ધામેચા પરિવારે તો પોતાના વડીલને ગુમાવ્યા છે પરંતુ સમાજે પણ પોતાનો એક આધારસ્તંભ ગૂમાવ્યો છે. આવનારી પેઢીઓને પણ ખોડીદાસભાઈની માનવતા અને પ્રેરણા મળતી રહેશે. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
આદર સહ...
લોર્ડ જિતેશ ગઢિયા