દરેક વ્યક્તિના જીવનનું અંતિમ ધ્યેય તો એ જ હોય છે કે સુખી થવું. સુખની પ્રાપ્તિ માટે એ તનતોડ મહેનત કરે છે. પૈસા, સ્ટેટસ અને સત્તા મેળવવા પાછળ જિંદગીના અમૂલ્ય વર્ષો વિતાવી દે છે. આ વિચાર સાથે કે જો આટલા પૈસા કમાવી લેવાય અને આ પોઝિશન પર પહોંચી જવાય તો સુખ હાથવેંતમાં જ છે. આ બધું મળવાં છતાં પણ સુખ મૃગજળ જ રહે છે, દૂર ભાગતું રહે છે. એવું શું કરી શકાય કે સુખ સામેથી ભેટવા આવે? જવાબ સરળ છે. કોઈપણ જાતના સ્વાર્થ વગર, શરતોથી બંધનમુક્ત અપાયેલ દાન, સદભાવનાથી કોઈને કરાયેલ મદદ માનવીને પરમસુખ આપવા શક્તિમાન છે.
એક નાની વાતના સાક્ષી બન્યા પછી આ સત્ય સમજાયું. રમણીય સાંજે એક દિવસ દરિયાકાંઠે લટાર મારવા ગઇ હતી. સાત-આઠ વર્ષની ચિંથરેહાલ બાળા પર ધ્યાન પડ્યું, જે આંખમાં આંસુ સાથે ખાવાના સ્ટોલ પાસે આંટા મારી રહી હતી. પેટની ભૂખ એના મોં પર ચાડી ખાતી હતી. એ ભલા માણસે એને બિસ્કિટનું પેકેટ આપ્યું. આનંદમાં આવી એ બિસ્કિટનું પેકેટ લઈને સલામત ખૂણો ગોતવા દોડી. દોડતાં દોડતાં એ અચાનક ઊભી રહી ગઈ, જ્યારે એણે જોયું કે ફેરિયો બેરહમીથી એક શ્વાનને મારી રહ્યો હતો. દૂરથી તેને બિસ્કિટનું પેકેટ બતાવી દોડવા લાગી. શ્વાને તેનો પીછો કર્યો. થોડેક દૂર જઈને છોકરી શ્વાનને પેકેટમાંથી બિસ્કિટ ખવડાવવા લાગી. છોકરીની બોડી લેંગ્વેજ પરથી એક વાત સ્પષ્ટ હતી કે તે શ્વાનથી પરિચિત નહોતી. આશ્ચર્યપૂર્વક હું એ છોકરીનું ધ્યાનપૂર્વક અવલોકન કરી શકાય એટલી નજીક ગઇ. ત્યારે નોંધ્યું કે આજુબાજુની દુનિયાથી સંપૂર્ણ બેખબર રહી એ છોકરીએ પોતાની મસ્તીમાં, આનંદ સાથે ગાયન ગાતાં ગાતાં લગભગ મોટા ભાગના બિસ્કિટ શ્વાનને ખવડાવી દીધા હતાં.
દેખીતી વાત હતી કે છોકરી ભૂખી હતી. એને કદાચ એ પણ ખબર નહીં હોય કે કોળિયો અન્ન ક્યારે મળશે અને છતાં અલગારી એવી આ નિર્દોષ બાળાના મોંઢા પર આનંદ હતો અને સંતોષ હતો. શું હોઈ શકે આની પાછળનું તથ્ય? કયું એવું ચાલક બળ હશે કે જે અતિદરિદ્ર આ છોકરીને આટલો આનંદ આપી શકે?
ઘણો જ વિચાર કર્યા પછી મને સમજાયું કે નાનકડી એવી આ છોકરીએ જિંદગીનું બહુ જ મોટું સત્ય સમજવાની ખટપટમાં પડ્યા વગર સમજી લીધું છે. આપવામાં જે આનંદ છે તે મોટો છે. છોકરી માટે એક સાહજિક પ્રતિભાવ હશે અને કદાચ લાગતું પણ નહીં હોય કે તે પરોપકારનું કામ કરી રહી છે. પણ આ નિઃસ્વાર્થ ભાવ જ કદાચ તેને આનંદથી તરબતર કરી દેતો હશે.
આપણી પાસે જે છે તે સુખ નથી આપતા, પણ તેને પ્રાપ્ત કર્યા પછી ગુમાવી બેસવાની કાલ્પનિક ભય-ચિંતા કારણ બને છે. જે વ્યક્તિ નિઃસ્વાર્થભાવે આપવાનું શીખે છે તે પરમાત્મા પ્રત્યે પરોક્ષપણે પોતાની શ્રદ્ધા પ્રગટ કરે છે કે ‘એણે’ આપ્યું અને ‘પોતાને’ નિમિત્ત બનાવ્યો. કરેલું ફોગટ જતું નથી. કોશિશ કરીશું તો ખ્યાલ આવશે કે આપવાનો આનંદ લેવા-મળવા કરતાં અધિક હોય છે. જરૂર નથી કે પૈસા જ આપી શકાય. એ જરૂરિયાતમંદ વ્યક્તિને સાચી સાંત્વનાના બે બોલ હોઈ શકે, કોઈના કામની કદર, પ્રોત્સાહ કે કંઈ નહીં તો એક સ્મિત પણ હોઈ શકે, એટલું પણ આનંદની અનુભૂતિ (વાઇબ્રેશન્સ) ફેલાવવા સક્ષમ છે. સુખની ચાવી છે. આ નાની સરખી વાત જો સમજી શકાય અને જીવનમાં ઉતારાય તો આ વાત બહુ જ મોટી છે.


