લંડનઃ ગયા વર્ષે ભારતમાંથી પ્રત્યાર્પિત કરાયેલો તેમજ એક દાયકા પહેલાં બ્રિટનમાં ચાર મહિલાઓના બળાત્કાર અને હત્યાના ૩૫ વર્ષીય ભારતીય-ગુજરાતી મૂળના યુવાન આરોપી અમન વ્યાસને કોર્ટે દોષિત ઠરાવ્યો છે. અમન વ્યાસ સામે ત્રણ મહિલા પર બળાત્કાર અને ૨૦૦૯માં મિશેલ સમરવિરા પર બળાત્કાર પછી હત્યા કરાયાનો આરોપ હતો. ક્રોયડન ક્રાઉન કોર્ટ તેને ૨૧ ઓગસ્ટે સજા જાહેર કરશે.
ઈસ્ટ લંડનના વાલ્ધામ્સ્ટોમાં રહેતા અને ડ્રાય ક્લીવનર્સને ત્યાં નોકરી કરતા અમને ૨૦૦૯ના માર્ચથી મે મહિના દરમિયાન વિવિધ જગ્યાએ આ ગુના કર્યા હતા. વર્ષ ૨૦૧૦માં જાહેર અપીલ પછી તેના પૂર્વ એમ્પ્લોયરે શંકા અઆને સીસીટીવી ફૂટેજના આધારે અમન વ્યાસને ઓળખી બતાવ્યો હતો. દસ વર્ષ પહેલા અપરાધ કરીને ૨૦૧૧માં અમન વ્યાસ ન્યુ ઝીલેન્ડ અને ત્યાંથી સિંગાપોર ભાગી જવાના પરિણામે, તેની સામેનો કેસ પડતો મૂકાયો હતો. જોકે, જુલાઇ, ૨૦૧૧માં નવી દિલ્હી એરપોર્ટ પરથી પકડાઇ ગયા પછી તેના પ્રત્યર્પણની વિધિ શરૂ થઇ હતી, પરંતુ ૧૯ ઓકટોબર ૨૦૧૯માં જ તેને મેટ્રોપોલીટન પોલીસ લંડન લાવી શકી હતી.
અમનને વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓનો પીછો કરી તેમના પર બળાત્કાર કરવાની ટેવ પડી હતી. તે
સૌ પહેલાં ૨૪ માર્ચ, ૨૦૦૯ની મધ્યરાત્રે ૫૯ વર્ષની મહિલાનો પીછો કરી તેના ઘરમાં જ માર મારી બળાત્કાર આચરીને ભાગી ગયો હતો. આ પછી, ૨૨ એપ્રિલે સવારે ફરવા નીકળેલી ૪૬ વર્ષની મહિલાના ચહેરા પર છરી મારી બળાત્કાર કર્યો હતો. ત્રીજી ઘટના પણ ૨૯ એપ્રિલની સવારે જ ઘટી હતી જ્યારે, અમન મોર્નિંગ વોક પછી ઘરે પરત ફરી રહેલી ૩૨ વર્ષની મહિલા પર ચર્ચયાર્ડમાં બળાત્કાર કરી ભાગી ગયો હતો. તેનો છેલ્લો ગુનો ૩૦ મેની રાત્રે સુપરમાર્કેટથી પાછી ફરી રહેલી ૩૫ વર્ષની શ્રીલંકન વિધવા મિશેલ સમરવિરા પર બળાત્કાર કરી હત્યા કરવાનો હતો. મિસ સમરવિરાના ગળા પર ભારે દબાણ આવ્યાથી તેનું મૃત્યુ થયું હોવાનું ફોરેન્સિક રિપોર્ટમાં જણાવાયું હતું.