ગોલ્ડન વિઝા સ્કીમ રદઃ નવા નિયંત્રણો આવશે

Saturday 08th December 2018 06:19 EST
 
 

લંડનઃ યુકેમાં વસવાટ અને રોકાણ કરવાની આશા રાખતા વિશ્વભરના સુપર તવંગરોને આઘાત આપતા નિર્ણયમાં બ્રિટનની હોમ ઓફિસે તેની ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશનની ટિયર-વન ગોલ્ડન વિઝા સ્કીમ સસ્પેન્ડ કરી છે. ભ્રષ્ટાચાર, સંગઠિત અપરાધ અને મની લોન્ડરિંગનો સામનો કરવા યુકે દ્વારા ૨૦૧૯માં નવા નિયંત્રણો દાખલ કરવામાં આવશે. યુકેમાં મની લોન્ડરિંગ પર ત્રાટકવાના ભાગરુપે સરકાર દ્વારા આ વિઝા સ્કીમની સમીક્ષા કરવામાં આવી છે. આ વિઝા હેઠળ યુકેમાં રોકાણ અને વસવાટ કરનારાઓમાં ચાઈનીઝ અને રશિયનોની સંખ્યા વધુ છે. જોકે, રશિયા અને યુકે વચ્ચે તાજેતરમાં સંબંધોમાં કડવાશ આવ્યા પછી આ સ્કીમ રદ કરવામાં આવી છે.

ઈમિગ્રેશન મિનિસ્ટર કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે,‘યુકે અમારા અર્થતંત્રની મદદ તેમજ બિઝનેસીસની વૃદ્ધિ માટે તત્પર કાયદેસર અને સાચા રોકાણકારો માટે દ્વાર હંમેશાં ખુલ્લાં રાખશે. જોકે, એક બાબત સ્પષ્ટ છે કે જે લોકો નિયમોનું પાલન કરતા નથી કે તેનો દુરુપયોગ કરવા માગે છે તેને અમે સહન નહિ કરીએ.’

સુધારાયેલા નિયમોમાં અરજદારોએ તેમના ફાઈનાન્સિયલ અને બિઝનેસ હિતોના કોમ્પ્રીહેન્સિવ ઓડિટ રજૂ કરવા સાથે ઓછામાં ઓછાં બે વર્ષ માટે બે મિલિયન પાઉન્ડના ઈન્વેસ્ટમેન્ટ ફંડ પર તેમનો અંકુશ હોવાનું દર્શાવવું પડશે. સુધારાના ભાગરુપે હવે અરજદારો સરકારી બોન્ડ્સમાં ઈન્વેસ્ટ કરી શકશે નહિ અને તેમણે યુકેની સક્રિય અને વેપારી કંપનીઓમાં રોકાણ કરવાનું રહેશે. ગોલ્ડન વિઝા ભ્રષ્ટાચાર અથવા ચોરીથી પ્રાપ્ત કરેલી સંપત્તિને સત્તાવાર બનાવવા ઈચ્છતા જમીનદારો, સરમુખત્યારો, રાજાઓ અને સુપર-રિચ લોકો માટે યુકેમાં વસવાટ હાંસલ કરવાનો સહેલો માર્ગ હતો. જુલાઈ મહિનામાં જ ટિયર-વન ઈન્વેસ્ટર વિઝા સ્કીમના અરજદારોમાં ૪૬ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં ૪૦૦થી વધુ ધનાઢ્ય વિદેશી રોકાણકારોનો સમાવેશ થયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૮માં પૂરા થયેલાં વર્ષમાં ૧૦૦૦થી વધુ અરજદારોને ટિયર-વન ઈન્વેસ્ટર વિઝા મંજૂર કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન વીઝા હેઠળ કોઈપણ વ્યક્તિ ૨૦ લાખ પાઉન્ડનું રોકાણ બ્રિટનમાં કરે તો તેને ગોલ્ડન વિઝા આપવામાં આવે છે રોકણની રકમ ૫૦ લાખ પાઉન્ડ થવા પર બ્રિટનમાં સ્થાયી થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બ્રિટનમાં ૭૬ ભારતીય ઉદ્યોગપતિઓને ગોલ્ડન વિઝા મળ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter