અમદાવાદમાં ચિન્મય મિશનના પરમધામ ખાતે ‘ગીતાજ્ઞાનયજ્ઞપ્રચારક’ તરીકે વિખ્યાત સ્વામી ચિન્મયાનંદજીની 110મી જયંતીની 10 મેના રોજ ભાવસભર અને આધ્યાત્મિક ઉજવણી કરાઇ હતી. વહેલી સવારે યજ્ઞશાળામાં ગુરુદેવ અષ્ટોત્તર હવનનું પવિત્ર આયોજન થયું, જેમાં સૌએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. સાંજે ચિન્મય મિશન અમદાવાદનાં આધ્યાત્મિક માર્ગદર્શિકા બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્ય દ્વારા ‘ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા’ વિષય પર પ્રેરણાદાયક સત્સંગ યોજાયો હતો. તેમણે જણાવ્યું કે ગુરુ જન્મોત્સવ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે ગુરુદેવે આપેલા જ્ઞાન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી જીવનનો ધ્યેય લોકસેવા અને દેશસેવા બને તો જીવન સાચા અર્થમાં પન્ય બને છે એ જ ગુરુ પ્રત્યેની સાચી કૃતજ્ઞતા છે. સત્સંગ પછી ગુરુ પાદુકા પૂજા અને રાજોપચાર સાથે મધુર ભજનો રજૂ કરવામાં આવ્યા. ગુરુ સ્તોત્રમ્, ચિન્મય મહિમા, ગુરુ પાદુકા સ્તોત્રમ્ અને આરતીના ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. આ ઉત્સવમાં 200થી વધુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.


