ચૂંટણીમાં લેબરની હાર માટે પક્ષનું ઝેરીલું વાતાવરણ અને કોર્બીનનું નેતૃત્વ જવાબદાર

Saturday 27th June 2020 01:46 EDT
 
લેબર પાર્ટીના પૂર્વ નેતા જેરેમી કોર્બીન
 

લંડનઃ ગત ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના બોરિસ જ્હોન્સનના હાથે લેબર પાર્ટીના કરુણ પરાજય માટે જેરેમી કોર્બીનની  તત્કાલીન નેતાગીરી, પક્ષમાં ઝેરીલું વાતાવરણ તેમજ શ્રેણીબદ્ધ સંસ્થાકીય નિષ્ફળતાઓ જવાબદાર હોવાનું ‘લેબ ટુગેધર’ ગ્રૂપના રિપોર્ટમાં જાહેર કરાયું છે. સાંસદો એડ મિલિબેન્ડ અને લ્યુસી પોવેલ, પક્ષના સભ્યો, યુનિયન નેતાઓ અને મીડિયા અગ્રણીઓના બનેલા લેબર ગેધર ગ્રૂપ દ્વારા પાર્ટીના પરાજયના કારણોની તપાસ કરી  રિપોર્ટમાં કહ્યું હતું કે ગંભીર પરાજય ઘણા સમયથી તોળાતો જ હતો.

રિપોર્ટમાં કોઈ છોછ રાખ્યા વિના ‘રાજકીય, સંગઠનકીય અને ડિજિટલ’ નિષ્ફળતાઓ સ્પષ્ટ કરી હતી જેના કારણે ૧૯૩૫ પછી લેબર પાર્ટીએ સૌથી ખરાબ પરાજ્ય વેઠવો પડ્યો હતો. રિપોર્ટે એમ પણ જણાવ્યું છે કે આગામી ચૂંટણી જીતવા પક્ષે પહાડ ચડવો પડશે.  કોર્બીનની નેતાગીરી હેઠળ પાર્ટી ચૂંટણી લડવા માટે પૂરતી તૈયાર જ ન હતી, કોઈ સ્પષ્ટ સંદેશ વિના તેમજ પાલન કરવા અશક્ય તેવા સંખ્યાબંધ વચનો સહિતના મેનિફેસ્ટો સાથે તે ચૂંટણી લડાઈ હતી. લેબર પાર્ટના સભ્યોના સર્વેના પરિણામોએ જણાવ્યું હતું કે નેતાગીરી વિશે ચિંતા, બ્રેક્ઝિટ વિશે લેબર પાર્ટીનું વલણ તેમજ અશક્ય વચનો સાથેના મેનિફેસ્ટોના મિશ્રણે ચૂંટણીમાં પક્ષની તકોને ભારે નુકસાન કર્યું હતું. બ્રેક્ઝિટ મુદ્દે લેબર પાર્ટીએ ઘણા મતદારો ગુમાવ્યા હતા અને ગત વર્ષની ચૂંટણી કરતા તો રેફરન્ડમ સમયે જ વધુ મતદારોએ સાથ છોડ્યો હતો.

રિપોર્ટે જણાવ્યું છે કે ‘સ્ટોપ જેરેમી કોર્બીન’ સૂત્ર કન્ઝર્વેટિવ્ઝની સફળતાનું મુખ્ય વાહક બન્યું હતું. ૨૦૧૯ની ચૂંટણી અગાઉથી જ નેતાગીરી સંબંધિત સૌથી ઓછાં પોલ રેટિંગ્સને બ્રેક્ઝિટ, પક્ષમાં વિખવાદ તેમજ એન્ટિ-સેમેટિઝમ મુદ્દાઓથી અલગ પાડી શકાય નહિ. પક્ષ દ્વારા ૨૦૧૭ની ચૂંટણીની ખુલ્લી સમીક્ષા કરાઈ નહિ તેમજ ભાવિ આયોજનો પણ કર્યા નહિ. આપણે મતદારો પર કેવી સમજાવટ કે દબાણ લાવવું જોઈએ તેની સ્પષ્ટ નીતિ વિના જ પાર્ટીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ૨૦૧૭ની ચૂંટણીમાં ‘ફોર ધ મેની, નોટ ધ ફ્યુ’ કેમ્પેઈન હતું તેવો અભાવ વર્તાઈ આવ્યો હતો.

લેબર પાર્ટી ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્રચારતંત્રમાં કન્ઝર્વેટિવ પાર્ટીથી ઘણી જ પાછળ રહી હતી. ટોરી પાર્ટી અને તેના ઉમેદવારોએ ફેસબૂક ગ્રૂપ્સ અને અન્ય ઓનલાઈન ફોરમ્સનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો.

રિપોર્ટે જણાવ્યું છે કે ‘લેબર પાર્ટીએ ‘ પક્ષમાં જૂથવાદ અને આશ્રયના બદલે સમાવેશીતા અને વૈવિધ્યતા, ઉદારતા અને ટીમવર્કના કલ્ચર’નું નિર્માણ કરવું જોઈએ. પાર્ટીના સંગઠન અને માળખાઓમાં ધરમૂળ ફેરફાર સાથે જેની સેવા કરવા માગીએ છે તે કોમ્યુનિટીઓ અને મતદાતાઓ સાથે સારો સંપર્ક ઉભો કરવા ઉપરાંત, ડિજિટલ અને ઓનલાઈન કેમ્પેઈનિંગને બદલી નાખવું જોઈએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter