જન્મ્યાં, ઉછર્યાં, ઊછળ્યાં, પરણ્યાં, બેવડાયા, બહુ બન્યા, વિરમ્યા, હાય! સરવાળે શૂન્ય થયા

Tuesday 31st March 2015 14:36 EDT
 
 

જી હા, મિત્રો આ સપ્તાહે આપને પરિચય કરાવી રહ્યા છીએ આપણા અહીના સાહિત્ય રસિક બહેન કુસુમબેન ઇશ્વરલાલ પોપટનો. લેખના પ્રારંભે રજૂ કરાયેલ ખૂબજ સુંદર પંક્તિઅો મુ. કુસુમબેન પોપટે લગ્નના ૪૦મા વર્ષે પતિના નિધન બાદ લખી હતી.

મોમ્બાસા, કેન્યામાં શ્રી અમૃતલાલ ખુશાલદાસ પજવાણી અને માતા ઇચ્છાબેનને ત્યાં જન્મેલા અને અત્યારે ૮૫ વર્ષની વયે પહોંચેલા કુસુમબેન પોપટે પોરબંદરની સુવિખ્યાત આર્યકન્યા ગુરુકુળ ખાતે અભ્યાસ કર્યો હતો. તે સમયના રૂઢી રીવાજ મુજબ ૧૫ વર્ષની વયે તેમના લગ્ન મૂળ ધરમપુરના ઇશ્વરલાલ દામોદરદાસ પોપટ સાથે થયા હતા.

કુસુમબેનની સાહિત્ય યાત્રાની શરૂઆત શાળામાં જ થઇ હતી. તેમની શાળાની મુલાકાતે પધારેલા વિખ્યાત સાહિત્યકાર - કવિ શ્રી ઉમાશંકરભાઇ જોશીએ કુસુમબેનનો લેખ વાંચીને ટૂંકી સમીક્ષા કરતા જણાવ્યું હતું કે 'તમે આગળ જતા સારા લેખક અને સમાલોચક થશો.' બસ તે સમયથી જ કુસુમબેનની મનોભૂમીમાં સાહિત્ય પ્રત્યે પ્રીતિના બીજ વવાયા હતા. કુસુમબેનના પિતા અમૃતલાલનો વાંચનનો શોખ વારસામાં મળ્યો હતો.

તેમની વિવિધ સાહિત્યીક કૃતિઅો, નવલિકાઅો અને રચનાઅો 'ગુજરાત સમાચાર'માં તેમજ અન્ય મગેઝીનોમાં છપાઇ હતી. તેમની વાર્તા 'ત્રણ મોસંબી અને એક કોબીનો દડો', 'ડંખ', અગ્નીની અાંચ', 'વિકલાંગ', 'પ્રસ્વેદ' વગેરે વિખ્યાત થઇ હતી અને ઇનામો મળ્યા હતા. ૧૯૯૯માં તેમનો વાર્તા સંગ્રહ 'શમણા વાવ્યાં ને કૂંપળ ફૂટી' ગુર્જર ગ્રંથ કાર્યાલય દ્વારા પ્રસિધ્ધ થયો હતો, જેમાં પ્રસ્તાવના સુરતના વિખ્યાત સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માએ લખી હતી. કુસુમબેન પોપટ ક્રોયડનની મહિલા સંસ્થામાં મંત્રી તરીકે ૧૫ વર્ષ સેવા આપી હતી. ૨૦૧૨માં તેમના દિકરા અજયના નિધન બાદ કુસુમબેનનો ઉત્સાહ અોસરવા માંડ્યો છે. કુસુમબેનના દિકરી પન્નાદેવી યુકેમાં જ રહે છે.

કુસુમબેનનું તાજેતરમાં જ 'ગુજરાત સમાચાર' અને લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા યોજાયેલા 'વડિલ સન્માન સમારોહ'માં સન્માન કરાયું હતું. કુસુમબેનને તેમના તંદુરસ્ત અને દિર્ઘાયુ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઅો. સંપર્ક: 020 8665 9056.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter