જૂનાગઢ નિવાસી તથા શ્રી સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિકુમાર અને પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય વિપુલકૃષ્ણ શાસ્ત્રી યુકેના પ્રવાસે આવી રહ્યા છે. શાંતિધામ – લેસ્ટર સંસ્થા દ્વારા બ્રિટનની લોકલ ચેરિટી તથા ભારતની જરૂરતમંદ સંસ્થાઓના લાભાર્થે શ્રી વિપુલકૃષ્ણ શાસ્ત્રીના વક્તા પદે આગામી ૨૧ જુલાઈ, ૨૦૧૯થી લેસ્ટરમાં ‘દ્વાદશ જ્યોતિર્લિંગ શિવકથા’નું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ આ કથામાં ૧૨ જ્યોતિર્લિંગના મહાત્મ્યના વર્ણનની સાથે અમરનાથ મહાદેવની કથાનું પણ નિરુપણ કરશે. કથા દરમિયાન અમરનાથના વિશેષ દર્શનનું પણ આયોજન કરાયું છે.
શ્રી વિપુલકૃષ્ણ શાસ્ત્રી વિવિધ શાસ્ત્રોના તથા વ્યાકરણશાસ્ત્ર સાથે સાહિત્યના અભ્યાસ સાથે આચાર્યની પદવી ધરાવે છે. ભારતના વિવિધ રાજ્યો અને તેના શહેરોથી શરૂ કરીને યુકે અને આફ્રિકાના અનેક દેશો સહિત વિવિધ સ્થળોએ આશરે ૧૧૦થી વધારે કથા - પ્રવચનો દ્વારા ભારતીય સંસ્કૃતિ તથા આપણા શાસ્ત્રોનો મહિમા ટકાવવા તથા તેને આગળ ધપાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. તેમણે અનેક સંસ્થાઓના માધ્યમથી શ્રીમદ ભાગવત કથા, શ્રી રામકથા, શ્રીમદ ભગવદ ગીતા, પ્રવચનો તથા શિવકથા સંભળાવીને શ્રોતાઓને સત્સંગનો લાભ આપ્યો છે. સંપર્ક. 01162 290 421 અથવા 07528 940 636.