વાચક મિત્રોમાં ખૂબ જ ટૂંક સમય ગાળામાં લોકપ્રિયતા હાંસલ કરનાર 'વ્યક્તિ પરિચય' વિભાગમાં આ અંકમાં ન્યુબરી પાર્ક, ઇલફર્ડ ખાતે રહેતા અને ઇસ્ટ લંડન વિસ્તારના વિવિધ જૈન અને અન્ય સંગઠનોમાં વિવિધ હોદ્દા પર સેવા આપતા શ્રી દિનેશભાઇ ન્યાલચંદ શેઠનો આપ સૌને પરિચય કરાવી રહ્યા છીએ.
યુકેના ડીપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશનમાં ૩૪ વર્ષ સુધી લાગલગાટ ખંત અને નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા દિનેશભાઇ શેઠે કારકિર્દીની શરૂઆતમાં થોડો સમય ટાન્ઝાનીયાના દારેસલામમાં શાળામાં શિક્ષક તરીકે અને યુકે આવ્યા બાદ યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડનમાં પ્રયોગશાળામાં માર્ગદર્શક તરીકે કામ કર્યું હતું.
દિનેશભાઇ અત્યારે શ્રી જૈન સંઘ ઇસ્ટ લંડન અને એસેક્સના માનંદ મંત્રી તરીકે અને સંસ્થાના મુખપત્ર ‘પ્રકાશ’નાં તંત્રી તરીકે સેવાઅો આપે છે. આજ રીતે તેઅો રેડબ્રિજ એશિયન મંડળના મુખપત્ર ‘રામ’ના તંત્રી અને સંસ્થાના PRO તરીકે પણ સેવાઅો આપે છે.
દિનેશભાઇએ આ ઉપરાંત મુખ્યત્વે જૈન ધર્મ અને બીજા અનેક વિષયો પર સંખ્યાબંધ જૈન સ્તવનો, લેખો, કવિતાઓ અને પત્રો લખ્યા છે. જે એશિયન વોઇસ, ગુજરાત સમાચાર, નવનાત દર્પણ, વણિક પ્રકાશ, વણિક વોઇસ, ફીડબેક, ઇન સાઇડ સ્ટોરી, હબ ક્લબ, નવનીત પ્રકાશ, આફ્રિકા સમાચાર વગેરે માસિક અને સાપ્તાહિકોમાં પ્રસિધ્ધ થયા છે. તેમણે જૈન ધર્મના પ્રચાર – પ્રસાર માટે ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશનના બુલેટીન બોર્ડ પર ઇ-મેઇલ દ્વારા ઘણા સંદેશાઓ મોકલીને ઇંગ્લેન્ડની પ્રજાને જૈન ધર્મના સિદ્ધાંતોની માહિતી આપી છે.
અત્યારે ૭૦ વર્ષની વય ધરાવતા હોવા છતાં ખૂબ જ સારૂ આરોગ્ય ધરાવતા દિનેશભાઇને ફિલ્મી ગીતો અને ભજન ગાવાનો પણ શોખ છે અને અવારનવાર જાહેર સંમેલનોમાં અને રેડિયો ઉપર ગીત-ભજન સંભળાવે છે. આ ઉપરાંત જૈન સ્તવનો પણ વિવિધ સંમેલનોમાં સંભળાવે છે. સંપર્ક: 020 8599 3391.
વ્યક્તિ પરિચય: આપણા પ્રતિભાવંત અગ્રણીઅોને મળો
શું આપ ધાર્મિક, સામાજીક, વ્યવસાયીક, વ્યાપારીક, રાજકીય કે પછી અન્ય કોઇ પણ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા છો? શું આપને નથી લાગતું કે પરમાત્માએ આપને બક્ષેલી પ્રતિભાથી બ્રિટનમાં વસતા આપણા ભારતીયો તેમજ ગુજરાતીઅો માહિતગાર થાય? જો આપનો જવાબ 'હા' હોય તો અમે આપનો પરિચય 'ગુજરાત સમાચાર'માં પ્રકાશિત કરવા આતુર છીએ.
આ માટે આપનો સંક્ષિપ્ત બાયોડેટા, સેવા કાર્યો, સામાજીક જોડાણ, આપના નવા ફોટોગ્રાફ, સંપર્ક વગેરે સાથે સંપૂર્ણ માહિતી અમોને ગુજરાતી ભાષામાં પેપરની એક તરફ મહત્તમ ૨૫૦ શબ્દોમાં લખીને 'ગુજરાત સમાચાર' કાર્યલય ખાતે મોકલી આપો. આપ પોતાના મિત્ર, સગાં-સંબંધીના નામનું સૂચન પણ કરી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ 020 7749 4001.