ટ્રસ્ટીએ ચેરિટીના £૨૪૦,૦૦૦ની ચોરી કરીઃ નાણાના ઉપયોગથી અંગત પ્રોપર્ટી ખરીદી

Wednesday 10th June 2020 02:27 EDT
 

લંડનઃ ડોનેશન પ્લેટફોર્મ ‘ગિવ ટુ ચેરિટી (GTC)’ ચલાવતી ચેરિટી સંસ્થાના ટ્રસ્ટી અતિક રાજાએ ૨૪૦,૦૦૦ પાઉન્ડની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. રેગ્યુલેટર ચેરિટી કમિશને GTCને ચેરિટી સંસ્થાઓના રજિસ્ટર પરથી રદ કરી છે. કમિશનના અનુસાર આ નાણા કોઈ ત્રીજા પક્ષકારે ભૂલથી ટ્રાન્સફર કર્યા હતા અને ચેરિટીની એક માત્ર ટ્રસ્ટી રાજાએ તેનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવામાં કર્યો હતો. નોર્ધમ્પટન ક્રાઉન કોર્ટે ઓક્ટોબર ૨૦૧૯માં રાજાને ચોરીના આરોપમાં દોષિત ઠરાવી ૨૪ મહિનાનો કોમ્યુનિટી ઓર્ડર જારી કર્યો હતો.

ચેરિટી કમિશને જાહેર કરેલા ઈન્ક્વાયરી રિપોર્ટમાં જણાવાયું છે કે બકિંગહામશાયરસ્થિત ચેરિટી યુકેમાં મુખ્યત્વે આઈલ્સબરી સહિતના વિસ્તારોમાંથી ગરીબી દૂર કરવાના હેતુ સાથે ડોનેશન પ્લેટફોર્મ ‘ગિવ ટુ ચેરિટી (GTC)’ ચલાવતી હતી. ચેરિટીના વહીવટ અને નાણાકીય સંચાલન બાબતે ચિંતા દર્શાવાતા ચેરિટી રેગ્યુલેટરે ડિસેમ્બર ૨૦૧૮માં તપાસ આરંભી હતી. તપાસકારોએ બેન્ક રેકોર્ડ્સ તપાસ્યા પછી ઠરાવ્યું હતું કે આશરે ૨૪૦,૦૦૦ પાઉન્ડની રકમ ચેરિટીના બેન્ક એકાઉન્ટ્સમાંથી ટ્રસ્ટીના ખાનગી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાઈ હતી. ચેરિટીને મળેલાં મોટા ભાગના નાણા ભૂલથી તેના ખાતામાં જમા કરાવાયેલાં હતાં. આ ફંડનો ઉપયોગ ખાનગી કંપનીના નામે પ્રોપર્ટી ખરીદવામાં કરાયો હતો, જે કંપનીનો ડાયરેક્ટર અને શેરહોલ્ડર એક જ હતા. આ નાણા હવે ત્રીજી પાર્ટીને પરત ચૂકવી દેવાયા છે.

ચેરિટી સંસ્થાનો વહીવટી શરતોનો ભંગ

તપાસમાં એમ પણ જાણવા મળ્યું હતું કે ચેરિટીનો વહીવટ તદ્દન નબળો હતો અને તે વહીવટી દસ્તાવેજોના ભંગ સાથે કામ કરતી હતી. ઈન્ક્વાયરી સુધીના વર્ષોમાં એક જ ટ્રસ્ટી હતો. આનો અર્થ એ છે કે નિર્ણયપ્રક્રિયામાં મદદ તેમજ દેખરેખ રાખવા અન્ય કોઈ ટ્રસ્ટી ન હતા તેમજ હિતોના સંઘર્ષ પર પણ યોગ્ય નજર રાખી શકાતી ન હતી. મીટિંગમાં હાજરી આપવી તેમજ કમિશનને માહિતી આપવાની ચેરિટીઝ એક્ટની જોગવાઈનું પાલન કરવામાં રાજા નિષ્ફળ રહ્યો હતો. રાજાને સજા કરાયાથી તે આપમેળે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોઈ ચેરિટીના ટ્રસ્ટી  તરીકે કામ કરવા અને સીનિયર મેનેજમેન્ટ ભૂમિકા માટે ગેરલાયક ઠર્યો છે. ચેરિટી હવે કાર્યરત નથી અને ૯ એપ્રિલ ૨૦૨૦થી રજિસ્ટર ઓફ ચેરિટીઝમાંથી દૂર કરાઈ છે.

ચેરિટી કમિશનની તપાસટીમોના વડા એમી સ્પીલરે જણાવ્યું હતું કે,‘આ ચેરિટી નાણાકીય મુશ્કેલીઓ સહન કરતા લોકોનું જીવન સુધારવા સ્થપાઈ હતી પરંતુ, આ વ્યક્તિએ તેના ઉમદા હેતુઓ સાથે છેતરામણી કરી હતી. અમારી તપાસમાં વિશ્વાસના હોદ્દા પરની વ્યક્તિની અયોગ્ય વર્તણૂક બહાર આવી છે અને તેમને પોતાની પ્રવૃત્તિ માટે જવાબ આપવો જ પડે. આ કેસ દર્શાવે છે કે ચેરિટીમાં દેખરેખ ન હોય અને નબળો વહીવટ હોય તો શું ખરાબ થઈ શકે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter