લંડનઃ ગ્રીન બેલ્ટ જમીનને અસરની ચિંતા વચ્ચે હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેને અક્સબ્રીજ નજીક ડેનહામના સ્વામીનારાયણ મંદિર - અનુપમ મિશન – દ્વારા સ્મશાનગૃહ માટે કરાયેલી પ્લાનિંગ અરજીને સમર્થન આપ્યું હતું. સ્મશાનગૃહના આયોજનની અરજી અંગે બકિંગહામશાયર કાઉન્સિલના અધિકારીઓએ નોંધ્યું હતું કે આ સ્મશાનગૃહ ‘અયોગ્ય ડેવલપમેન્ટ’ થશે અને તેમાં ખૂલ્લી જગ્યાનો વપરાશ થવા ઉપરાંત, ગ્રીન બેલ્ટ પર દબાણ થશે.
જોકે, બ્લેકમેને જણાવ્યું હતું કે હિંદુ કોમ્યુનિટી પાસે ખૂબ ઓછાં વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે આ પ્રકારની અરજી જરૂરી છે. તેમણે ઉમેર્યું કે ૨૦૧૫ના બજેટના સમયે તમામ વપરાશકારો અને ધર્મોની જરૂરિયાત પ્રત્યે સભાન અને સંબંધિત હેતુ માટે યોગ્ય હોય તેવા સ્મશાનગૃહની સુવિધાની જોગવાઈ અને તેના વિસ્તારની સમીક્ષા માટે સંખ્યાબંધ કોલ્સ આવ્યા હતા. આ પછી કન્સલ્ટેશન હાથ ધરાયું હતું.
તારણોમાં ભલામણ કરાઈ હતી કે દેશના જે વિસ્તારોમાં હિંદુઓ, શીખો અને જૈનો વધુ પ્રમાણમાં રહે છે ત્યાંના સ્મશાનગૃહો માગને પહોંચી વળવા અને અન્ય યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા સજ્જ નથી. સૂચિત સ્મશાનગૃહ માટેની આ જગ્યા આદર્શ સ્થળ હોવા ઉપરાંત, પૂરતી સુવિધાઓ દ્વારા આ રિપોર્ટમાં વ્યક્ત કરાયેલી ચિંતાઓને દૂર કરશે. હિંદુની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોવાથી અંતિમક્રિયા માટેની હાલની સુવિધાઓ અપૂરતી હોવાથી મંદિરના પ્રતિનિધિઓએ પણ આ વલણ પર ભાર મૂક્યો હતો.
સાંસદ બ્લેકમેને ઉમેર્યું હતું કે હેરો અને બ્રેન્ટમાં રહેતા લોકો સહિત આસપાસના વિસ્તારોની કોમ્યુનિટી દ્રારા તેનો ઉપયોગ થઈ શકશે, કારણ કે યુકેના હિંદુઓની અડધાથી વધુ વસ્તી જ્યાં રહે છે ત્યાંથી આ સ્થળ એક કલાક ડ્રાઈવના અંતરે છે.