ડ્યૂક ઓફ એડિનબરા- પ્રિન્સ ફિલિપની ચિરવિદાય

Friday 09th April 2021 08:41 EDT
 
 

લંડનઃ પ્રિન્સ ફિલિપ- રોયલ હાઈનેસ ડ્યૂક ઓફ એડિનબરાનું શુક્રવાર, ૯ એપ્રિલે ૯૯ વર્ષની પાકટ વયે નિધન થયું છે. શાહી જીવનસાથીએ સાત દાયકાના સપોર્ટ પછી બ્રિટિશ ઈતિહાસમાં સૌથી દીર્ઘ શાસન કરનારાં ક્વીનનો સાથ છોડ્યો છે. પ્રિન્સ ફિલિપના નિધનથી સમગ્ર બ્રિટન અને ક્વીન સહિત રોયલ ફેમિલી આઘાતમાં સરી પડ્યા છે. એક સમયે પ્રિન્સ ફિલિપને પોતાની તાકાત ગણાવ્યા હતા. ડ્યૂક એક મહિનો હોસ્પિટલમાં વીતાવ્યા પછી ત્રણ સપ્તાહ અગાઉ જ વિન્ડસર કેસલમાં પરત ફર્યા હતા. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર સહિતના રાજકીય નેતાઓએ દિવંગત પ્રિન્સ ફિલિપને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ડ્યૂક ઓફ એડિનબરાએ ૧૦ જૂનની પોતાની ૧૦૦મી વર્ષગાંઠના બે મહિના અગાઉ જ શુક્રવારે સવારે દેહત્યાગ કર્યો હતો. તેમની ફ્યુનરલ સર્વિસ બાબતે વિગતોને અંતિમ સ્વરુપ આપવા શાહી સલાહકારોની બેઠક યોજાશે. તેમના અંતિમ સંસ્કાર વેસ્ટમિન્સ્ટર એબીમાં નહિ પરંતુ, વિન્ડસરના સેન્ટ જ્યોર્જ્સ ચેપલ ખાતે યોજાશે. ડ્યૂકની ઈચ્છાનુસાર તેમના દેહને દર્શનાર્થે રાખી મૂકવામાં નહિ આવે કે સ્ટેટ ફ્યુનરલ નહિ થાય. ડ્યૂકને સેન્ટ જ્યોર્જ ચેપલમાં દફનાવ્યા પછી અંતિમ અવશેષોને ચેપલની નીચે ક્વીનના અવસાન સુધી રોયલ વોલ્ટમાં રાખવામાં આવશે. ફ્યુનરલ પ્લાન્સ વર્ષોથી તૈયાર હોવાં છતાં, કોવિડ-૧૯ના નિયંત્રણોને ધ્યાનમાં રાખી તેમાં સુધારાવધારા કરવામાં આવશે. ડ્યૂકે હંમેશા એવું જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણ રાજાશાહી સન્માનની રીતરસમોના ફ્યુનરલના બદલે સામાન્ય અંતિમ સંસ્કારની ઈચ્છા રાખે છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને સિટી ઓફ લંડનમાં સેન્ટ બાર્થોલોમ્યુસ હોસ્પિટલ ખાતે હૃદયનું ઓપરેશન કરાવ્યા પછી તેઓ આરામ કરી રહ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં તેમનું સ્વાસ્થ્ય કથળતા સાવચેતીના પગલાં તરીકે મેરીલિબોનની ખાનગી કિંગ એડવર્ડ સાતમાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને ૧૬ માર્ચે હોસ્પિટલમાંથી રજા અપાઈ ત્યારે તેમનું સ્વાસ્થ્ય સારું હતું. આ પછી, ક્વીને શક્ય હોય ત્યાં સુધી ડ્યૂકની સાથે સમય ગાળવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રિન્સ ફિલિપનો જન્મ ૧૯૨૧માં ગ્રીસના કોર્ફુમાં થયો હતો. તેઓ પ્રિન્સ એન્ડ્રયુ ઓફ ગ્રીસ એન્ડ ડેન્માર્ક અને પ્રિન્સેસ એલીસ ઓફ બેટેનબર્ગના પાંચમા સંતાન અને એકમાત્ર પુત્ર હતા. તેમનો પરિવાર ડેનિશ એરિસ્ટોક્રસીમાંથી ઉતરી આવ્યો હતો અને ૧૮૬૩માં ગ્રીકની રાજગાદી પર આવ્યો હતો. ૧૯૨૨ના બળવા પછી શાહી પરિવારને દેશ છોડવાની ફરજ પડી હતી.

પ્રિન્સ ફિલિપ ૧૮ વર્ષના હતા ત્યારે ૧૩ વર્ષના ક્વીન સાથે તેમની મુલાકાત થઈ હતી. આ પછી ૧૯૪૭માં તેમના લગ્ન થયા હતા અને તેઓ ભાગ્યે જ દૂર રહ્યા હતા. વફાદારી, મક્કમ નિર્ધાર, નિસ્પૃહતા અને સારું આરોગ્ય ધરાવતા પ્રિન્સ ફિલિપ ક્વીન માટે અનિવાર્ય ટેકારુપ બની રહ્યા હતા. તેઓ જીવનના નવમા દાયકામાં પણ સતત કાર્યરત રહ્યા હતા. મોટા ભાગના લોકો નિવૃત્તિમાં સમય ગાળે તેવી વયમાં પ્રિન્સ ફિલિપ વર્ષમાં ૩૦૦ સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધમાં રોયલ નેવી ઓફિસર તરીકે ફરજ બજાવનારા પ્રિન્સ ફિલિપે ૯૬ વર્ષના હતા ત્યારે ઓગસ્ટ ૨૦૧૭માં સત્તાવાર ફરજોથી ફારેગ થવાનો નિર્ણય જાહેર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter