તમારા અવાજનું જ વિશેષ મહત્ત્વ છેઃ કૂલેશ શાહ

અનુષા સિંહ Wednesday 25th June 2025 06:32 EDT
 
 

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ કૂલેશ શાહ માત્ર સફળ અન્ટ્રેપ્રીન્યોર અને ફિલાન્થ્રોપિસ્ટ નથી, તેઓ બિઝનેસ, કોમ્યુનિટી સર્વિસ અને રાજકીય વાર્તાલાપ- સંપર્કોના ક્ષેત્રમાં બ્રિટિશ ભારતીયોનો મહત્ત્વપૂર્ણ અવાજ પણ છે. એવોર્ડવિજેતા હોટેલિયર કૂલેશ શાહે 1988માં લંડન ટાઉન ગ્રૂપની સ્થાપના કરવા સાથે રીઅલ એસ્ટેટ, હોસ્પિટાલિટી એનર્જી અને ટેકનોલોજીને સાંકળતું મલ્ટિમિલિયન પાઉન્ડના સાહસનું નિર્માણ કર્યું છે. બોર્ડરૂમ સિવાય પણ તેઓ પ્રતિબદ્ધ પરોપકારી અને સામાજિક હિમાયતી છે. હવે કૂલેશ શાહે નવું ઉત્તરદાયિત્વ સ્વીકાર્યું છે. પૂર્વ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર સર ઓલિવર ડાઉડેનની સાથે તેમને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ (CF) ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. કૂલેશ શાહે એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર સાથે તેમની નવી જવાબદારી સંદર્ભે વાતચીત કરી હતી.

1. કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ તરીકે તમારી મહત્ત્વની પ્રાથમિકતા અને વિઝન શું છે? યુકેની રાજકીય નેતાગીરી અને પોલિસીમેકિંગ વર્તુળોમાં બ્રિટિશ ભારતીયોનું પ્રતિનિધિત્વ વધારવા તમે શું કરવા માગો છો?

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ તરીકે મારી કલ્પના સંપર્કો વધારવા, પ્રતિનિધત્વ વ્યાપક બનાવવું તેમજ બ્રિટિશ ભારતીયોના હાર્દરૂપ એન્ટરપ્રાઈઝ, પરિવાર, શિક્ષણ અને સેવાના મૂલ્યો બ્રિટિશ રાજકારણમાં પ્રતિબિંબિત થાય તેની ચોકસાઈ કરવાની છે. અમારી પ્રાથમિકતાઓમાં જાહેર જીવનમાં પ્રવેશવાના માર્ગો, મેન્ટોરશિપ અને રિસોર્સીસ  પૂરાં પાડીને બ્રિટિશ ભારતીયોની આગામી પેઢીને પોષણ આપવાનો સમાવેશ થાય છે. અમે વધુ સુલભ નેટવર્ક્સ રચી, લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સના આયોજન અને આપણી કોમ્યુનિટીના યુવાનોને લોકલ કાઉન્સિલ્સ, પાર્લામેન્ટ અને પોલિસીનિર્ણાયક સંસ્થાઓમાં સક્રિય ભૂમિકાઓ લેવા પ્રોત્સાહિત કરી રાજકીય પાર્ટિસિપેશનના અવરોધો દૂર કરવા માગીએ છીએ.

2. તમારી સાથે સર ઓલિવર ડાઉડેનની કઈ અનોખી શક્તિઓ CF ઈન્ડિયાની નેતાગીરીને સાંપડશે અને તમારી અલગ પશ્ચાદભૂ કેવી રીતે સુસંગત બની રહેશે? અમીત જોગીઆ અને રીના રેન્જરના કાર્યકાળમાં જે ગતિ સાંપડી તેને કેવી રીતે આગળ વધારશો?

સર ઓલિવર ડાઉડેનની વિશિષ્ટ રાજકીય કારકિર્દી, સઘન સરકારી અનુભવ અને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તરીકે સીનિયર પ્લેટફોર્મ સર્વોચ્ચ સ્તરે CF ઈન્ડિયાની પ્રોફાઈલ અને પ્રભાવને વિસ્તારવા માટે મહત્ત્વપૂર્ણ છે. સર ઓલિવર સંસ્થાગત પ્રભાવ, પોલિસી અનુભવ અને નિર્ણયધારકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ઓફર કરે છે જ્યારે હું એન્ટ્રેપ્રીન્યોરશિપના દાયકાઓના વ્યવહારુ અનુભવ, બિઝનેસ લીડરશિપ તથા બ્રિટિશ ડાયસ્પોરામાં કોમ્યુનિટી સંપર્કોનું યોગદાન આપીશ. અમીત જોગીઆ અને રીના રેન્જરે CF ઈન્ડિયાને રાજકીય સંવાદ-સંપર્કોનાં મજબૂત પ્લેટફોર્મમાં રૂપાંતરિત કર્યું છે. તેમના મજબૂત પાયા પર આગળ વધી અમે પેઢીઓ અને સેક્ટર્સમાં પાર્ટિસિપેશનને વ્યાપક બનાવવા ઈચ્છીએ છીએ. અમે કોમ્યુનિટીના પ્રતિનિધિત્વ નહિ પામેલા ગ્રૂપ્સ માટે રાજકીય માર્ગોને વિસ્તારવાને પ્રાથમિકતા આપીશું. બિઝનેસીસ, શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિક સમાજ સાથે ભાગીદારીઓ સ્થાપીને ગતિને જાળવીશું તેમજ મીડિયા અને રાજકીય દિશાઓમાં બ્રિટિશ ભારતીયોની સિદ્ધિઓનો પ્રસાર અને વિસ્તાર કરીશું. સાથે મળીને અમે CF ઈન્ડિયા યુકેનાં ભવિષ્યને ઘડવામાં પ્રભાવશાળી, સમાવેશી પરિબળ બની રહે તેની ચોકસાઈ કરીશું.

3. યુકેની વગશાળી કોમ્યુનિટીઓમાં ભારતીય ડાસ્પોરાનો સમાવેશ થાય છે છતાં, સંપર્કોના અભાવની ભારે ટીકા થાય છે. કન્ઝર્વેટિવ્ઝની લોકપ્રિયતા ઘટતી રહી છે ત્યારે પાર્ટી બ્રિટિશ ભારતીયોની ચિંતા દૂર કરવાના કેવાં મજબૂત પગલાં લેશે અને આ સમયે તમે કોમ્યુનિટીને શું સંદેશો આપવા માગો છો?

બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી યુકેની સમૃદ્ધિ અને સાંસ્કૃતિક અધિકતા, ઉદાહરણીય સખત મહેનત, ધીરજ તેમજ મજબૂત પારિવારિક અને સામુદાયિક મૂલ્યોનો અંગભૂત સ્તંભ છે. બ્રિટિશ ભારતીયોની ચિંતાઓના નિરાકરણ માટે કન્ઝર્વેટિવ પાર્ટીએ ટકાઉ અને પારદર્શી સંવાદ રચવો પડશે. શિક્ષણ અને એન્ટ્રેપ્રીન્યોરશિપથી માંડી સામાજિક સમાવેશિતા અને  ભેદભાવ સામે લડાઈ સહિત કોમ્યુનિટીના મુદ્દાઓ સાંભળવા પડશે અને પાર્ટીની નીતિઓ અને પ્રાથમિકતાઓમાં સમાવવા પડશે. કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા મારફત અમે બ્રિટિશ ભારતીયો માટે અર્થસભર તકો સર્જવા પ્રતિબદ્ધ છીએ. કોમ્યુનિટીને અમારો સંદેશો સ્પષ્ટ છેઃ તમારા અવાજનું મહત્ત્વ છે, તમારી નેતાગીરી મૂલ્યવાન છે અને તમારી હાજરી રાજકીય નિર્ણયપ્રક્રિયાના પોતમાં પણ ઝળકવી જોઈએ.

4. યુકેના રાજકારણમાં ભારતીય મૂળના નેતાઓ વધી રહ્યા છે ત્યારે ઈમિગ્રેશન નીતિઓ ડાયસ્પોરા કોમ્યુનિટીઓમાં નુકસાન વધારવાના બદલે વિશ્વાસનિર્માણ કરે તેવી ખાતરી કન્ઝર્વેટિવ્ઝ સહિતની પાર્ટીઓ કેવી રીતે આપશે?

પારિવારિક એકતા, તક અને વાજબીપણામાં માનતા બ્રિટિશ ભારતીયો સહિત ડાયસ્પોરા કોમ્યુનિટીઓ માટે ઈમિગ્રેશન પોલિસી સંવેદનશીલ અને જટિલ મુદ્દો છે. વિશ્વાસનિર્માણ અને તેની જાળવણી માટે નીતિઓએ કાયદેસર સરહદી નિયંત્રણ તેમજ પ્રસ્થાપિત કોમ્યુનિટીઓના યોગદાન અને સંજોગોના સહાનુભૂતિપૂર્વકની વિચારણા વચ્ચે સમતુલા સાધવી જોઈશે. રાજકીય પક્ષોએ અસરગ્રસ્ત કોમ્યુનિટીઓ સાથે પ્રત્યક્ષ સંપર્કો મારફત સહાનુભૂતિ અને સમાવેશિતા સાથે ઈમિગ્રેશન સુધારાઓ હાથ ધરવા જોઈએ. ઉશ્કેરણી, વંશીય લઘુમતીઓને હાંસિયામાં ખસેડવાના બદલે ઈન્ટિગ્રેશન, આર્થિક યોગદાન અને સામાજિક સંવાદિતા સ્થાપે તેવા મિકેનિઝમ અને સ્પષ્ટતા, વાજબીપણા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કન્ઝર્વેટિવ્ઝ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયામાં અમે પારિવારિક પુનઃમિલન, સ્કિલ્ડ માઈગ્રેશન તથા લાંબા ગાળાના સેટલમેન્ટ અને યોગદાનને પ્રોત્સાહિત કરે તેવા કોમ્યુનિટીના મૂલ્યોને પ્રતિબિંબિત કરે તેવી ઈમિગ્રેશન નીતિઓની હિમાયત કરીએ છીએ. સહ-અધ્યક્ષ તરીકે બ્રિટિશ ભારતીયોનો અવાજ નીતિવિષયક ચર્ચાઓમાં સંભળાય તેના માટે હું પ્રતિબદ્ધ છું. ભારતીય મૂળના નેતાઓનો ઉદય અંદરથી જ પોલિસીઓને પ્રભાવિત કરે, ઈમિગ્રેશનને વિશ્વાસનિર્માણ અને પારસ્પરિક આદરનું પ્લેટફોર્મ બનાવે તેની તક પૂરી પાડે છે.

5. ભારતની મુલાકાત લેવાની તમારી યોજના છે? તમે આવી મુલાકાતમાં કયા લક્ષ્યો અથવા પાર્ટનરશિપને આગળ વધારવા ઈચ્છો છો?

હું દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા, સાંસ્કૃતિક વિનિમયને આગળ વધારવા, અને યુકે અને ભારત વચ્ચે આર્થિક ભાગીદારીઓ વધારવાના કન્ઝર્વેટિવ્ઝ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના મિશનને આગળ ધપાવવાના લક્ષ્ય સાથે ટુંક સમયમાં ભારતની મુલાકાત લેવાનો ઈરાદો રાખું છું. શ્રી ઓરોબિંદો ટ્રસ્ટના ચેરમેન તરીકે હું ઓરોવિલે, પોંડિચેરીની નિયમિત મુલાકાત લેતો રહું છું. મારી આગામી મુલાકાત બંને દેશોને લાભકારી રહે તે રીતે સહકારની તકોને ઓળખવા બિઝનેસ, એજ્યુકેશન અને પરોપકારિતાના ક્ષેત્રોમાં ચાવીરૂપ સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત પર કેન્દ્રિત રહેશે. અમે યુકે અને ભારતની એકેડેમિક, સરકાર અને વ્યાપારી સંસ્થાઓ વચ્ચે જાણકારી-જ્ઞાનની આપ-લે, ઈનોવેશન અને ટકાઉ વિકાસની ચેનલ્સ ખોલવા પાર્ટનરશિપ્સનો હેતુ ધરાવીએ છીએ.

અમે તાજેતરમાં જ વૈધાનિક સ્તરે સંબંધો મજબૂત બનાવવાના હેતુસર ભારતીય પાર્લામેન્ટેરિયન્સના ઉચ્ચસ્તરીય ડેલિગેશનની યુકેમાં યજમાની કરી હતી. અમે દ્વિપક્ષીય સહકાર અને પારસ્પરિક સમજને વધારતા ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરવા ભારતીય પાર્લામેન્ટેરિયન્સ સાથે સક્રિય કામગીરીમાં સંકળાયેલા છીએ. વૈશ્વિક અરાજકતાના સમયમાં યુકે-ભારતના સંબંધો વ્યૂહાત્મક મહત્ત્વ, આર્થિક, સાંસ્કૃતિક અને ભૂરાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આપણી કોમ્યુનિટી સેતુનિર્માણ અને તેની જાળવણીમાં મહત્ત્વની ભૂમિકા ધરાવે છે. હું આ બાબતને માનવતા, આદર અને હેતુલક્ષી નેતાગીરી સાથે આગળ વધારવા ઉત્સુક છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter