લંડનઃ ભારતના ગુજરાતમાં દત્તક લીધેલા ૧૧ વર્ષના કિશોર ગોપાલ સેજાણીનું અપહરણ કરાયા પછી ૧૫૦,૦૦૦ પાઉન્ડના વીમાની રકમ મેળવવા તેની હત્યાનું કાવતરું કરવાના આરોપોમાં દંપતી ૫૫ વર્ષીય આરતી ધીર અને ૩૦ વર્ષીય કંવલ રાયજાદાનું ભારતમાં ટ્રાયલનો સામનો કરવા પ્રત્યાર્પણ કરવાનો લંડન હાઈ કોર્ટ દ્વારા ઈનકાર કરાયો છે.
લંડન હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ લોર્ડ જસ્ટિસ ડિન્જેમાન્સે ભારતમાં બેવડી હત્યા માટે પેરોલ વિના આજીવન કેદની સંભાવના જોતા યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સના આર્ટિકલ ૩ અન્વયે આ દંપતીના માનવાધિકારોનો ભંગ થશે તેમ જણાવી પ્રત્યાર્પણની ભારતની માગણીને ફગાવી ચીફ મેજિસ્ટ્રેટના ચુકાદાને યોગ્ય ઠરાવ્યો હતો. જોકે, આ ગુનાનું કાવતરું વેસ્ટ લંડનના હાનવેલમાં દંપતીના ફ્લેટમાં ઘડાયું હોવાથી યુકેમાં આ બાબતે તપાસ કરી શકાય તેમ કોર્ટે જણાવ્યું છે. સ્કોટલેન્ડ યાર્ડે તેઓ તપાસ શરૂ કરશે કે કેમ તેની ટીપપ્ણી કરવાનું નકાર્યું હતું.
કોમન્સ હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના સભ્ય કન્ઝર્વેટિવ સાંસદ ટિમ લાઉટને ચુકાદા સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો હતો કે ‘બાળકના શંકાસ્પદ હત્યારાઓ લંડનની શેરીઓમાં ફરતા રહે તે આપણે ઈચ્છીએ છીએ? આ ઘૃણાસ્પદ અપરાધ છે અને તે સાબિત થાય તો તેમને સૌથી સખત સજા મળવી જોઈએ તે મુદ્દે ઘણા લોકો મારી સાથે સંમત થશે.’ સિવિટાસ ડેમોક્રસી થિન્ક ટેન્કના ડેવિડ ગ્રીને પણ ચુકાદાના વિરોધમાં જણાવ્યું હતું કે,‘જો આ દેશમાં આ ગુનો આચરાયો હોત તો આજીવન સજા જ તેનો વિકલ્પ હોત. ભારત જેવા મિત્ર દેશ સાથે સહકાર સાધવાની આપણી બ્રિટિશ ન્યાયતંત્રની અક્ષમતાના કારણે જ તેઓ છૂટી શક્યા છે.’
અગાઉ, વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના સીનિયર ડિસ્ટ્રિક્ટ જજ એમ્મા આર્બુથ્નોટે ચુકાદામાં જણાવ્યું હતું કે એરપોર્ટના પૂર્વ બેગેજ હેન્ડલર આરતી ધીર અને રાયજાદાએ સાથે મળીને અન્યોની સહાયથી આ ગુનો આચર્યો હોવાનો સંજોગો આધારિત પ્રથમ દર્શનીય કેસ બનતો હોવાથી પ્રત્યાર્પણને વાજબી ઠરાવતા પૂરતા પૂરાવા પણ છે. જોકે, યુકે કાયદા હેઠળ પ્રત્યાર્પણ આ દંપતીના માનવ અધિકારો વિરુદ્ધ હશે કારણકે ગુજરાતમાં બેવડી હત્યા માટે પેરોલ વિના આજીવન કેદની સજા છે. ઘટાડી ન શકાય તેવી સજા અમાનવીય અને અપમાનજનક ગણાશે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર આ દંપતીએ અનાથ બાળકને દત્તક લેવા ૨૦૧૫માં ગુજરાતના કેશોદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બહેન-બનેવી સાથે રહેતા ૧૧ વર્ષના ગોપાલ સેજાણીને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. દત્તક લેનાર માતાપિતાએ ગોપાલના નામે ૧૫૦,૦૦૦ પાઉન્ડની ૧૦ વર્ષની ઈન્સ્યુરન્સ પોલિસી લીધી હતી અને ૧૫,૦૦૦ પાઉન્ડનું પ્રીમિયમ પણ ભર્યું હતું. ૨૦૧૭ની આઠમી ફેબ્રુઆરીએ ગોપાલનું અપહરણ કરાયું હતું. ગોપાલને બચાવવા જતા તેના બનેવી હરસુખ કારદાણી પણ મોતને ભેટ્યા હતા. અગાઉ પણ ગોપાલને મારી નાખવાના બે પ્રયાસ કરાયા હતા. ઈન્સ્યુરન્સ પોલિસીના નાણા ચુકવાયા નથી. ગુજરાત પોલીસે ધીર અને રાયજાદાની મદદ કરનારા મિત્રની પણ ધરપકડ કરી હતી.
ભારતીય સત્તાવાળાનું માનવું છે કે લંડનના આરતી ધીર અને કવલ રાયજાદાએ ૧૫૦,૦૦૦ પાઉન્ડની લાઈફ ઈન્સ્યુરન્સ પોલિસીની રકમ કબજે કરી શકાય તે માટે તેમનાં દત્તક પુત્ર ગોપાલની હત્યા કરાવી હતી. ભારત સરકારની વિનંતીના આધારે જૂન ૨૦૧૭માં તેમની યુકેમાં ધરપકડ કરાઈ હતી. આ લોકો સામે ભારતમાં હત્યાનો ખટલો ચલાવી શકાય તે માટે પ્રત્યાર્પણની અરજી કોર્ટે માનવાધિકારના મુદ્દા આધારે જુલાઈ મહિનામાં ફગાવી દીધી હતી.