બા સાથે તેમના લગ્નમાં નિષ્ઠા અને સમર્પણ વિશે ચોક્કસપણે કશું કહી શકાય અને આટલા બધા વર્ષો સુધી તેઓ બાને ચાહતા રહ્યા – અમે બધા ગ્રાન્ડચિલ્ડ્રન માટે આ કેટલું મોટું ઉદાહરણ! હું તમને વહાલ કરું છું, દાદા, અમને તમારી ઘણી યાદ આવશે. તમને વહાલ,
- જેસન હેમંત પટેલ (દાદાનો સૌથી મોટો પૌત્ર)
દાદા, હું મારા બાળપણ અને તમને મળવા માટે આતુર રહેતો હતો તેને કદી ભૂલીશ નહિ. તમે અમને હંમેશાં હસાવતા રહેતા હતા અને કોઈ રીતે બા ચીડાય તેમ કરવાનું ચુકતા નહિ. તમારું હાસ્ય પણ ચેપ લગાવનારું હતું અને તમારા ચહેરા પર હાસ્ય ન હોય તેવું મને કદી યાદ આવતું નથી. તમારા ગ્રાન્ડકિડ્સને નિહાળીને તમને હંમેશાં ઘણા ગર્વની લાગણી થતી! તમે સાચી રીતે જ સૌથી સ્વસ્થ-ધીરગંભીર દાદા હતા. તમે મારા પુત્ર અને તમારા પ્રપૌત્ર- ગ્રેટ ગ્રાન્ડસન ક્ર્યુ જેમ્સ પટેલને પહેલી જ વખત મળ્યા તે દિવસ મને આજે પણ યાદ છે. તમને આનાથી વધુ ગર્વ અને આનંદની લાગણી થઈ હોય તે મને લાગતું નથી.
તમે હંમેશાં તમારા ગ્રાન્ડકિડ્સ અને ગ્રેટ- ગ્રાન્ડકિડ્સની તસવીરો દેખાડતા રહેવાનું ઘણું ગમતું હતું. મને ખૂબ ખુશી છે કે તમે અમને છોડી ગયા તે અગાઉ તમારા ગ્રેટ-ગ્રાન્ડસન, ક્ર્યુ અને તમારી ગ્રેટ-ગ્રાન્ડડોટર કેલીને મળી શક્યા હતા. મારા બાળકોના જીવન પર તમે ઘણી અસર ઉપસાવી છે અને હું જાણું છું કે તેઓ કદી તમને ભૂલી શકશે નહિ. આપણે વધુ સમય સાથે વીતાવી શક્યા હોત તો ઘણું સારું હોત પરંતુ, આપણે જેટલો પણ સમય સાથે પસાર કર્યો છે તેને હંમેશાં યાદ રાખીશું. હું તમને વહાલ કરું છું અને તમારી ખોટ હંમેશા સાલશે.
- દાદા! તમને વહાલ, ડેનિયલ હેમંત પટેલ
મારા જાણમાં આવ્યા હોય તેવા સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી માનવીને શાશ્વત શાંતિ મળે તેવી પ્રાર્થના. મને શાળાએ અને રમતગમતની પ્રેક્ટિસમાં લઈ જવાથી માંડી વાહન કેવી રીતે હંકારવું અને તમારા માટે વગાડ્યું તે સંગીત સાંભળવા સહિતની તમામ બાબતોમાં તમે અત્યાર સુધી મારી જાણમાં રહેલા તમામ લોકોમાં સૌથી ખુશ-આનંદી અને મજબૂત-મક્કમ માનવીઓમાં એક હતા. બાળપણથી મારો અડધો ઉછેર મૂળભૂતપણે તમે જ કર્યો છે અને મારી જાતને તમારા ગ્રાન્ડચાઈલ્ડ કહેવામાં મને ભારે ગર્વ થાય છે. હવે તમે બહેતર વિશ્વમાં સ્થાન મેળવ્યું છે અને તમે ઉજવણીને લાયક જીંદગી જીવી ગયા છો.
- તેજસ પટેલ
ઈશ્વર પ્રતિ મારા પિતાની શ્રદ્ધા અને સમર્પણે તેમને જીવનભર માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેઓ જે રીતે જીવન જીવતા હતા તેનાથી ઘણી વખત હું સાચી રીતે માનતો થયો હતો કે તેમની પાસે ઈશ્વરીય શક્તિઓ હતી. હવે તેઓ ઈશ્વર સમક્ષ છે અને ત્યાંનું કે જગતનું સંચાલન કેવી રીતે કરવું તે પણ કદાચ કહેતા હશે. મને તેમની ઘણી ખોટ સાલશે.
- નીલ પટેલ
મારા પિતાએ કોવિડ સામે મજબૂત લડત આપીને ૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સવારે ૬.૩૦ કલાકે (IST) શાંતિથી દેહત્યાગ કર્યો છે. તેઓ હુંફાળા હૃદયના, પરિવારલક્ષી અને કાળજી લેનારી વ્યક્તિ હતા. જેમ તેમનું 'હસમુખ' નામ જ સૂચવે છે તેમ તેઓ આનંદી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમનું ખડખડાટ હાસ્ય ચેપ લગાવનારું હતુ અને અમારી જિંદગીઓમાં તે સદાય હૃદયમાં સમાયેલું રહેશે. તેમણે સંપૂર્ણપણે જીવન જીવ્યું અને માણ્યું હતું અને તેમની પાસે જે કાઈ હતું તેનાથી તેમને ખૂબ સંતોષ હતો, અન્ય લોકોને મદદરુપ થવાની કોઈ તક તેમણે છોડી ન હતી. માત્ર મારા પરિવારને જ નહિ પરંતુ, તેઓ વસતા હતા તે વિશ્વમાં તેમના તમામ મિત્રોને તેમજ અભિન્ન આસ્થાળુ અને પરોપકારીની ભૂમિકા ભજવતા રહ્યા તે સ્વામીનારાયણના ભક્તજનો અને પૂજારીઓને પણ તેમની ભારે ખોટ સાલશે. મારા પતિ તરુણ, પુત્રી પ્રિયા અને મને તેમની ભારે ખોટ અનુભવાશે. તેમનો આત્મા પરમ અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. મારા માટે તો તેમનો જોશપૂર્ણ આત્મા અને ઊર્જા હજુ પણ જીવંત અને આસપાસ છે અને તેઓ મૃત્યુ પામ્યા નથી. તેમણે યોગ્ય આરામ અને શાંતિની સ્થિતિ પ્રાપ્ત કરી છે. ઓમ શાંતિ... ઓમ શાંતિ... ઓમ શાંતિ...
- સ્મિતા
વહાલા મોટા દાદા, મને ઘણી ખુશી છે કે હું તમને મળી શક્યો હતો. હું જ્યારે પણ તમને મળતો ત્યારે મને ઘણો જ આનંદ થતો. તમારી સાથે બેસવાનું અને ટીવી જોવાનું અથવા તો ખાલી વાતો કરવાનું પણ મને ઘણું ગમતું હતું. તમે મારા એકલા જ પરદાદા-મોટા દાદા હતા અને હું જ્યારે પણ તમને મળ્યો ત્યારે મને ઘણાં લાડકોડ કર્યા હતા. મને તમારી યાદ આવશે અને અમે તમને હંમેશાં વહાલ કરીશું,
- તમને વહાલ, ક્ર્યુ જેમ્સ પટેલ (૮ વર્ષ)
દાદા ઘણા માણસઘેલા-મળતાવડા માણસ હતા. તેમની આસપાસ માણસો હોય અને ખાસ કરીને તેમનો પરિવાર હોય તે તેમને ઘણું ગમતું હતું. તેમનું હાસ્ય ઘણું ચેપી હતું અને તેઓ કદી હસતા ન હોય તેમ દેખાયું નથી. તેમની સાથે વીતાવેલી દરેક પળ મઝાની અને યાદ રહે તેવી હતી. તેમની ખોટ બધાને લાગશે અને તેમનું સ્મરણ અમારા બધાની સાથે હરદમ જીવંત રહેશે.
- તમને વહાલ, તમારા વિના નહિ ગમે, દાદા! સ્ટીફન હેમંત પટેલ
દાદા સૌથી રમૂજી માણસોમાંના એક હતા અને તેમનું ખડખડાટ હાસ્ય શ્રેષ્ઠ હતું! તેઓ જે રીતે પોતાના ગ્રાન્ડચિલ્ડ્રન અને ગ્રેટ-ગ્રાન્ડચિલ્ડ્રનને વહાલ કરતા હતા તે મને ઘણું ગમતું હતું. હું મારા પરિવારને નિકટ રાખીને પગલે પગલે તેમનું અનુસરણ કરવાની આશા રાખું છું. હું તમને વહાલ કરું છું દાદા, અમને તમારી ખોટ સાલશે! પ્રેમસહ,
- નાથાનએલ હેમંત પટેલ
દાદા અમારા સુપરહીરો હતા. તેઓ અમારા પરિવારની તાકાતના મહામૂલા સ્તંભ હતા. તેમનાથી પરિચિત દરેક વ્યક્તિ તેમના ચેપ લગાવનાર હાસ્યને તેમજ તેમની રમૂજોના અખૂટ ભંડારને સદાય યાદ કરશે. તેમની છત્રછાયામાં ઉછરવાની અમારી યોદોનું સદા સ્મરણ રહેશે. બા અને દાદાના ઘરની અમારી મુલાકાતો મારા જીવનના સૌથી પ્રિય સ્મરણો બની રહેશે. તેઓ એવા અદ્ભૂત માનવી હતા જેમણે અમારા પરિવારના દરેક સભ્યના જીવનને ઘડનારી અસર સર્જી છે એટલું જ નહિ, અમારી કોમ્યુનિટીમાં અસંખ્ય લોકો તેમના સંપર્કમાં આવ્યા તેમના જીવનને પણ ઘડ્યા છે. અમને તેમની પાસેથી જે મૂલ્યો અને અમર્યાદ સ્નેહ સાંપડ્યો છે તેના બદલ અમે સદૈવ તેમના આભારી રહીશું. તેમના પૌત્ર બનવાનું અમારું સદભાગ્ય છે અને તેમનો વારસો સદાકાળ જીવંત રહેશે. દાદા તમને પ્રણામ, શાશ્વત શાંતિની પ્રાર્થનાસહ
જય સ્વામિનારાયણ
- અક્ષલ.. અમિત.. વિજય.. વર્શાલી
મારા દાદા સાથે મને જે સમય વીતાવવા મળ્યો છે તે બદલ હું મારી જાતને બહુ જ ભાગ્યશાળી માનું છું. તેઓ તેમના સમગ્ર જીવન દરમિયાન રોલ મોડેલ બની રહ્યા અને વીતેલા વર્ષો દરમિયાન મને તેમની પાસેથી ઘણા જીવનપાઠ શીખવા મળ્યા. પહેલી વખત કાર ડ્રાઇવ કરવાથી માંડીને શાળા અભ્યાસ દરમિયાન સતત મળેલું પ્રોત્સાહન, તેમના ચહેરા પરનો મલકાટ અને ખડખડાટ હાસ્ય મને હંમેશા મુશ્કેલ સમયમાં પણ સતત આગળ વધતા રહેવા અને આ સફર દરમિયાન નાની નાની બાબતોને પણ માણતા રહેવાની પ્રેરણા આપતા રહેશે. તેમના પ્રેમ અને સમર્થન માટે હું તેમની અત્યંત આભારી છું. મને દરરોજ તેમની ખોટ સાલશે. દાદા તમને ખૂબ ખૂબ વહાલ, તમે હંમેશા મારા દિલમાં રહેશો.
- પ્રિયા મહેતા
વહાલા પરિવારજનો અને મિત્રો ,
જય સ્વામીનારાયણ...... જય શ્રી કૃષ્ણ...
હું એક અનોખા માનવી અને ઉમદા આત્મા, દિવંગત હસમુખભાઈ વિશે થોડી વાત કરવા ઈચ્છું છુ. સંબંધમાં તો તેઓ મારા સાળા હતા પરંતુ, તેનાથી વિશેષ મારા મોટાભાઈ સમાન હતા.
જાન્યુઆરી ૧૮, ૧૯૬૦નો દિવસ મને યાદ છે જ્યારે તેઓ પોતાના બહેન પુષ્પા સંદર્ભે મને મળવા અથવા કહું તો મને માપવા-નાણવા આવ્યા હતા. તેઓ છેક ૧૯૫૪થી યુએસએમાં વસવાટ કરતા હતા. થોડા સમય માટે તેમણે ભારત અને ટાન્ઝાનિયામાં પણ કામકાજ કર્યું હતું. તેઓ ૨૦૧૪થી તેમના પત્ની શાંતાભાભી સાથે ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં સ્થિર થયા હતા.
ખડતલ અને નિરોગી સ્વાસ્થ્ય ધરાવતા હસમુખભાઈને છેલ્લાં થોડા વર્ષોથી સ્વાભાવિક વયસંબંધિત બીમારીઓ રહેતી હતી. તેમના બહોળા પરિવાર અને વિશેષતઃ શાંતાભાભીના ભાઈ, ડો. જશભાઈ પટેલે તેમની નડિયાદસ્થિત હોસ્પિટલમાં ઘણી કાળજી લીધી હતી. પોતાના સ્નેહીજનોની ઉપસ્થિતિમાં આશરે ૯૦ વર્ષની પાકટ વયે તેમણે અનંતની યાત્રા આરંભી હતી.
હસમુખભાઈનો ચહેરો સુંદર અને સ્મિતમઢ્યો હતો. તેમનું હાસ્ય સ્વાભાવિક, ખડખડાટ અને પ્રેરણાદાયી હતું. તેઓ આપકર્મી માનવી, સંપૂર્ણપણે નિખાલસ અને સત્યવચની હતા. તેમનો ઉછેર જ શિસ્તબદ્ધ રીતે થયો હતો. કેટલાક એમ કહેતા કે તેઓ સ્વભાવે આલોચક કે જજમેન્ટલ હતા પરંતુ, આમ હોવાનો તેમને સંપૂર્ણ અધિકાર હતો. કોઈ પ્રકારનો દંભ નહિ કે આડંબર નહિ.
તેઓ સંપૂર્ણપણે પરિવારલક્ષી વ્યક્તિ હતા જેઓ પોતાના સગાંસંબંધીઓના કલ્યાણની સુપેરે કાળજી રાખતા હતા. તેમના બેરિસ્ટર પિતા અને પ્રણેતા ઉદ્યોગપતિનું ૧૯૩૭માં ટાન્ગાન્યિકાના મ્વાન્ઝામાં અચાનક અવસાન થયા પછી લગભગ પડતીની દશામાં આવેલા પરિવારને તેમણે મોટા ભાઈ મહેન્દ્રભાઈ અને સૌથી નાના ભાઈ જનકભાઈ તેમજ પોતાની જીવનસંગિનીઓ સાથે મળી, સખત મહેનત કરીને ચડતીના દિશામાં લાવ્યા હતા. હસમુખભાઈ તેમની બહેનો, દિવંગત સુશીલાબહેન પ્રફુલભાઈ, સરોજબહેન અને પુષ્પાને ઘણું વહાલ કરતા હતા અને તેમના જીવનમાં ઊંડો રસ પણ લેતા હતા.
તેઓ પોતાની પાછળ સમર્પિત પત્ની શાંતાભાભી અને બાળકો સ્મિતા, હેમંત, વિજય, નીલેશ તેમજ તેમના પણ બાળકો અને ગ્રાન્ડચિલ્ડ્રનને વિલાપ કરતા મૂકી ગયા છે. જે દુનિયામાં આવે છે તેમનું જવાનું નિશ્ચિત જ હોય છે. જે વ્યક્તિ આ દુનિયામાંથી વિદાય થાય છે તેઓ વાસ્તવમાં કશે જતા નથી કારણકે તેઓ આપણા હૃદયમાં જીવંત હોય છે અને આપણા થકી તેઓ જીવતા રહે છે. હસમુખભાઈ જેવા કેટલાક માનવી પોતાની પાછળ પોતાની યાદગીરી અને સંસ્મરણોનો વારસો મૂકતા જાય છે. ઈશ્વર તેમના આત્માને શાશ્વત શાંતિ અર્પે.
ઓમ નમઃ શિવાય......
સી.બી. પટેલ
(પ્રકાશક/તંત્રી, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ)