લંડનઃ ષષ્ઠપિઠાધિશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ્સ, લંડન દ્વારા એવોર્ડ ઓફ એક્સેલન્સ થકી યુકે પાર્લામેન્ટ ખાતે બહુમાન કરવામાં આવ્યું હતુ. આધ્યાત્મિક જાગૃતિનો પ્રસાર, માનવતાવાદી મૂલ્યોનું જતન તેમજ પુષ્ટિમાર્ગની સમૃદ્ધ પરંપરાઓ અને ઉપદેશોની જાળવણીમાં અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી તેમને સન્માનિત કરાયા હતા.
આ ગૌરવશાળી સિદ્ધિ નિમિત્તે 26 જૂને ધામેચા લોહાણા સેન્ટર ખાતે અભિવાદ સમારોહનું આયોજન કરાયું હતું. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું સન્માન ધામેચા ગ્રૂપના પ્રદીપભાઈ ધામેચા અને શ્રી વલ્લભ નિધિ યુકેના ચેરમેન નરેન્દ્રભાઈ ઠકરારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાંજે ઉપસ્થિત રહેલા પરમ પૂજ્ય સંત ભગવંત જશભાઈ સાહેબ દ્વારા ‘21મી સદીમાં શ્રીમદ્ ભગવદ ગીતા’ પર આત્માને સ્પર્શી જતું પ્રવચન કરાયું હતું. આ ઈવેન્ટમાં નરેન્દ્રભાઈ ઠકરારે શ્રી સનાતન હિન્દુ મંદિર, વેમ્બલીની સ્થાપના અને વિકાસમાં પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રીના મહત્ત્વપૂર્ણ યોગદાન તેમજ કોમ્યુનિટીની અવિરત સેવા બાબતે પ્રકાશ પાથર્યો હતો.


