લંડનઃ યુકેમાં કોરોના વાઈરસના ચેપગ્રસ્તો અને મૃતકોની સંખ્યા વધી રહી છે ત્યારે ત્રણ મુખ્ય નર્સિંગ હોમ્સ દ્વારા ઘટસ્ફોટ કરાયો છે કે શંકાસ્પદ રોગચાળાના લીધે સંખ્યાબંધ મૃત્યુ થવાં છતાં, હોમ્સના રહેવાસીઓ અને સ્ટાફ માટે કોરોના ટેસ્ટનો ઈનકાર કરવામાં આવે છે. યુકેના કેર હોમ્સમાં અત્યાર સુધી વાઈરસ સંબંધિત ઓછામાં ઓછાં ૪૦ મૃત્યુ નોંધાયા છે.
બ્રિટનના સૌથી મોટા કેર પ્રોવાઈડર્સના કેટલાક કેર હોમ્સમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુ થવાં છતાં રહેવાસીઓ અને સ્ટાફને કોરોના ટેસ્ટનો ઈનકાર કરાયો છે. કોને ચેપ લાગ્યો છે તેની જાણકારી વિના વૃદ્ધ નિવાસીઓને અલગ રાખવાનું પણ મુશ્કેલ બને છે. કેર વર્કર્સ પણ તેમને વાઈરસનો ચેપ લાગવા કે તેમના પરિવાર અથવા જેમની સંભાળ લેવાય છે તેમને ચેપ લાગી જવાના ભય હેઠળ જીવે છે. એક ગ્રૂપના વડા કહે છે કે જનરલ પ્રેક્ટિશનર્સે પણ કેર હોમ્સની મુલાકાત બંધ કરી દીધી છે.
સરકારે ગત સપ્તાહે પરીક્ષણ ક્ષમતા વધવા સાથે કેર હોમ્સ સેક્ટરને સઘન ટેસ્ટિંગ ઓફર કરવાની ગાઈડલાઈન્સ જાહેર કરી છે પરંતુ, મોટી કેર ચેઈન્સ કહે છે કે તેમને માત્ર શંકાસ્પદ કેસને આઈસોલેટ કરી દેવાની સલાહ અપાય છે પરંતુ, કોઈનો ટેસ્ટ લેવાતો નથી.
FSHCગ્રૂપ ૨૦૦થી વધુ કેર હોમ્સ ચલાવે છે. તેના ગ્લાસગોસ્થિત બર્લિંગ્ટન હાઉસમાં એક સપ્તાહમાં ૧૩ રહેવાસીના મોત થવાં છતાં કોઈ સ્થળે રેસિડેન્ટ્સ કે સ્ટાફનો ટેસ્ટ થયો નથી. તેના ૧૩,૦૦૦ના સ્ટાફના અડધો ભાગ તો આઈસોલેશનમાં છે અને બે વ્યક્તિ હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયા છે. ૨૨૨ સાઈટ્સ ચલાવતા MHAગ્રૂપના હોમ્સમાં કોવિૃ-૧૯થી નવના મોત થયાં છે. યુકેના સૌથી મોટા કેર હોમ ગ્રૂપ HC-Oneના જણાવ્યા અનુસાર તેના ૩૨૦ હોમ્સના કોઈ સ્ટાફનો ટેસ્ટ કરાયો નથી. આવી જ હાલત ૧૨૦ સાઈટ્સ ચલાવતા બુપા કેર હોમ્સની છે.