નાનકડા ધ્યાનનાં મુંડન સમારોહમાં પરિવાર અને ધર્મનો સંગમ રચાયો

‘આપણો સંસ્કાર વારસો’

જય પટેલ Wednesday 05th November 2025 06:25 EST
 
 

હિન્દુ પરંપરામાં મુંડન સંસ્કાર અથવા સંસ્કૃતમાં ચૌલકર્મ કે ચૂડાકરણ તરીકે ઓળખાતી વિધિ પ્રતીકાત્મક અને પવિત્ર વિધિ ગણાય છે જેમાં, બાળકનાં જન્મ સમયના વાળ સૌપ્રથમ વખત ઉતારવામાં આવે છે. સામાન્યપણે આ વિધિ એકથી ત્રણ વર્ષ  દરમિયાન કરવામાં આવે છે. ગુજરાતીમાં આ વિધિ ભડા નામથી પણ ઓળખાય છે. આ માત્ર સજાવટની વાત નથી, પરંતુ તે પ્રચંડ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે.

હિન્દુઓની માન્યતા અનુસાર બાળકના જન્મ સાથે જે વાળ હોય છે તેની સાથે પૂર્વ જીવનોનાં કર્મો અને ઊર્જાઓ જોડાયેલી હોય છે. જન્મના આ વાળ કઢાવી નાખવા સાથે બાળક પ્રતીકાત્મક રૂપે શુદ્ધ થઈ જાય છે અને આ નવા જીવનમાં પવિત્રતા, આશીર્વાદ અને નવા આરંભ સાથે જીવનયાત્રાની શરૂઆત કરી શકે છે. મુંડન સંસ્કારમાં સામાન્યપણે પ્રાર્થનાઓ, મંત્રોચ્ચાર અને પારિવારિક ઊજવણીઓ સંકળાયેલી હોય છે, જેના થકી તે આધ્યાત્મિક ઉદ્દેશ અને સાંસ્કૃતિક ગૌરવનો સમાવેશ કરતો આનંદપૂર્ણ પ્રસંગ બની રહે છે. ઈશ્વર દ્વારા બાળકનું પવિત્રીકરણ કરતી વિધિઓમાં આ એક છે. આ ઉપરાંત, નામકરણ સંસ્કાર જેવા અન્ય સંસ્કારોની વિધિ પણ કરવામાં આવે છે.

મારા કાકા મોહનભાઈ અને કાકી ઋષિકાબહેન પટેલના નાનકડા પુત્ર અને મારા પિતરાઈ ભાઈના મુંડનસંસ્કાર સટનના થોમસ વેલ સેન્ટર ખાતે યોજવામાં આવ્યા હતા. અવિસ્મરણીય બની રહેલી આ પારિવારિક ઊજવણી અને મુંડનવિધિમાં આશરે 350 સગાંસંબંધી અને મહેમાનોએ હાજરી આપી હતી. પરદેશી ભૂમિ પર આવા પ્રસંગો સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે. આપણે વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં, આપણે આપણા મૂલ્યો અને સમૃદ્ધ સંસ્કૃતિનું જતન અને વિકાસ કરવાનું ચાલુ જ રાખીએ છીએ. ભારતમાં ઘણા યુવાનો પાશ્ચાત્ય જીવનશૈલી તરફ સતત આકર્ષાતા હોવાનું વધી રહ્યું છે ત્યારે અમે અહીં રહીને પણ આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓને જીવનમાં  ઉતારવામાં ગૌરવ અનુભવીએ છીએ .

જય સ્વામિનારાયણ!

જય હિમાંશુ પટેલ (12 વર્ષ )

હંગરફોર્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter