લંડનઃ UNESCOની માનવતાની અગોચર સાંસ્કૃતિક વીરાસતની પ્રતિનિધિત્વરૂપ યાદીમાં દિવાળી (દીપાવલિ)ના આલેખન નિમિત્તે નિસડન ટેમ્પલના હુલામણા નામથી પ્રખ્યાત શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન દ્વારા 10 ડિસેમ્બર 2025ના રોજ સ્વામીઓ, ભક્તો, સ્થાનિક કોમ્યુનિટીના સભ્યો, યુકેસ્થિત ડેપ્યુટી ભારતીય હાઈ કમિશનર કાર્તિક પાંડે સહિત મહાનુભાવો આશા, સંવાદિતા અને અશુભ પર શુભના વિજયના સાર્વિત્રિક સંદેશા સાથે વિશ્વમાં કરોડો લોકોને જ્ઞાન આપતા ઉત્સવને સન્માનિત કરવા મંદિરના પરિસરમાં દીપપ્રાગટ્ય અર્થે એકત્ર થયા હતા.
UNESCOના ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ લિસ્ટમાં 16મા તત્વ તરીકે ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ પરંપરાઓને સમાવિષ્ટ કરાતા ભારત સરકારની રાહબરીમાં આ ઉત્સવની વ્યાપક ઊજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ભારતની યજમાનીમાં ઈન્ટરગવર્મેન્ટલ કમિટી ફોર સેફગાર્ડિંગ ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજના 20મા સત્રની સાથોસાથ આ ઘોષણા કરાઈ હતી. આ સત્રમાં યુનેસ્કોના અધિકારીઓ, સાંસ્કૃતિક નિષ્ણાતો અને સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રતિનિધિઓ સહિત 180થી વધુ દેશના 1,000થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
નિસડન મંદિરને લાઈટિંગથી પ્રકાશિત અને શણગારવા સાથે આ પ્રસંગની ઊજવણી કરાઈ હતી જેમાં ધર્મસભાના સભ્યો અને સ્થાનિક કોમ્યુનિટીને આવકારાયા હતા. મંદિરના સ્વામીઓ દ્વારા શાંતિ અને સામૂહિક કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ દિવાળીના સંદેશાની શાશ્વત સુસંગતતા અને સામુદાયિક સંવાદિતા અને આધ્યાત્મિક ઉત્થાનને વિકસાવવાના સાધનરૂપે સાંસ્કૃતિક ધરોહરની સુરક્ષા અને જતનને પ્રોત્સાહન આપતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન વિશે ચિંતન કરવામાં આવ્યું હતું.
ડેપ્યુટી ભારતીય હાઈ કમિશનર કાર્તિક પાંડેએ જણાવ્યું હતું કે,‘લંડનમાં આ સુંદર મંદિરમાં આ અદ્ભૂત પ્રસંગની ઊજવણી કરાય તે ભારે આનંદની વાત છે. દિવાળીનો તેજસ્વી પ્રકાશ લંડન અને તેથી પણ આગળ ફેલાતો રહે તેની ચોકસાઈ માટે સપોર્ટ અને યોગદાન બદલ હું કોમ્યુનિટીનો આભારી છું.’
મંદિરના ટ્રસ્ટી સંજયભાઈ કારાએ જણાવ્યું હતું કે,‘ UNESCOની માનવતાની અગોચર સાંસ્કૃતિક ધરોહરની પ્રતિનિધિત્વરૂપ યાદીમાં દિવાળી (દીપાવલિ)નું આલેખન ભારત અને તેના મૂલ્યોને ધારણ કરતી વિશ્વભરની કોમ્યુનિટીઓ માટે ઐતિહાસિક સિદ્ધિ છે. અમે લંડનમાં પાંચ દાયકા કરતાં વધુ સમયથી દિવાળીની ઊજવણી કરીએ છીએ અને આ વૈશ્વિક સ્વીકૃતિ ઉત્સવના પ્રચંડ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વને ઉજાગર કરે છે.’


