બ્રિટનમાં રહેતા અને પોતાની જાતને સભ્ય ગણાવતા કેટલાક ગુજરાતી યુવાનો ભારતથી પરણીને લવાયેલ પત્નીની મારઝુડ કરી માનસિક શારીરિક ત્રાસ આપી આર્થિક શોષણ કરતા હોવાના ગંભીર બનાવો બહાર આવ્યા છે. આશ્ચર્ય સાથે આઘાતની વાત એ છે કે ભોગ બનેલ યુવતીઅો બધીય તકલીફોને એમ માનીને સહન કરી રહી છે કે 'ચાલો કાલે સારા દિવસો આવશે અને પતિ તેમજ સાસરીયા સાથે સંબંધો સુધરી જશે.' તો કેટલીક યુવતીઅો એમ માને છે કે તેઅો ફરિયાદ કરશે તો તેમને દેશ છોડી દેવો પડશે અને માતા-પિતાની આબરૂ ધૂળધાણી જેવી થઇ જશે.
હેરો એન્ડ વિલ્ડસ્ટનના સેનક્રોફ્ટ રોડ ખાતે આવેલ 'સંગત સેન્ટર'ના શ્રી કાંતિભાઇ નાગડા સમક્ષ વિતેલા બે માસના ટૂંકા ગાળામાં એક બે નહિં પણ ચાર કરતા વધારે યુવતીઅોએ પોતાના પતિ અને સાસરીયા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ ઉપરાંત આર્થિક શોષણ થતું હોવાની ફરિયાદો કરી હતી. આ યુવતીઅો એ સંગત સેન્ટરની મદદ માંગી કાયદેસર કાર્યવાહી કરી રહી છે. ત્રાસનો ભોગ બનેલી યુવતીઅોના નામ અને સરનામા કાનૂની કાર્યવાહીને લક્ષમાં રાખીને છુપાવાયા છે. પરંતુ જે હકીકત રજૂ કરાઇ છે તે સંપૂર્ણપણ સત્ય છે.
* પ્રથમ બનાવમાં ભોગ બનનાર યુવતી વર્ષ ૨૦૦૯માં ભારતથી બ્રિટીશ પાસપોર્ટ ધરાવતા યુવક સાથે પરણીને આવી હતી. આ યુવતી તેના સાસુ-સસરા અને દિયર-દેરાણી સાથે રહે છે અને નોકરી કરે છે. આ યુવતીની કમનસીબી એ છે કે તે પરણીને આવી હોવા છતાં તેને પતિ તરફથી કોઇ જ સંસારીક સુખ મળતું નથી. હદ તો એ છે કે ભોગ બનનાર યુવતીએ પતિથી દુર રહી રોજ લીવીંગ રૂમમાં સુવાનું ફરજીયાત છે. આટલું જ નહિં આ યુવતીએ પરિવારના બધા લોકો ટીવી જોઇ રહે પછી જ તે લીવીંગ રૂમમાં સુવા જવાનું. આ યુવતી માટે સૌથી મોટી તકલીફ એ છે કે તેણે નોકરી કરવા જવાનું અને પછી કમાણીની તમામ રકમ પતિના હાથમાં આપી દેવાની.
* બીજા બનાવમાં ભારતથી જ ત્રણ વર્ષ પૂર્વે પરણીને આવેલી યુવતીનો પતિ દારૂ અને ડ્રગ્સનો ખૂબ જ નશો કરે છે અને દરરોજ પત્નીને ગાળો ભાંડે છે. આ યુવતીને તેના પતિએ કેટલીય વખત મારઝૂડ કરી છે અને તેને એ શરતે ઘરમાં રાખવામાં આવે છે કે તેણે કમાણીની અડધી રકમ પતિને આપી દેવાની. આ ઉપરાંત યુવતી સમક્ષ શરત મૂકાઇ છે કે તેણે યુકેમાં રહેતી પોતાની બેન અને ભારતમાં રહેતી માતા સાથે કોઇ જ જાતનો સંબંધ કે વાતચીત નહિં કરવાની.
* ત્રીજા બનાવમાં પતિ-પત્ની બન્ને ભારતથી આવ્યા છે અને બન્ને અહીં જ કામ કરે છે. આ કેસમાં પતિ તરફથી યુવતીને ખૂબજ ભયજનક રીતે મારઝુડ કરવામાં આવે છે અને એક વખત તો ઇજા એટલી ગંભીર હતી કે યુવતીને લોહી પણ નીકળી ગયું હતું. આ યુવતી નોકરી તો કરે છે પરંતુ તેણે પતિને પગારની તમામ રકમ સોંપી દેવાની. જ્યારે પતિ તરફથી તને જરૂર પડે તો મહિને માત્ર £૧૦ પોકેટ મની તરીકે આપવામાં આવે છે.
* ચોથા બનાવમાં ભોગ બનાર યુવતીને તેના પતિ તરફથી માનસિક ત્રાસ આપી ચાલચલગત વિષે મહેણાં ટોણાં મારવામાં આવે છે. કામ કરતી યુવતીએ અન્ય બનાવોની જેમ પતિને પગારની તમામ રકમ તો આપી જ દેવાની. પણ જો તે યુવતીને નોકરી પરથી ઘરે આવતા મોડું થાય તો તેનો પતિ 'તું તારા પ્રેમીને મળવા ઉભી રહી હતી? તું તો પ્રેમી સાથે ફોન પર વાત કરવા રહી હશે તેમાં તને મોડુ થયું' એમ કહી માનસિક ત્રાસ આપે છે.
ઉપર જણાવેલા ચારયે બનાવ સંપુર્ણપણે સત્ય છે અને દરેક યુવતીને તેમના બ્રિટીશ (?) પતિ તરફથી સતત માનસીક અને શારીરિક ત્રાસ આપી આર્થિક શોષણ કરવામાં આવે છે.
સંગત સેન્ટરના શ્રી કાંતિભાઇ નાગડાએ જણાવ્યું હતું કે 'મોટાભાગના કેસમાં યુવતીઅો દ્વારા એટલા માટે ફરિયાદ કરાતી નથી કેમ કે તેમને લાગે છે કે જો પોલીસ ફરિયાદ કરશે તો તેમને ઘર બહાર કાઢી મૂકવામાં આવશે અને તેમની પાસે ભારત પરત જવા સિવાય કોઇ જ રસ્તો નહિં બચે. આટલું જ નહિં આ દેશમાં તેઅો કોને ત્યાં જઇને રહેશે?'
કાંતિભાઇએ આવા તમામ પ્રશ્નોનો ઉત્તર આપતાં જણાવ્યું હતું કે 'શારીરિક અને માનસીક ત્રાસ ઉપરાંત આર્થિક શોષણનો ભોગ બનતી આવી યુવતીઅોએ ડરવાની જરા પણ જરૂર નથી અને જો તેઅો આવા અત્યાચારો સહન કરતી રહેશે તો તેમને હંમેશા માટે ત્રાસ સહન કરવો પડશે. જરુર છે હિંમત કરીને ન્યાય મેળવવાની અને પોતાનું રક્ષણ કરવાની.'
શ્રી નાગડાએ જણાવ્યું હતું કે 'મારઝુડના કેસમાં જો ફરિયાદ કરાય તો સૌ પ્રથમ તો પોલીસ પતિ કે મારનાર સાસરીયાની ધરપકડ કરે છે. જો ઇજા ગંભીર ન હોય તો તેમને જામીન મળી શકે છે. પરંતુ સાથે સાથે કેસ પૂરવાર થાય તો તેમને બે વર્ષ સુધીને જેલ પણ થઇ શકે છે. આટલું જ નહિં તેમનો ક્રિમીનલ રેકોર્ડ પણ બની શકે છે. જે તેમને અમૂક નોકરી મેળવતા અટકાવી શકે છે. જે યુવતીઅો પોતાને રાઇટ નહિં મળે તેમ માનીને ડરે છે તેમણે ડરવાની જરાય જરુર નથી. કેસ જો સાચો હોય તો હોમ અોફિસ પણ તેમને મદદ કરે છે અને અહિં રહેવાનો હક્ક આપે છે. જો યુવતી ભારતીય નાગરીક હોય તો ભારતીય હાઇ કમિશન પણ તેને મદદ કરે છે.
શ્રી નાગડાએ જણાવ્યું હતું કે આવા બનાવોમાં નીચે મુજબના પગલા લેવા જોઇએ.
૧. જો મારઝુડ કરવામાં આવે તો તુરંત જ પોલીસ બોલાવી મદદ મેળવવી જોઇએ અને તેમ શક્ય ન હોય ત્યારે જીપી પાસે જઇ સારવાર કરાવી તેમને જાણ કરવી જોઇએ. પોલીસ આવા કેસમાં પતિને ઘરમાં પ્રવેશતો અટકાવી શકે છે અથવા તો યુવતીથી દુર રહેવા હુકમ કરે છે.
૨. જો સહન ન કરી શકાય તેવી તકલીફ હોય તો કોર્ટમાં કેસ કરી શકાય છે અને છૂટાછેડા પણ લઇ શકાય છે.
૩. અસહ્ય ત્રાસ હોય તો તમે પતિથી અલગ બીજે પણ રહી શકો છે. જો તમે બાળકની માતા હો તો તેનો કબ્જો પણ પોલીસ માતાને અપાવી શકે છે.
* સૌથી મહત્વની વાત એ છે કે ઘણી મહિલાઅો આર્થિક તકલીફનો વિચાર કરતી હોય છે, પરંતુ આવી મહિલાઅોને તેઅો ખુમારીથી જીવી શકે તેટલા બેનીફીટ્સ સરકાર આપે છે. કદાચ રસ્તો અઘરો લાગે પણ રોજબરોજના ત્રાસ અને શોષણ સામે તે વધુ આસાન છે.
જે બહેનોને તેમના પતિ કે સાસરીયા તરફથી ત્રાસ અપાતો હોય અને તેમને ખાનગીમાં સલાહ કે મદદ જોઇતી હોય તો તેઅો શ્રી કાંતિભાઇ નાગડાનો ફોન નં. 020 8427 0659 ઉપર સંપર્ક કરી શકે છે. આપના નામ અને અન્ય તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે.