પદ્મશ્રી હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીની પ્રેરણાદાયી જીવનકથાની ઝલક

Wednesday 04th June 2025 07:16 EDT
 
 

પ્રસિદ્ધ ગુજરાતી કોમેડીઅન, લેખક, શિક્ષણકાર અને સામાજિક કર્મશીલ પદ્મશ્રી જગદીશ ત્રિવેદીની જીવનકથા ‘Extraordinary Story of an Ordinary Man’ નિશ્ચલ સંઘવી દ્વારા લખાઈ છે. જગદીશ ત્રિવેદી માત્ર વ્યંગ્ય કે રમૂજ માટે જ પ્રસિદ્ધ નથી. તેઓ સમાજસેવાની ઊંડી પ્રતિબદ્ધતા માટે પણ જાણીતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની ડિસેમ્બર 2023ની એડિશનમાં જગદીશભાઈના પ્રદાનની નોંધ લીધી હતી.

પુસ્તકનો આરંભ જગદીશભાઈનો જન્મ થયો હતો તે ગુજરાતના નગર ચોટીલાથી થાય છે. જીવનની શરૂઆતમાં જ નસીબે વળાંક લીધો હતો, જ્યારે તેમના પિતાના મોટાભાઈ પાસે તેમનો ઉછેર થયો હતો, જેણે તેમની કળાયાત્રા પર ઊંડો પ્રભાવ સર્જ્યો હતો. પુસ્તકમાં પોતાના અંગત પડકારોનો સામનો કરવા સાથે નિઃસ્વાર્થ કાર્યો થકી સમાજ પર અમીટ અસર ઉપજાવનારા માનવીનું પ્રેરણાદાયી કથાનક રજૂ કરાયું છે. દિલને જકડી રાખનારા 15 પ્રકરણોમાં વિસ્તરેલું કથાનક તેમના આરંભના દિવસોથી માંડી ગુજરાતી સાહિત્ય અને કોમેડીના ક્ષેત્રમાં લોકપ્રિય વ્યક્તિત્વને ઉજાગર કરે છે. તેઓ અસામાન્ય પ્રતિભાવંત વ્યક્તિ છે, જેમણે માત્ર કળા નહિ, એકેડેમિક્સમાં પણ PhDની ત્રણ ડીગ્રી અને 75 પુસ્તકોના લેખનની ઉત્કૃષ્ટતા દર્શાવી છે.

આ બાયોગ્રાફીમાં તેમના જીવન પર અમીટ છાપ ઉપસાવનારા તેમના સાહિત્યગુરુ નાના દેવશંકર, કળાગુરુ શાહબુદ્દીન રાઠોડ અને આધ્યાત્મિક માર્ગદર્શક મોરારી બાપુના પ્રભાવ હાઈલાઈટ કરાયા છે. જગદીશભાઈના મૂલ્યો અને વિશ્વદૃષ્ટિને આકાર આપવામાં આ દરેકની ભૂમિકા મહત્ત્વની રહી છે. એક પ્રકરણમાં શરાબના વ્યસન અને તેમાંથી બહાર આવવાના સંઘર્ષની કથા છે, જે ધીરજ અને રૂપાંતરનો બોધપાઠ આપે છે.

વિશેષ સ્મરણીય પળ પાકિસ્તાનની તેમની ઐતિહાસિક મુલાકાતની છે, જ્યાં તેઓ પરફોર્મ કરનારા પ્રથમ ગુજરાતી કોમેડીઅન બન્યા, તેમને વ્યાપકપણે બિરદાવાયા અને સાંસ્કૃતિક સેતુનિર્માણની વિરાસતને મજબૂત બનાવી હતી. સાદી અને સરળ ભાષામાં લખાયેલું પુસ્તક તમામ વયના લોકો માટે યોગ્ય છે. તેમાં તસવીરો અને વર્તમાનપત્રોની ક્લિપિંગ્સ છે જે જગદીશભાઈની કથાને વધુ જીવંત બનાવે છે. પ્રત્યેક પ્રકરણનો અંત બીજા પ્રકરણમાં લઈ જવામાં સુવાહી છે, જેનાથી વાચકને રસક્ષતિ થતી નથી.

‘ Extraordinary Story of an Ordinary Man (સામાન્ય માનવીની અસામાન્ય કથા)’ મૂળભૂત રીતે તો ધીરજ, પ્રતિભા અને માનવીય ભાવનાની શક્તિની વાત છે. તે યાદ અપાવે છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ વ્યક્તિ લક્ષ્ય, સર્જનાત્મકતા અને સેવાના ઊંડા મૂળ સાથે અસાધારણ જીવન જીવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter