પીડાદાયક પળોમાં પરમતત્વની પ્રખર અનુભૂતિ

અનુભવની ઉજાણી

- જ્યોત્સના શાહ Tuesday 20th January 2015 13:38 EST
 

શુક્રવાર તા. ૯-૧-૨૦૧૫ના રોજ સેવાભાવી દેવીબેન પારેખના એજવેર ખાતેના નિવાસ સ્થાને મેકમિલન કેન્સર રીસર્ચ ફંડના લાભાર્થે લેડીઝ લંચનું અાયોજન કરવામાં અાવ્યું હતું. સમાજની વીસેક અામંત્રિત પ્રતિષ્ઠિત મહિલાઅોનું હાર્દિક સ્વાગત કરતાં દેવીબેને જણાવ્યું કે, “ મારી સહેલી અાસ્મા અાજે અાપણને એનો સ્વાનુભવ રજુ કરશે જે અાપણા માટે અાશીર્વાદરૂપ નીવડશે.

ત્યારબાદ અાસ્માબેન સૂતરવાલા (જાણીતી TRS કંપનીના ડિરેક્ટરના પત્ની)એ પોતે ચોરીનો ભોગ બન્યાં હતાં એની રૂંવાડા ખડા કરી દે એવી કથની વર્ણવી.

અા કરૂણ કથની એમનાં મુખેથી સાંભળીએ…."અાજથી ત્રણેક વર્ષ અગાઉ ફેબ્રુઅારી મહિનાની સવારે મારા પતિએ અોફિસે જતા પહેલા મને કહ્યું કે, અાસ્મા અડધોએક કલાકમાં અાપણા મીકેનીક ગાડી રીપેરીંગ કરવા લેવા અાવશે. એટલે ત્યાં સુધી ક્યાંય જતી નહિ! એ ગયા અને થોડીવારમાં જ ડોરબેલ વાગ્યો અને હું ડોર ખોલવા ગઇ ત્યાં જ બે બુકાનીધારીએ મને ધક્કો માર્યો અને ઘરમાં ઘુસી ગયા. ખિસ્સામાંથી બંદૂક કાઢી મારી સામે ધરી અને કહ્યું કે, તારા દાગીના અને નાણાં ક્યાં છે, અમને બતાવ!

હું તો કાપે તો ય લોહી ના નીકળે એવી ડઘાઇ ગઇ. હિંમત કરી કહ્યું કે, ઉપર છે. મારા બેડરૂમમાં ગયા ત્યાં મેં મારું ડ્રેસિંગ ટેબલ બતાવી કહ્યું અહિં છે. મને મારા બેડ પર બેસવા અને સહેજે અાઘાપાછા ન થવાનો હુકમ ફરમાવ્યો. હું તો મનોમન ગભરાઇ કે, મને રેપ તો નહિ કરે ને! એ વેળાએ અચાનક મને એક ખૂણામાં ઉભેલા માતાજીએ જાણે કે શક્તિ અાપી અને રડમસ અાવાજે મેં હિંમત કરી ચોરોને કહ્યું, તમને જે જોઇએ તે લઇ જાવ પણ મને કોઇ હાનિ ન પહોંચાડશો. એ વેળા મારી અાંખોમાંથી અાંસુની ધારા વહી રહી હતી અને જાણે કે બુકાનીધારીના હૈયામાં અલ્લાહ / માતાજીની પ્રેરણાથી માનવતાની ચિનગારી થઇ અને મને કહ્યું કે, ચિંતા ના કરીશ, અમે તને કાંઇ જ નહિ કરીએ! એમ કહી મારા માથે હાથ ફેરવ્યો અને મારા અાંસુ લૂછતાં કહ્યું, તું એક સારી મહિલા છે. મહેરબાની કરી શાંત થા! તેઅોએ કહ્યું,અમારો ભાઇ બહુ બિમાર છે અને અમને પૈસાની જરૂર છે એટલે અમે અા પગલુ ભર્યું! મેં કહ્યું, ભાઇ હું પણ ચેરિટીમાં માનું છું. તમે મને પહેલા કહ્યું હોત તો સીધી જ તમને મદદ કરત.

દરમિયાનમાં ચોરીની અાઇટમો ભરવા મારી પાસે બેગ માગી. મેં કહ્યું મારી પાસે બેગ નથી અને તેમણે સાચું માન્યું. એમણે મારા ખાનામાંથી મળેલ બેગમાં સામાન ભરી દીધો. ત્યાં તો ડોરબેલ વાગી. પેલા મીકેનીક ભાઇ હતા પણ ચોરો મને આાઘીપાછી થવા દે નહીં! દરમિયાનમાં મારા પતિનો ફોન અાવ્યો પણ હાલવાની મનાઇને કારણે હું ફોન એટેન્ડ કરી શકી નહિ. મેં ફોન ન ઉપાડ્યો એટલે મારા પતિએ મીકેનીકને વિનંતિ કરી કે, થોડીવાર ઉભા રહો, કદાચ મારી પત્ની બાથમાં હશે, હમણાં બારણું ખોલશે.

મેં ચોરોને વિનંતિ કરી કે મને ગાડિની ચાવી અાપવા જવા દો. પણ ચોરોએ કહ્યું, ના તું બૂમાબૂમ કરી અમને પકડાવી દઉ તો!. મેં વચન અાપ્યું કે, હું એમ નહિ કરું, તમે અારામથી નીકળી જાવ અને મિકેનીકને કહેતા જાવ કે હું બારણું ખોલવા અાવું છું. પહેલા તો અાનાકાની કરી પછી એમનામાં અલ્લાહ વસ્યા હોય તેમ મારી વાત માની અને ભાગી છૂટ્યા. હું ય છૂટી અને તેઅો છૂટ્યા!

હું નીચે ગઇ અને ગભરાતા-ગભરાતા મીકેનીકભાઇને અંદર અાવવા વિનવણી કરી. પેલે ભાઇ પણ ગભરાયા કે હમણા પેલા બે ગયા અને મને કેમ અંદર બોલાવે છે? પછી મેં એ ચોરો હતા એમ જણાવ્યું. એ મીકેનીકે મારા પતિને ફોન કરી ચોરીની ઘટના વિષે જણાવ્યું. મારા પતિએ કહ્યું હું મીટીંગમાં વ્યસ્ત છું. બાજુમાંથી ભાભી (શકીના)ને કહું છું એ એની મદદે અાવશે. હું તો ખુબ જ ગભરાયેલી હતી. સાંજે મારા પતિ અાવ્યા ત્યારે અને ત્યારપછી કેટલાય દિવસો સુધી ઘરમાં એકલા રહેતા ગભરાતી અને એમની પાછળ ઉપર-નીચે અાવ-જા કરતી. એ બનાવ યાદ કરતા અાજે ય મારા રોંગટા ખડા થઇ જાય છે.

ભય અને ભગવાન વચ્ચેની એ લીલાનો ભેદ સમજવો મુશ્કેલ છે. ઇશ્વર, અલ્લાહ, માતાજી, રામ, કૃષ્ણ….બધા નામરૂપ અલગ છે, ભક્તિની શક્તિ અનન્ય છે. અાપણો જન્મ જે કુટુંબમાં થયો હોય એના જે ઇષ્ટદેવ હોય એની પૂજા, ભક્તિ અાપણે કરીએ એ સ્વાભાવિક છે. “મજહબ નહિં શીખાતા અાપસમેં બૈર રખના…..”

તમને મારી અા કસોટીભરી કથા કહેવાનો મતલબ છે કે, બારણે બેલ વાગે તો ખાત્રી કર્યા વિના કદી બારણું ખોલવું નહિ. ભલે પોલીસ કેમ ના હોય! પોલીસનો કોનસ્ટેબલ નંબર લઇ ૧૦૧ નંબર ડાયલ કરી પોલીસખાતામાંથી માહિતી મેળવ્યા બાદ જ બારણું ખોલવું. નાગરિક તરીકે એ તમારો હક્ક છે કે બારણે અાવેલ પોલીસ પણ તમારી તપાસ માટે સમય માગે તો ખાત્રી કર્યા વિના પ્રવેશ ન અાપવો. અજાણ્યાનો કદી વિશ્વાસ ન કરવો.

ચોરી-લૂંટનો ભોગ ન બનાય એ માટે ચેતતા રહેવાની જરૂર છે. અાવું થાય ત્યારે તમે ભયભીત અને મૂંઝાયેલા હો તો પોલીસનો સીધો સંપર્ક ૧૦૧ નંબર ડાયલ કરી તમારો અનુભવ શેર કરો. બીજુ કે તમારા સ્થાનિક પોલીસ સ્ટેશને જઇ એલાર્મ કી ચેન માગો જે તમારા પર્સમાં રાખવાથી એની દોર ખેંચવાથી મોટો અવાજ થશે જેથી અાસપાસના લોકોને તમે તકલીફમાં હોવાનો અંદેશો અાવશે અને તમને મદદ મળી રહે.

બીજી એક વાત કહું તો હંમેશા દરેક ધર્મને માન અાપવું. અમે તો મુંબઇમાં ઉછર્યા છીએ અને અમારી અાસપાસ હિન્દુ, જૈન, પારસી, ખ્રિસ્તી, બધા જ ધર્મના લોકો રહેતા એટલે અમે એકબીજાના ધર્મ વિષે જાણતા અને માન અાપતા.

એ વિષયક મારો એક અનુભવ કહું તો અાપને ધાર્મિક એકતાનો અહેસાસ થશે. સામાન્ય જનતા વચ્ચે ભાઇચારો હોય છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો એમાં વેર-ઝેર ભરી શાંતિ જોખમમાં મૂકે છે.

સાચું કહું તો મને વારંવાર ઉંઘમાં અંબા માતા સ્વપ્નમાં અાવતા. મેં મારી દિકરીને અા વાત કહી અને પૂછ્યું કે, તું મારી સાથે મંદિર દર્શન કરવા અાવીશ? એણે હા કહી અને અમે સાઉથોલના રામ મંદિરમાં ગયા જ્યાં માતાજી સહિત હિન્દુ ભગવાનની મૂર્તિઅો હતી. અમે પગે લાગ્યા અને ત્યાં થોડી વાર બેઠાં. મારી દિકરી કહે મમ્મી શું પ્રાર્થના કરવાની? મેં કહ્યું અાપણા કુરાનની અાયામ બોલવાની! અમે પ્રાર્થના કરતા હતા ત્યાં એક માજી અાવ્યા અને અમને પ્રસાદની બેગ ધરી. અમે પ્રસાદ લીધો અને બેગ પરત કરી. માજી માતાજીની મૂર્તિ પાસે ઉભા અને અમારી સામે હાસ્ય કરી અલોપ થઇ ગયા! હજી મને એ રહસ્ય સમજાતું નથી પણ અા શ્રધ્ધાનો વિષય છે!

અાવું જ મારી સખી દેવીને થયું.

એક પરોઢે દેવીને સ્વપ્નમાં કાબાના દર્શન થયાં અને ખબર પણ ન હતી કે કાબાની પ્રદક્ષિણા કેટલી વખત કરવી પણ અજાણે સાત વાર કરી જે યથાયોગ્ય હતી. અા શું સૂચવે છે? ઇશ્વર, અલ્લાહ એક જ છે.

મારૂં બધાને એમ જ કહેવું છે કે, પરમતત્વ એક જ છે. તમે સાચા હ્દયથી પ્રાર્થના કરો તો તે પરમાત્માને પહોંચે છે. સ્વરૂપ ગમે તે હોય! અાત્માની નિર્મળતા હોય તો કોઇપણ સ્વરૂપે ઇશ્વર અાપણું રક્ષણ કરે છે એ મારો સ્વાનુભવ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter