BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ મહેમદાવાદ નજીક નેનપુર ખાતે બિરાજમાન છે અને સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ અને સત્સંગમય રહે છે. પૂ.મહંત સ્વામી મહારાજે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં અક્ષરપુરુષોત્તમ સંહિતા અંતર્ગત ‘સત્સંગદીક્ષા’ પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત આજ્ઞા-ઉપાસનાના સિદ્ધાંતોને નિરુપતું શાસ્ત્ર – પુસ્તક લખ્યું છે. પૂ. મહંતસ્વામીએ ઓનલાઇન પારાયણમાં હરિભક્તોને તેનો લાભ આપ્યો હતો. દરરોજ સવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા દેશ-વિદેશમાં રહેતા હજારો લોકો લઈ રહ્યા છે. સાથે જ પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહ્યા રહ્યા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે. દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ હરિભક્તો પ્રાપ્ત કરી રહ્યા છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.