પેરિસ,લંડનઃ પેરિસના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ પવિત્ર કળશ અને ધ્વજા-દંડ પૂજનનું આયોજન કરાયું હતું, જેમાં યુકે અને ફ્રાન્સના સ્વામીઓ, ટ્રસ્ટીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં સત્તાવાર ઉદ્ઘાટન અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ આ વિધિમાં વેદિક મંત્રો અને પ્રાર્થનાઓની સાથે મંદિરનાં દરેક શિખર પર કળશ અને ધ્વજાદંડની સ્થાપના કરવામાં આવી હતી.
અગાઉ, પૂજ્ય મહંત સ્વામી મહારાજે 15 માર્ચ 2026ના રોજ મંદિરના ઉદ્ઘાટન તરફની યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નની પૂર્ણતા અને દિવ્ય ઉપસ્થિતિના પ્રતીક સ્વરૂપે કળશો અને ધ્વજાદંડોને પવિત્રતા બક્ષી હતી. BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર, પેરિસનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ બુધવાર 2 સપ્ટેમ્બર થી સોમવાર 14 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનાર છે, જેની સાથે ફેસ્ટિવલ ઓફ કલ્ચર-સાંસ્કૃતિક મહોત્સવ પણ યોજાશે. ઉજવણીઓના સમાપને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થશે જેની સાથે મંદિરને સત્તાવારપણે ખુલ્લું મૂકાશે અને યુરોપ અને સમગ્ર વિશ્વના ભાવિકોને આવકારવામાં આવશે.


