લંડનઃ બ્રિટિશ ઈતિહાસમાં સૌથી મોટા પોસ્ટ ઓફિસ કૌભાંડમાં હોરાઈઝન કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા હિસાબી ભૂલોથી થયેલા નુકસાન બદલ ૪૦૦ જેટલા સબ-પોસ્ટમાસ્ટર્સને વળતર ચૂકવાયું હોવાની જાહેરાત પોસ્ટ ઓફિસે કરી છે. બે દાયકામાં વિસ્તરેલા આ કૌભાંડમાં વાંક વિનાના ૭૩૬ સબ-પોસ્ટમાસ્ટર્સ સામે ગુનો દાખલ કરાયો હતો અને ઘણાને જેલ પણ થઈ હતી. હાઈ કોર્ટે કુલ ૪૭ વ્યક્તિ વિરુદ્ધ ક્રિમિનલ સજા રદ કરી હતી અને હજુ ઘણાની સજા રદ થઈ શકે છે.
બીબીસીના જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસની હિસ્ટોરિક સેટલમેન્ટ સ્કીમ હેઠળ લગભગ ૪૦૦ વળતર ચૂકવણી કરી દેવાઈ છે. બીજી તરફ, સ્વતંત્ર પેનલ દ્વારા મૂલ્યાંકન થકી વાજબી રીતે દાવાઓની પતાવટ માટે પ્રતિબદ્ધ હોવાનું કહી પોસ્ટ ઓફિસે જણાવ્યું છે કે અન્ય ૨૦૦૦થી વધુ ક્લેઈમ્સ આગળ વધી રહ્યા છે અને લોકોને તેમના કેસીસમાં પ્રગતિ વિશે જાણ કરાય છે. મોટી કરુણતા એ છે કે જેમની સામે આરોપો લગાવાયા નથી કે સજા થઈ નથી પરંતુ, નાણાકીય અને લાગણીકીય નુકસાનમાંથી પસાર થવું પડ્યું છે.
આવો જ એક કિસ્સો અંજના અને બલજિત સેઠીનો છે જેઓ, એસેક્સના રોમફોર્ડ નજીક પોસ્ટ ઓફિસની બે શાખા ચલાવતા હતા. અંજનાના પિતા પણ સબ-પોસ્ટમાસ્ટર હતા. પરંતુ, ૨૦ વર્ષ અગાઉ તેમનો સફળ બિઝનેસ નાણાકીય સંકટમાં ફેરવાઈ ગયો હતો. ૨૦૦૧માં બિઝનેસ સારો ચાલતો હતો અને હેડ ઓફિસે તેમને બીજી શાખા ખરીદવા પ્રોત્સાહન આપ્યું. નાણાકીય મુશ્કેલી છતાં, તેમણે જોખમ ઉઠાવવા નિર્ણય લીધો હતો. શોપ ખરીદવા અને સજાવટ માટે દંપતીએ ૧૨૦,૦૦૦ પાઉન્ડની લોન લીધી. જોકે, થોડા સમયમાં જ નવી મુશ્કેલી સર્જાઈ કારણકે સેન્ટ્રલ કોમ્પ્યુટર એકાઉન્ટિંગ સિસ્ટમે નવી બ્રાન્ચમાં ખોટ દેખાડવાનું શરુ કર્યું. આ કમાલ પોસ્ટ ઓફિસ દ્વારા ૨૦૦૧માં મૂકાયેલી ખામીપૂર્ણ હોરાઈઝન કોમ્પ્યુટર સિસ્ટમની હતી. વારંવારની હિસાબી ભૂલોથી ખોટ દર્શાવાતી હતી. આ ખોટના ૧૭,૦૦૦ પાઉન્ડ તેમને ખિસ્સામાંથી ભરવા જણાવાયું હતું. સેઠી પરિવાર માટે નાણા ચૂકવવા મુશ્કેલ હતા, તેઓ શંકા હેઠળ હતા અને પોસ્ટ ઓફિસે તે સ્ટોર બંધ કરવા નિર્ણય લીધો. અન્ય હજારો સબ-પોસ્ટમાસ્ટર્સની માફક સેઠી વિરુદ્ધ ચાર્જ ન લગાવાયા પરંતુ, તેમણે નાણાકીય અને ભાવનાત્મક દુર્દશા અનુભવવી પડી હતી. હાઈ કોર્ટે ૨૦૧૯ના ચુકાદામાં હોરાઈઝન સિસ્ટમને નકામી ગણાવી હતી. હાઈ કોર્ટ દ્વારા સબ-પોસ્ટમાસ્ટર્સની સામે કરાયેલા ચોરી અને ફ્રોડના આરોપો ફગાવી દેવાયા છે. પરંતુ, તે સમયે સેઠીને તો તેમની જ સમસ્યા હોવાનું જણાવાયું હતું. તેમની કોઈ જ ભૂલ ન હતી અને સંજોગો તેમના કાબુ બહાર હતા છતાં, સેઠી દંપતીએ તેમનો બિઝનેસ, નોકરીઓ ગુમાવી અને નાદારી નોંધાવવી પડી. તેમને ઘર પણ ગુમાવવું પડે તેવી હાલત થઈ હતી. અંજનાએ કહ્યું હતું કે એક સમયે બલજિતે આત્મહત્યાનો વિચાર પણ કર્યો હતો. ખાવાનું પણ નસીબ ન થાય તેવા દિવસો હતા. ટેલિવિઝનમાં કોમેડી શો ચાલતા હોય અને લોકો હસે તો અંજનાને વિચાર આવતો કે આ લોકો કેમ હસે છે. અંજના હસવાનું પણ ભૂલી ગયાં હતાં. તેમના બે ટીનેજર સંતાનોએ માતાપિતાની અસહાય હાલત નિહાળી હતી.
જે સબ-પોસ્ટમાસ્ટર્સે નાણા ગુમાવ્યા છે તેમને ઝડપથી વળતર ચૂકવવાનું વચન અપાયું છે પરંતુ, સેઠી દંપતી હજુ રાહ જોઈ રહ્યા છે. બલજિતને તેના જીવતા જ વળતર મળે તેવી ઈચ્છા છે જેથી પોતાના ગ્રાન્ડચિલ્ડ્રનને વારસામાં કશું આપી શકે.