પ્લાનિંગ પરમિશન વિના મકાનનાં બે માળ વધારી શકાશે

Wednesday 02nd October 2019 03:22 EDT
 
 

લંડનઃ સુધારેલા નિયમ મુજબ હવેથી પરિવારો પ્લાનિંગ પરમિશન વિના તેમના મકાનના બે માળ વધારી શકશે. હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિકે ‘જૂના થઈ ગયેલા અને અમલદારશાહી સંબંધિત’ નિયમોને દૂર કરતા સુધારાના પગલાં જાહેર કર્યા હતા. ડિટેચ્ડ પ્રોપર્ટીના માલિકોને અસર કરતી આ દરખાસ્ત ૧૮ મહિના અગાઉ જેનરિકના પૂરોગામી સાજિદ જાવિદે રજૂ કરી હતી.

તેનો મૂળ ઉદ્દેશ સૈદ્ધાંતિક રીતે ટાઉનસેન્ટર્સને અનુલક્ષીને હતો અને તેમાં ઓછાવત્તા અંશે પ્લાનિંગ પરમિશનની જરૂર રહેવાની હતી. પરંતુ, નવા પ્લાન હેઠળ પરિવારો તેમના પરમિટેડ ડેવલપમેન્ટ રાઈટ્સનો ઉપયોગ કરીને મકાનના વધુ બે માળ બાંધી શકશે.

પ્રથમ આ રાઈટ ફ્લેટ્સના પર્પઝ બિલ્ટ બ્લોક માટે લાગૂ કરાશે અને તબક્કાવાર ડિટેચ્ડ પ્રોપર્ટી માટે અમલી બનાવાશે. મકાનમાલિકોએ બાંધકામના નીતિનિયમોનું પાલન હજુ પણ કરવું પડશે. પરંતુ, હવે પડોશીઓને માટે તેમાં સત્તાવાર વાંધો ઉઠાવવાનો કોઈ ઉપાય રહેશે નહિ. આ પગલાંને લીધે મકાનોનો દેખાવ બગડી જશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ હતી. પરંતુ, મિનિસ્ટરોને આશા છે કે હવે પરિવારો અન્યત્ર સ્થળાંતર કર્યા વિના પોતાના મકાનનું વિસ્તરણ કરી શકશે. આ પગલાંથી હાલના બિલ્ડિંગોમાં નવા મકાનો બનાવવા માટે ડેવલપર્સને પ્રોત્સાહન મળશે.

જેનરિકે જણાવ્યું હતું કે પ્લાનિંગ પ્રક્રિયામાં કરાયેલા ફેરફારોના દેશભરના લોકોને સારા પરિણામ મળશે.

મોટા ડેવલપરોને વધુ ફીના બદલામાં ફાસ્ટ ટ્રેક પ્લાનિંગ સેવા પૂરી પાડવાનો વિકલ્પ પણ અપાશે. આ પેકેજ મકાન બાંધકામને વધારવા માટેના પગલાંઓના ભાગ રૂપે ગણાય છે અને તે આગામી ચૂંટણીમાં મુખ્ય મુદ્દો રહે તેવું છે. જોકે, મિનિસ્ટરોએ રેલવે સ્ટેશનોની નજીકના ગ્રીન બેલ્ટ વિસ્તારોમાં નવા હાઉસિંગની યોજના પડતી મૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter