લંડનઃ યુકેના ખૂબ હઠીલા ૭૦ વર્ષીય બર્ની કેરોલ છેલ્લાં ૪૨ વર્ષથી સ્થાનિક અખબાર ‘લીવરપૂલ ઈકો’ને દરરોજ રોષ વ્યક્ત કરતા પત્રો લખે છે. ૧૯૭૮થી તેઓ દરરોજ કોઈને કોઈ વિષય પર રોષ ઠાલવતો પત્ર આ અખબારને મોકલે છે. સૌ પ્રથમ તેમણે કાઉન્સિલની હાંસી ઉડાવતો પત્ર લખ્યો હતો. જોકે, તે પત્ર કઈ બાબતે હતો તે તેમને યાદ નથી. તેમણે વર્ષો દરમિયાન ચાર મિલિયન જેટલાં શબ્દો સાથે ૧૫,૦૦૦ કરતાં વધુ પત્રો અખબારને મોકલ્યા હતા.
જર્મન અને રશિયન બન્ને ભાષા બોલવામાં કુશળ બર્નીના લગ્ન ૨૦ વર્ષ અગાઉ થયા હતા. જોકે, આ દંપતીને કોઈ સંતાન નથી. તેઓ માને છે કે તે કારણસર જ તેમને પત્ર લખવા માટે આટલો સમય મળે છે. તેમણે ઉમેર્યું,‘ પહેલા તો હું હાથે પત્ર લખતો હતો. પરંતુ, દર અઠવાડિયે પોસ્ટેજ પર ૨૦ પાઉન્ડ ખર્ચ્યા પછી હું પત્ર તૈયાર કરું છું અને ઈમેલ દ્વારા અખબારને મોકલું છું.
મોટે ભાગે તેમના પત્રો ટીકા કરતા હોવાં ઉપરાંત, રમૂજભર્યા પણ હોય છે. અગાઉ મ્યુઝિશિયન તરીકે કાર્યરત બર્ની કેરોલ દરરોજ સવારે લીવરપૂલ ઈકો વાંચે છે અને તેમાંથી પત્ર લખવા માટે વિષય શોધે છે. તે વિષય પર એક કલાક સંશોધન કર્યા પછી તેઓ પોતાના વિચારોને કાગળ પર ઉાતારે છે. પત્રમાં તેઓ ગ્રામર પર ખાસ ધ્યાન આપે છે અને દરેક પત્ર ૨૫૦ શબ્દોનો બને તેવી કાપકૂપ કરે છે. કેરોલે જણાવ્યું હતું, ‘હું યુકેનો સૌથી વધુ અભિપ્રાય વ્યક્ત કરતો પુરુષ છું. મેં મારું મંતવ્ય લખ્યું ન હોય એવો કોઈ વિષય નથી. લીવરપૂલમાં રહેતા કેરોલ શરૂઆતમાં તો આ પત્રો દ્વારા ‘૭૦ અને ‘૮૦ના દસકાની સ્થાનિક ‘ઉગ્રવાદી કાઉન્સિલ’ વિશે રોષ વ્યક્ત કરતા હતા. તેમણે ઉમેર્યું, ‘૮૦ના દસકામાં ત્યાં નર્યું ગાંડપણ હતું. મને સતત ગુસ્સો આવતો અને મેં પત્ર લખવાનું શરૂ ન કર્યું ત્યાં સુધી મારો રોષ શમતો ન હતો.’ તેમણે ઉમેર્યું, ‘હું જાણું છું કે મારા પત્રોથી કોઈ વાસ્તવિક ફેરફાર નહીં થાય અથવા કોઈ સમસ્યાનો ઉકેલ નહીં આવે. પરંતુ, તે મારા માટે ઉભરો ઠાલવવાનો અનુભવ છે. પત્ર લખીને હું મારા ગુસ્સાને વ્યક્ત કરી શકું છું.’
આટલા વર્ષોમાં કોઈ પણ વિષય એવો નથી જેના પર તેમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો ન હોય. તાજેતરમાં લખેલા પત્રોમાં તેમણે પોતાના વિસ્તારમાં સતત ચાલતા ફાયરવર્કસ વિશે અને લોકો દ્વારા પાર્ક્સની રેલિંગ પર ડોગના મળમૂત્ર ભરેલી બેગ મૂકવા બાબતે હતાશા અને રોષ વ્યક્ત કર્યો હતો.