અમદાવાદઃ શહેરના નવાપુરા સ્થિત બહુચર માતાજીના મંદિરમાં માગશર સુદ બીજ એટલે કે 22 નવેમ્બરે રસ-રોટલીની નાત યોજાઇ હતી. આ દિવસે માતાજીની મૂર્તિ ગર્ભગૃહમાંથી બહાર કાઢી જમીન પર મૂકવામાં આવી હતી. દર વર્ષે આ રીતે મૂર્તિને જમીન પર બિરાજમાન કરાય છે. શહેરનાં તમામ મંદિરમાં બેસતાં વર્ષે, દેવદિવાળીના દિવસે અન્નફૂટ અર્પણ કરાય છે પરંતુ નવાપુરાના બહુચરાજી મંદિરમાં માગશર સુદ બીજે અન્નકૂટ ધરાવાય છે. મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અને રસ-રોટલીની નાતની પ્રસાદી લેવા ઊમટી પડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સંવત 1732માં માગશર સુદ બીજે બહુચર માતાના ભક્ત વલ્લભ ભટ્ટને નાત જમાડવાની હતી. આથી જ્ઞાતિજનોએ રસ-રોટલીની માગ કરી હતી પરંતુ માગશરમાં કેરી ક્યાંથી લાવવી તે વિચારીને તેઓ ચિંતામાં મુકાયા, પરંતુ માતાજીએ સાક્ષાત્ રસ-રોટલીનું જમણ કરાવીને વલ્લભ ભટ્ટની લાજ રાખી. ત્યારથી જ દર માગશર સુદ બીજે રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

