લંડનઃ પશ્ચિમના દેશોમાં છેલ્લાં થોડા વર્ષ દરમિયાન રાજ યોગનો એક સરળ પ્રકાર હાર્ટફૂલનેસ મેડિટેશન તરીકે જાણીતો બન્યો છે. ‘હાર્ટફૂલનેસ વે’ પુસ્તકમાં તે ધ્યાનના સિદ્ધાંતો અને પદ્ધતિનું વિગતવાર વર્ણન કરાયું છે. આ પુસ્તક ‘દાજી’ તરીકે ખ્યાતિ મેળવનારા કમલેશભાઈ ડી પટેલ અને અમેરિકામાં ધ્યાનની ટ્રેનિંગ આપનારા જોશુઆ પોલોક વચ્ચેના પ્રેરણાદાયી સંવાદોનો સમાવેશ થાય છે.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં આ પુસ્તકનું વિમોચન કર્યું હતું અને ટૂંક સમયમાં જ તે એમેઝોન પર નંબર વન બેસ્ટ સેલર બની ગયું હતું. તે દરમિયાન પોલોક પણ ચાર મહિના સુધી ભારતની મુલાકાતે હતા.
હાર્ટફૂલનેસ વેની યુકે આવૃત્તિના લેખક જોશુઆ પોલોક યુકેના ૧૬ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર વાય.કે. સિંહાના હસ્તે તા. ૬ ઓગસ્ટે આ આવૃત્તિનું વિમોચન લંડનમાં નહેરુ સેન્ટર ખાતે કરવામાં આવશે.
જોશુઆ ૭મી ઓગસ્ટે હેરો આર્ટ્સ સેન્ટર અને ૮મી ઓગસ્ટે લંડનના એસેમ્બલી મેમ્બર નવિન શાહે ‘હાર્ટફૂલનેસ વે’ના યુકે વિમોચનની ઉજવણી નિમિત્તે સિટી હોલમાં યોજેલા કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારબાદ જોશુઆ ઓક્સફર્ડ નજીક એબિંગ્ડન જશે. તેઓ મિલ્ટન કેઈન્સ ઉપરાંત સ્કોટલેન્ડ અને આયર્લેન્ડની પણ મુલાકાતે જશે. ૧૯ ઓગસ્ટે તેઓ સ્ટ્રેટફર્ડમાં હાર્ટફૂલનેસ સેન્ટરની અને ૨૧મી ઓગસ્ટે ક્રોયડનમાં બ્રેઈથવેઈટ હોલમાં હાજરી આપશે.


