લંડનઃ કોરોના વાઈરસના ચેપમાંથી સાજા થયેલા ૫૫ વર્ષીય વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ૨૭ એપ્રિલથી ફરી કામે વળગી ગયા છે અને લોકડાઉન તબક્કાવાર હળવું કરવાની પ્રક્રિયાનો આરંભ થયો છે. બ્રિટનમાં સાત મે સુધી લોકડાઉન લંબાવાયેલું છે પરંતુ તેના પૂર્ણ થવા અગાઉ જ કેટલાક પગલાંની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાનની બ્લુ પ્રિન્ટ અનુસાર જો પોલીસ તરફથી લીલી ઝંડી મળશે તો કાઉન્સિલ રીસાયકલિંગ સેન્ટર્સને આ વીકએન્ડથી ખોલવાની પરવાનગી અપાશે. વધુ પ્રમાણમાં વર્કફોર્સને કામે ચડવા દેવાના હોવાથી મિનિસ્ટર્સ બ્રિટનની રેલવેઝને દોડાવવાની યોજના ઘડી રહ્યા છે. શોપર્સ અને પ્રવાસીઓને ઘરમાં જ બનાવેલા માસ્ક પહેરવાની સૂચના અપાશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ફ્લોર માર્કિંગ કરાશે. પરિવાર અને મિત્રોને થોડી સંખ્યામાં મળી શકાય તે રીતે બ્રિટિશરોને સામાજિક સંપર્ક રાખવા માટે ૧૦ વ્યક્તિની પસંદગી કરવા જણાવાય એવી પણ અટકળો છે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૨૭ એપ્રિલ, સોમવારથી ફરી કામકાજ સંભાળી લીધું છે. તેમણે લોકડાઉન હળવું કરવાની બ્લુ પ્રિન્ટ ઘડી છે. કાઉન્સિલ રીસાયકલિંગ સેન્ટર્સને ગણતરીના દિવસોમાં કસ્ટમર્સને સંભાળવાની પરવાનગી અપાશે પરંતુ, આ પહેલા પોલીસ છ સપ્તાહ પડી રહેલા કચરાનો નિકાલ કરવાના ધસારાને પહોંચી વળવા સક્ષમ છે કે નહિ તેની લીલી ઝંડી મેળવાશે. આ પછી, પખવાડિયામાં ગાર્ડન સેન્ટર્સ પણ ખોલવામાં આવશે.
વ્હાઈટહોલમાં આટલી જોરદાર કામગીરી છતાં, અર્થતંત્રને રુંધતા નિયંત્રણોને હળવાં કરવાનું સમયપત્રક હજુ અનિશ્ચિત જ છે. આમ તો, ૭ મે સુધી તો લોકડાઉનની સત્તાવાર સમીક્ષા કરવાની નથી. બીજી તરફ, વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે નાનો સરખો ફેરફાર પણ રોગચાળાને નવી વિનાશક ટોચ પર પહોંચાડી દેશે અને નુકસાન વધુ ખરાબ હશે. ડાઉનિંગ સ્ટ્રીટ જૂન પહેલા શાળાઓને ફરી ખોલવાની શક્યતા નકારી રહેલ છે. વડા પ્રધાને આશાનું કિરણ દર્શાવી આગામી દિવસોમાં એક્ઝિટ સ્ટ્રેટેજી જાહેર કરાશે તેવી હૈયાધારણ આપવા સાથે ચેતવણી પણ આપી છે કે યુકે અત્યારે ‘મહત્તમ જોખમ’ની અવસ્થામાં છે અને લોકોએ ધીરજ ધરવાની જરૂર છે.
કોરોના બીમારી પછી ચૂસ્ત અને ફૂર્તીલા વડા પ્રધાન
વડા પ્રધાને કોરોના વાઈરસ સામે અંગત જંગ અને ઈન્ટેન્સિવ કેરના દિવસો પછી ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં ફરી ચાર્જ સંભાળી પ્રથમ દિવસ પૂર્ણ કર્યો છે. તેમણે કહ્યું હતું કે દેશ રોગચાળાના પ્રથમ તબક્કામાંથી બહાર નીકળી રહ્યો છે. તેઓ ઝૂમ એપથી હાજરીની સલાહ અવગણી જાતે બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. જ્હોન્સનની ગેરહાજરીમાં તેમના ડેપ્યુટી ડોમિનિક રાબે લોકડાઉનની એક્ઝિટ સ્ટ્રેટેજી વિશે મૌન જાળવ્યું હતું. જોકે, બેઠક પછી આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે દેશને ધીમે ધીમે લોકડાઉનથી બહાર લાવવાનો તખતો ઘડાયો છે.
માંદગી અને આરામ પછી વધુ ચૂસ્ત જણાતા વડા પ્રધાને કેબિનેટ બેઠકમાં સંખ્યાબંધ પ્રશ્નો પૂછી માહિતી મેળવી હતી. તેમણે હવે દેશ કોરોના જંગના બીજા તબક્કામાં પ્રવેશી રહ્યો હોવાનું જણાવી કેટલાક નિયંત્રણો હળવાં કરાશે તેવો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે રોગને ડામવા સરકાર કામ કરશે જ પરંતુ, યુકે અર્થતંત્રના એન્જિનોને વેગ આપવા કેટલાક આર્થિક અને સામાજિક નિયંત્રણો તબક્કાવાર રીફાઈન કરાશે. તેમણે ચેતવણી આપી હતી કે વાઈરસના બીજા ઉછાળાનું જોખમ પણ સમજવું પડશે કારણકે તેનાથી મોત અને રોગનું નવું મોજું ઉછળશે એટલું જ નહિ, આર્થિક આફતો પણ સર્જાશે
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ
આ ઉપરાંત, કોરોના વાઈરસ કટોકટીના કારણે ઠપ થયેલી સર્વિસીસ પણ ફરી ખોલવાની યોજના છે. દેશના વર્કફોર્સને કામે ચડાવવાના હોવાથી મિનિસ્ટર્સ બ્રિટિશ રેલવેઝને દોડાવવા યોજના ઘડી રહ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ રુટ્સ નોંધપાત્રપણે ઘટાડેલા ટાઈમટેબલ સાથે કાર્યરત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સાથે સર્વિસીસનું પ્રમાણ વધારવા અંગે સત્તાવાળા મૂંઝવણમાં છે. દુકાનોમાં ખરીદારો અને પેસેન્જર્સને ઘરબનાવટના માસ્ક પહેરવાની સૂચના અપાશે તેમજ બે મીટરનું સામાજિક અંતર જાળવવા ફ્લોર માર્કિંગ કરાશે. માસ્ક પહેરવાની બાબત ભલામણ નહિ, ફરજિયાતથી વધુ હશે. દુકાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ્સમાં માસ્ક પહેરવા પડશે.
એવી પણ અટકળો છે કે પરિવાર અને મિત્રોને થોડી સંખ્યામાં મળી શકાય તેવી ગોઠવણ કરાશે. બ્રિટિશરોને સામાજિક સંપર્ક રાખવા માટે ૧૦ વ્યક્તિની પસંદગી કરવા જણાવાશે. એક મહિનાથી વધુ સમયના કઠોર લોકડાઉન પગલાંએ પરિવારોને વિભાજિત કરી દીધા છે.
હેલ્થકેર વર્કર્સની યાદમાં મૌનની અંજલિ
કોરોના વાઈરસની સામે જંગમાં પ્રાણની આહુતિ આપનારા NHS સ્ટાફ અને અન્ય મહત્ત્વના વર્કર્સને અંજલિ આપવા મંગળવાર સવારે ૧૧ વાગ્યે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિ આપવામાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આગેવાની લીધી હતી, જેઓ કોરોના વાઈરસના સંક્રમણ પછી સોમવારે જ કામે વળગ્યા છે. સરકારી કર્મચારીઓ તેમજ સમગ્ર દેશના લોકોએ પણ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ મૌન અંજલિ ઈન્ટરનેશનલ વર્કર્સ મેમોરિયલ ડેને સુસંગત હતી.
અગાઉ, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે NHSના ૮૨ વર્કર્સ અને સોશિયલ કેરના ૧૬ કર્મચારીએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યાને સમર્થન આપ્યું હતું. હેનકોકે મૃત ફ્રન્ટલાઈન સ્ટાફના પરિવારોને ખાતરી આપી હતી કે ૬૦,૦૦૦ પાઉન્ડની લાઈફ એસ્યોરન્સ ચૂકવણી કરવામાં આવશે.
કોરોના કટોકટીમાં મોતને ભેટેલા ફ્રન્ટલાઈન NHS સ્ટાફને આદરાંજલિ અર્પવા યુનિસન યુનિયન, રોયલ કોલેજ ઓફ મિડવાઈવ્ઝ અને રોયલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા ગત સપ્તાહથી અભિયાન શરૂ કરાયું હતું. આ સંસ્થાઓ દસ લાખથી વધુ સભ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે.