બ્રિટિશ નાગરિકના જીવનની કિંમત શું?

NICEની ગાઈડલાઈન્સ મુજબ એક વર્ષના જીવનનું મૂલ્ય ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ પાઉન્ડ જેટલું આંકવામાં આવ્યું છે.

Monday 11th May 2020 00:47 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસના ઝપાટામાં આવી ગયેલી વ્યક્તિઓમાંથી કોને તાકીદે સારવાર આપવી તે પ્રશ્ન ડોક્ટરોને મૂંઝવી રહ્યો છે અને લોકડાઉનમાંથી ક્યારે બહાર નીકળવું તેની ગણતરીમાં પણ આ મુદ્દો મહત્ત્વનો બન્યો છે. યુકેમાં નવી સારવારનું મૂલ્યાંકન એક વર્ષની ક્વોલિટી લાઈફમાં ઉમેરાના આધારે થઈ રહ્યું છે. સારવારનો ખર્ચ ૩૦,૦૦૦ પાઉન્ડથી વધી જતો હોય તો તેને માન્ય રાખવાની શક્યતા ઓછી છે. જો એક વર્ષના જીવનનું મૂલ્ય ૩૦,૦૦૦ પાઉન્ડ હોય તો બ્રિટિશ નાગરિકના સામાન્યતઃ ૮૧ વર્ષના જીવનનું મૂલ્ય ૨.૪ મિલિયન પાઉન્ડ આંકવામાં આવી છે.

કોરોના વાઈરસના કારણે માનવજીવનના રક્ષણની સરખામણીએ આર્થિક કિંમતોનું પલ્લું નીચે જતું રહેશે ત્યારે લોકડાઉન ઉઠાવી લેવાશે તેમ કહેવાય છે. ચાન્સેલર રિશિ સુનાકે અત્યાર સુધી નાણાકોથળીઓ ખુલ્લી મૂકી દીધી છે અને સામાજિક-આર્થિક પડતી નિવારવા ધંધા-રોજગારને બચાવવા ૩૫૦ બિલિયન પાઉન્ડની યોજનાઓ જાહેર કરી છે.આમ છતા, આર્થિક પેરાલિસિસ લાંબો ચાલે તેવી સ્થિતિમાં દેશની તિજોરીઓ મોટા પાયે ઉલેચવાની ફરજ પડી શકે છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કેર એન્ડ હેલ્થ એક્સેલન્સ (NICE) દ્વારા કોવિડ-૧૯ના સારવારખર્ચનું મૂલ્યાંકન હાથ ધરાયું છે. નાઈસની ગાઈડલાઈન્સ મુજબ એક વર્ષના જીવનનું મૂલ્ય ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ પાઉન્ડ જેટલું આંકવામાં આવ્યું છે. આનો અર્થ એ પણ થાય કે જો આવશ્યક સારવારનો ખર્ચ ૩૦,૦૦૦ પાઉન્ડથી વધી જાય તો NHSમાં તેના ઉપયોગની ભલામણ કરાવાની શક્યતા ઓછી રહે છે. બ્રિટનમાં સરેરાશ અપેક્ષિત આયુમર્યાદા ૮૧ વર્ષ છે ત્યારે તેનું મૂલ્ય આશરે ૨.૪ મિલિયન પાઉન્ડ આંકી શકાય.

સંશોધનો અનુસાર બ્રિટનની સરખામણીએ જર્મની, યુએસએ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં જીવનમૂલ્ય ઊંચું છે. ધનવાન દેશોને ઊંચા જીવનમૂલ્ય પોષાઈ શકે છે તેનો અર્થ એ છે કે યુરોપના આંકડા દેખીતી રીતે જ એશિયાની સરખામણીએ ઊંચા હોય. હેલ્થ અક્સપર્ટ્સ ચેતવણી આપે છે કે અતિશય ખર્ચાનો અર્થ એ છે કે જેમને વધુ લાભ મળી શકે તેવા પેશન્ટ્સની તુલનાએ સ્રોતો અન્યો તરફ વાળવામાં આવે. કોરોના વાઈરસ પેશન્ટની જિંદગી લંબાવવા માટેનો ખર્ચ હજુ અસ્પષ્ટ છે પરંતુ, યુએસમાં ઘણી વખત હોસ્પિટલોમાં સારવાર લાખો ડોલરની હોઈ શકે છે.

બ્રિટિશ મેડિકલ એસોસિયેશનની કોવિડ-૧૯ ગાઈડલાઈન્સ સ્પષ્ટ કહે છે કે,‘તમામ પેશન્ટ્સને તેમના જીવનના અંત સુધી કરુણાસભર અને સમર્પિત તબીબી સંભાળ મળવી જોઈએ. આમ છતાં, દર્દીઓમાં સારવારની પ્રાથમિકતાની બાબત કાયદેસર અને નૈતિક છે.’ આ એડવાઈઝ એમ પણ કહે છે કે તમામને સારવાર મળવી જ જોઈએ છતાં, મૃત્યુ થવાની ભારે શક્યતા સાથેના પેશન્ટ્સને ‘સઘન સારવાર આપવા વિશે વિચારી ન શકાય.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter