વોશિંગ્ટનઃ ભારતીય રાજદૂતાવાસમાં 27 એપ્રિલે આયોજિત સંવાદમાં વિવિધ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંઘર્ષો, ભાગદોડના જીવન અને ઉભરતી ટેકનોલોજીઓના વર્તમાન પરિવર્તનશીલ વિશ્વમાં ભગવાન મહાવીરના ઉપદેશો અને સિદ્ધાંતો આધુનિક જીવનને માર્ગદર્શન પુરું પાડે છે. આ સંવાદ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) યુએસએ અને વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત કરાયો હતો.
મિશનના ડેપ્યુટી ચીફ નામગ્યા સી. ખામ્પાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં સમાજ ભારે ખલેલ અને પ્રવાહી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે પાયારુપ સિદ્ધાંતો, વિચારધારાઓ અને માન્યતાઓ તરફ કાળજીપૂર્વક નિહાળવું મહત્ત્વનું બન્યું છે. આપણા મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોની વિરાસત દૈનિક ધોરણે, નીતિઓ અને અભિગમોનું માર્ગદર્શન કરે છે.
આ વર્ષની મહાવીર જયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી ચર્ચામાં SRMDના વરિષ્ઠ સંત આત્મર્પિત રક્ષિત, વર્લ્ડ બેન્કના સીનિયર સલાહકાર હેમાંગ જાની, NVIDIA અને નોર્થવેસ્ટર્ન મ્યુચ્યુઅલના બોર્ડ મેમ્બર આરતી શાહ, યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના એસોસિએટ ડીન બાલાજી પદ્મનાભન સહિતના વક્તાઓએ ભાગ લીધો હતો.
આત્મર્પિત રક્ષિતે ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંત પર પ્રકાશ પાથરતા જણાવ્યું હતું કે વ્યક્તિના જીવનમાં બાબતોને કઈ રીતે નિહાળવામાં અને તેને હાથ ધરવામાં આવે છે તેનું મહત્ત્વ છે. વર્તમાનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની વાત કરીએ તો તે માનવજાતને શક્તિશાળી બનાવશે અથવા તે વધુ સોફિસ્ટિકેટેડ યુદ્ધો અને નિકંદન તરફ દોરી જઈ શકે. વક્તાઓએ અહિંસા અને અનેકવિધ મંતવ્યોથી આધુનિક જાહેર નીતિઓ અને નિર્ણયપ્રક્રિયાઓમાં AIની નૈતિક ગોઠવણીમાં મહાવીરના સિદ્ધાંતોની સુસંગતતા વિશે જણાવ્યું હતું.
બાલાજી પદ્મનાભને જણાવ્યું હતું કે AIને વેસ્ટર્ન ડેટા પર આધારિત હોવાની ચિંતા રહે છે ત્યારે તેને વિવિધ સંસ્કૃતિઓ સંદર્ભે તાલીમ આપી શકાય છે. AIનું આધ્યાત્મિક મૂલ્યો સાથે અનુકૂલન સાધી તફાવત સર્જી શકાય છે.


